SURAT

નેટ બેન્કિંગ માટેના ચાર્જિસ નાબૂદ કરવા બેંકોના મર્જર પછી ચેક ક્લીયરિંગમાં થતો વિલંબ દૂર કરો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce) ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ (R.B.I) ઇન્ડિયાના અધિકારીઓ સાથે રિવ્યુ કમિટીની બેઠક સાથે ઇન્ટરેક્ટિવ સેશન (Interactive session) રાખવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉદ્યોગકારો દ્વારા એસએમઇ (S.M.E) અને એમએસએમઇ ઉદ્યોગો માટે ઝડપી લોન મળી રહે એ માટે સુવિધા ઊભી કરવા, નેટ બેન્કિંગ માટેના ચાર્જિસ નાબૂદ કરવા, રોડટેપ ક્રેડિટ ફાસ્ટ હોવી જોઇએ, બેંકો મર્જ થયા બાદ ચેક ક્લીયરિંગ માટે વધુ દિવસ લાગતા હોય છે, ડિજિટલ પેમેન્ટના બેન્ક ચાર્જિસ વિશે, બેંકો દ્વારા લગાવવામાં આવતી પ્રી–પેમેન્ટ પેનલ્ટી વિશે રજૂઆતો કરી હતી.

ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ પણ હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓએ રજૂ કરી
ખાસ કરીને જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને બેંક તરફથી ફન્ડિંગ મળતું ન હોવાને કારણે ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ પણ હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓએ રજૂ કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ટેક્સટાઇલ, ડાયમંડ અને જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાંથી ઉપસ્થિત ઉદ્યોગકારોને બેંકોની સર્વિસ સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવા માટે અનુરોધ કર્યો હતો. ઉદ્યોગકારોએ સહકારી બેંકો, ખાનગી બેંકો અને સરકારી બેંકો તરફથી મળતી સર્વિસ વિશે મહત્ત્વની ચર્ચા-વિચારણા કરી હતી.

વિવિધ સૂચનો આરબીઆઇ સમક્ષ રજૂ કરવામાં આવશે
આરબીઆઇની રિવ્યુ કમિટીના ચેરમેન બી.પી. કાનુન્ગોએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકામાં જરૂરી ફેરફારો કરી બેંકો તરફથી ઉદ્યોગકારોને વધુ સારી સર્વિસ આપી શકાય એ માટે ઉદ્યોગકારો દ્વારા રજૂ કરવામાં આવેલાં વિવિધ સૂચનો આરબીઆઇ સમક્ષ રજૂ કરવામાં આવશે. મીટિંગમાં આરબીઆઇના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર તેમજ રિવ્યુ કમિટીના ચેરમેન બી.પી.કાનુન્ગો, એ.કે.શર્મા (ઇડી, આરબીઆઇ મેમ્બર), પંજાબ નેશનલ બેંકના સીએમડી એ.કે.ગોયલ અને આનંદ (જનરલ મેનેજ, સીઇપીડી) ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન વિજય મેવાવાલાએ આરબીઆઇની રિવ્યુ કમિટી સાથે ઉદ્યોગકારોના ઇન્ટરેક્ટિવ મીટિંગનું સંચાલન કર્યું હતું.

Most Popular

To Top