National

રામ જ્યોતિથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા: રામલલાના સ્વાગતમાં સમગ્ર દેશમાં દીપોત્સવ

રામલલાના અભિષેક બાદ સોમવારે એટલેકે 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે રામ કી પૌડી ખાતે દીપ પ્રગટાવીને રામલલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામ કી પૌડી પર એક લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. બીજી તરફ રામ મંદિર પણ હજારો દીપકોથી ઝગમગી ઉઠ્યું હતું. સમગ્ર દેશમાં લોકોએ સાંજે દીપ પ્રગટાવી રામલલાનું સ્વાગત કર્યું હતું.

લગભગ 500 વર્ષ બાદ સોમવારે રામ લલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાનો અભિષેક કર્યો હતો. મંગળવાર 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે તમામ દેશવાસીઓએ રામના નામ પર દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાન રામના સ્વાગતમાં દીપોત્સવ મનાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી અયોધ્યામાં સરયૂ નદીના કિનારે છોટી દિવાળી પર દીપોત્સવ મનાવવામાં આવે છે. આ પહેલીવાર છે જ્યારે અહીં છોટી દિવાળી સિવાય દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ ક્રમમાં અયોધ્યામાં સરયૂ નદીના કિનારે દીપ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સરયૂ નદીના કિનારે રામ કી પૌડીમાં લગભગ એક લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે અયોધ્યા શહેરમાં પણ લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દેશના ખૂણે-ખૂણે રામજ્યોતિ પ્રગટાવવામાં આવી હતી. સાંજ પડતાં જ એક સાથે હજારો દીવાઓથી દેશ ઝળહળી ઉઠ્યો હતો. કનોટ પ્લેસના મહત્વપૂર્ણ સ્થાનો પર એક સાથે 1,25,000 રામજ્યોતિ પ્રગટાવવામાં આવી હતી. દિલ્હી, મુંબઈ, ગુજરાત, કેરળ, કર્ણાટક, હરિદ્વાર, યૂપી, બિહારમાં ઠેર-ઠેર દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના ઘરે ઉજવ્યો દીપોત્સવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા કહ્યું કે આજે રામ લલા અયોધ્યા ધામમાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ રામ જ્યોતિ પ્રગટાવે અને તેમના ઘરે પણ તેમનું સ્વાગત કરે. વડાપ્રધાન મોદીએ પણ તેમના નિવાસ સ્થાને દીપ પ્રગટાવી દીપોત્સવ ઉજવ્યો હતો.

લેસર લાઈટ શોનું પણ આયોજન કરાયું
દીપોત્સવની સાથે સરયુ નદીના કિનારે લેસર લાઈટ શો પણ કરવામાં આવ્યો છે. ભવ્ય રામ મંદિર ખાતે પણ લેસર શોનું આયોજન કરાયું હતું. લેસર શોમાં ભગવાન રામની છબી નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ સાથે અયોધ્યામાં અનેક સ્થળોએ ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top