Gujarat

કોરોના-વાવાઝોડાની પરિસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓ રજા કે હડતાળ નહીં પાડી શકે

રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આ આદેશનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરાશે.
સચિવાલયમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આવા કપરા સમયમા આરોગ્ય વિભાગ હેઠળના જુદા જુદા વર્ગ -૧ થી વર્ગ -૪ સુધીના સંવર્ગો જેવા કે તજજ્ઞો , તબીબો , પેરામેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ અને વર્ગ -૪ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ કરી હડતાળ પર જઇ રહ્યા છે અને કેટલાકે હડતાળ પર જવાની ચીમકી આપીને માનવીય સેવામાં વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

આરોગ્ય વિભાગની આવશ્યક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગના વર્ગ -૧ થી વર્ગ -૪ ના સંવર્ગના તજજ્ઞો, તબીબો , પેરામેડીકલ સ્ટાફ, નર્સીગ સ્ટાફ અને વર્ગ -૪ ના કર્મચારીઓ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારીત સેવાઓ આપતા તમામ વ્યક્તિઓ તથા અન્ય તમામ કે જેઓ કોવિડ -૧૯ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે તેઓ દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે.

આ માટે કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત જિલ્લા કલેકટરોને અને મ્યુનિસિપલ કમિશ્નરોને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે

Most Popular

To Top