Dakshin Gujarat

ભરૂચ: લીવ ઇનમાં રહેતા પ્રેમીએ જ પ્રેમિકાનો જીવ લીધો, અંતિમ શ્વાસ લેવાય ત્યાં સુધી પગ દબાવી રાખ્યો

ભરૂચ, અંકલેશ્વર: (Bharuch Ankleshwar) અંકલેશ્વર નગરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત બાદ પ્રેમ (Love) અને અઢી વર્ષથી ચાલતા લીવ ઇન રિલેશનના લોહિયાળ અંતમાં હત્યારા મોટા ભાઈ તેમજ બે મદદગારોની ધરપકડ કરી દેવામાં આવી છે. જ્યારે પ્રેમી (Lover) નાના ભાઈની શોધખોળ ચાલી રહી છે. નાના ભાઈની પ્રેમિકાને મોટા ભાઈ અને પ્રેમીએ જ મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ બે વ્યક્તિની મદદથી કોથળાને પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હોવાની સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીનો LCBના ધનંજયસિંહના બાતમીદારની માહિતી પરથી ખુલાસો થયો છે.

  • લીવ ઇનમાં રહેતા પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા હતી
  • જેની સાથે જન્મોજનમનાં સપનાં જોયા એણે જ અંતિમ શ્વાસ લેવાય ત્યાં સુધી પગ દબાવી રાખ્યો
  • લેબર સપ્લાયર હત્યારો મોટો ભાઈ સંજય, નાનો ભાઈ પ્રેમી સૌરભ કોથળામાં યુવતીની લાશને બાંધી કલાકો સુધી બેસી રહ્યા
  • સંજય, મદદગાર મન અને ભરથરીની ધરપકડ, પ્રેમી સૌરભ અને યુવતીના પરિજનોની શોધખોળ
  • અંકલેશ્વરમાં લીવ ઇનમાં અઢી વર્ષથી રહેતી પ્રેમિકાને પ્રેમીએ ભાઈ સાથે મળી હત્યાને અંજામ આપ્યો

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામમાં રહેતી 20 વર્ષની મયૂરી ભગત અને અંકલેશ્વરમાં રહી ગેરેજ ચલાવતો સૌરભ ગોવિંદ ગંગવાણી ઇન્સ્ટ્રાગ્રામ થકી પરિચયમાં આવ્યા બાદ એકમેકના પ્રેમમાં પડી અઢી વર્ષથી પતિ-પત્ની તરીકે લીવ ઇનમાં રહેતાં હતાં. અંકલેશ્વરના રામનગરની પુષ્પકુંજ સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન મકાનમાં રહેતો સૌરભના મોટા ભાઈ સંજયે સુરતી ભાગોળમાં મકાન ભાડે અપાવી નાના ભાઈ સંજય અને તેની પ્રેમિકાને બોલાવી લીધાં હતાં. જો કે, દોઢ મહિનાથી સૌરભ અને મયૂરી વચ્ચે ઝઘડા થતા હતા અને હવે સૌરભ મયૂરી સાથે રહેવા માંગતો ન હતો.

ગત તા.9 ઓક્ટોબરે મયૂરીને સમજાવવા સંજયે સૌરભ સાથે તેના ઘરે સવારે 10 વાગ્યે બોલાવી હતી. લેબર સપ્લાય અને કોન્ટ્રાક્ટનું કામ કરતા સંજયે તેની સાથે રહેતા 6 લોકોને સ્થળ છોડી જતા રહેવા કહ્યું હતું. મયૂરીને સમજાવવા જતાં તે કોઈ વાતે નહીં માનતાં સંજયે તેનું ગળું દબાવી દીધું હતું. જ્યારે પ્રેમી સૌરભે પગ દબાવી રાખ્યા હતા. બે મિનિટ સુધી હલનચલન બંધ રહેતાં બંને ભાઈએ યુવતીને છોડતાં તે શ્વાસ લેવા લાગતાં મોટા ભાઈ સંજયે તેના ગમછા વડે મયૂરીને ફાંસો આપી દીધો હતો. યુવતીની હત્યા બાદ બંને ભાઈએ તેના હાથ-પગ બાંધી કોથળામાં લાશને બાંધી કલાકો સુધી લાશની પાસે બેસી રહી રાત પડવાની રાહ જોઈ હતી.

રાત્રે 10 વાગ્યે સંજયે જૂના દિવાના મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકરને બોલાવ્યો હતો. પોતાની બાઇક પર બેસી મયૂરીની કોથળામાં બાંધેલી લાશ મૂકી પાછળ મનને બેસાડી રામકુંડ નજીકના ઢેડિયા તળાવે પહોંચ્યા હતા. જ્યાં સંજયના કહેવા પર પહેલાથી જ મોટો પથ્થર લઈ જલકુંડ ખાતે રહેતો ભરથરી ઉર્ફે બદ્રી હાજર હતો. ત્રણેય જણાએ મળી મયૂરીની કોથળામાં ભરેલી લાશને મોટા પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે સંજય, મન અને ભરથરીની ધરપકડ કરી લઈ 7 દિવસનાં રિમાન્ડ મેળવવા PI આર.એચ.વાળાએ કોર્ટમાં રજૂ કર્યા છે. સાથે જ ફરાર હત્યારો પ્રેમી સૌરભ અને યુવતીના પરિજનોની શોધખોળ ચલાવાઈ રહી છે.

Most Popular

To Top