Dakshin Gujarat

ભરૂચમાં આ ચાર કંપનીઓને જીપીસીબીની ક્લોઝર નોટિસ

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો (Indistries) ચોમાસાની ઋતુનો ગેરફયદો ઉઠાવી પ્રદૂષિત પાણી (Polluted water) વસાહતમાં તેમ જ નજીકની ખાડીઓમાં છોડતા હોય છે. જેની સામે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શનમાં આવી ગયું છે.

  • અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા વસાહતની કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગકારોમાં ફફડાટ
  • હજુ પણ કેટલીક કંપનીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રડારમાં

અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ટીમ દ્વારા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહત તેમજ આમલાખાડી સહિત તમામ વિસ્તારોનું મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઝઘડિયાની ગુલશન પોલિઓલ્સ, પાનોલીની એંજલ કેમિકલ અને અંકલેશ્વરની શ્રીજી કેમિકલ અને સિલિકોન કંપનીને પ્રદૂષણ ફેલાવતાં એકમો તરીકે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ચોમાસાની વરસાદી ઋતુનો લાભ લઈ અનેક કંપનીઓ પોતાનાં એકમોનું પ્રદૂષિત પાણી આડેધડ વરસાદી પાણી સાથે છોડી જતા હોય છે. જેના લીધે જમીન અને જળને ભારે નુકસાન થાય છે.

આ અંગે અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે, દર વર્ષે આવી ગંભીર ફરિયાદો આવે છે. જેને લઇ એક્શન પ્લાન અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા ઘડવામાં આવ્યો છે. જે સંદર્ભે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ચોમાસામાં આ બાબતે વિશેષ મોનિટરિંગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને રેગ્યુલર મોનિટરિંગ કરાશે. દિવસ દરમિયાન અને રાત્રે પણ મોનિટરિંગ અવિરત કરવામાં આવશે. જે દરમિયાન જે કોઈપણ ઉદ્યોગ આ રીતે પોતાના ઉદ્યોગનું પ્રદૂષિત પાણી છોડતા પકડાય એની સામે ગંભીર અને કડક પગલાં લેવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, નિયંત્રણ બોર્ડ દ્વારા ચોમાસાની ઋતુનો લાભ લઈ ગેરકાયદે રીતે પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હજુ પણ આગામી દિવસોમાં કેટલીક કંપનીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રડારમાં છે. બોર્ડનાં આ કડક પગલાંથી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Most Popular

To Top