National

બાબા રામદેવે કેમ માગી માફી? શું છે સમગ્ર મામલો જાણો..

નવી દિલ્હી: પતંજલિ એડવર્ટાઈઝમેન્ટ કેસમાં (Patanjali Advertisement Case) આજે તા. 16 એપ્રિલે યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) માફી (apology) પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ (BalKrushna) પણ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતંજલિની માફી હજુ સુધી સ્વીકારવામાં આવી નથી.

સુપ્રીમ કોર્ટે સ્વામી રામદેવને પૂછ્યું કે તમે કહ્યું હતું કે તમે કંઈક બીજું ફાઇલ કરવા માંગો છો, શું કંઈ વધારાની ફાઇલ કરવામાં આવી હતી? તેના પર રામદેવ માટે મુકુલ રોહતગીએ કહ્યું કે અમે હજુ સુધી કંઈ નોંધાવ્યું નથી પરંતુ અમે જાહેરમાં માફી માંગવા માંગીએ છીએ. રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ અખબારમાં જાહેરમાં માફી માંગવાની ઓફર કરી હતી.

હું હવે સજાગ રહીશ: બાબા રામદેવ
સુનાવણી દરમિયાન કોર્ટે બાબા અને આચાર્ય બાલકૃષ્ણ સાથે વાત કરી હતી. જસ્ટિસ કોહલીએ સ્વામી રામદેવને કહ્યું કે તમે પ્રખ્યાત છો. તમે યોગના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. તમે પણ ધંધો કરવા લાગ્યા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વીડિયોના પ્રસારણમાં વિક્ષેપ પડ્યો. ત્રણ મિનિટ પછી માત્ર ઓડિયો આવ્યો. જસ્ટિસ કોહલીએ કહ્યું કે આ અવરોધ માત્ર એક સંયોગ છે, અમારી તરફથી કોઈ સેન્સરશિપ નથી. કોર્ટે બાબા રામદેવને સીધો સવાલ કર્યો કે તમને માફી કેમ આપવામાં આવે?

બાબા રામદેવે કોર્ટને કહ્યું, ‘હું હવેથી સતર્ક રહીશ. મને ખબર છે કે મારી સાથે કરોડો લોકો જોડાયેલા છે.’ કોર્ટે કડક ટીપ્પણી કરતાં કહ્યું કે, તમે અમારા આદેશ પછી આ બધું કર્યું. તમે જાણો છો કે તમે અસાધ્ય રોગોની જાહેરાત કરી શકતા નથી. કાયદો દરેક માટે સમાન છે. તેના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે અમે ઘણા ટેસ્ટ કર્યા છે. જેના પર જસ્ટિસ કોહલીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તમારી તરફથી આ બેજવાબદારીભર્યું વલણ છે.

બાલકૃષ્ણ અને બાબા રામદેવે કહ્યું- અમે ભૂલ કરી
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું, ‘આ ભૂલ અજ્ઞાનતાથી થઈ છે, અમારી પાસે પુરાવા છે.’ જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમે એલોપેથી પર આંગળી ઉઠાવી શકશો નહીં. આ યોગ્ય નથી. તેના પર બાબા રામદેવે કહ્યું, ‘અમે ઉત્સાહથી આ કર્યું છે. અમે આગળ સતર્ક રહીશું. અમે એલોપેથી વિશે કંઈ કહીશું નહીં.

આગામી સુનાવણી 23 એપ્રિલે થશે
જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમારો ભૂતકાળનો ઈતિહાસ ખરાબ છે, અમે વિચારીશું કે તમારી માફી સ્વીકારવી જોઈએ કે નહીં. તમે વારંવાર ઉલ્લંઘન કર્યું છે. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમે દિલથી માફી નથી માગી રહ્યા. આ યોગ્ય નથી. રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ અખબારમાં જાહેરમાં માફી માગવાની ઓફર કરી હતી. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને સુનાવણીની આગામી તારીખ એટલે કે 23 એપ્રિલે હાજર રહેવા જણાવ્યું હતું.

Most Popular

To Top