National

ભોજશાળાનાં સર્વે વચ્ચે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે ‘વૈજ્ઞાનિક સર્વેક્ષણ’ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર

ધાર: (Dhar) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા સંકુલના ચાલી રહેલા ‘વૈજ્ઞાનિક સર્વેક્ષણ’ (Scientific Survey) પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે એવું કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં કે જેનાથી ભોજશાળાના બંધારણમાં ફેરફાર થાય. કોર્ટે વધુમાં આદેશ આપ્યો છે કે ASIના સર્વે રિપોર્ટ પર તેની પરવાનગી વિના કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ભોજશાળા કોમ્પ્લેક્સ એ મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે જેના પર હિંદુ અને મુસ્લિમ બંને દાવો કરે છે. ભોજશાળા સંકુલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત 11મી સદીનું માળખું છે જે બંને પક્ષો માટે મહત્વ ધરાવે છે. હિન્દુઓ તેને વાગદેવી (દેવી સરસ્વતી)ને સમર્પિત મંદિર માને છે જ્યારે મુસ્લિમો તેને કમાલ મૌલા મસ્જિદ નામ આપે છે. 7 એપ્રિલ 2003ના રોજ ASIની ગોઠવણ મુજબ હિંદુઓ મંગળવારે પૂજા કરે છે જ્યારે મુસ્લિમો સંકુલમાં શુક્રવારે નમાઝ અદા કરે છે.

જસ્ટિસ હૃષીકેશ રોય અને પીકે મિશ્રાની બેંચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના વૈજ્ઞાનિક સર્વેક્ષણના આદેશને પડકારતી મૌલાના કમાલુદ્દીન વેલફેર સોસાયટીની અરજીના જવાબમાં કેન્દ્ર, મધ્યપ્રદેશ સરકાર અને ASI સહિત વિવિધ સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. બેન્ચે નિર્દેશ આપ્યો છે કે ચાર સપ્તાહમાં નોટિસ જારી કરો. વચગાળાના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે આ કોર્ટની પરવાનગી વિના સર્વેના પરિણામો પર કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે એવું કોઈ ખોદકામ ન કરવું જોઈએ જેનાથી સ્થાનનું ચરિત્ર બદલાઈ જાય.

Most Popular

To Top