National

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના જંગલમાં રાતભર ગોળીબાર, સુરક્ષાદળોએ બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા છે. મજલતા વિસ્તારના જંગલોમાં 16 અને 17 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોને આતંકીઓની શંકાસ્પદ હિલચાલ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે ગોળીબાર શરૂ થયો હતો. આ ઓપરેશનને ‘ઓપરેશન સોહન’ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે મજલતાના બ્રાટ્ટલ, સોહન અને ખુબ્બન વિસ્તારના જંગલોમાં કાર્યવાહી કરી હતી. 16 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9 વાગ્યે સુરક્ષાદળોએ શંકાસ્પદ હિલચાલની માહિતીના આધારે વિસ્તારને ઘેરીને સર્ચ શરૂ કર્યું હતું. ત્યારબાદ જંગલ વિસ્તારમાં ગોળીબાર અને વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.

સુરક્ષાદળો માટે આ ઓપરેશન સરળ નહોતું. વિસ્તારમાં ખરાબ હવામાન, મુશ્કેલ અને ઊંચો-નીચો ભૂપ્રદેશ તેમજ ઓછી દ્રશ્યતા જેવી સ્થિતિ હતી. તેમ છતાં જવાનો દ્વારા ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. સવાર તરફ આતંકીઓએ ઘેરો તોડવાનો પ્રયાસ કરતા સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં જવાનોએ કાર્યવાહી કરી હતી. આ અથડામણ દરમિયાન બે આતંકીઓ ઠાર થયા હતા. સુરક્ષાદળોએ અથડામણ બાદ ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. જોકે, માર્યા ગયેલા બંને આતંકીઓની ઓળખ હજુ કરવામાં આવી રહી છે. તેમની ઓળખ અને સંગઠન સાથેના સંબંધ અંગે સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર થવાની બાકી છે. કેટલાક અહેવાલોમાં બંને આતંકીઓના પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તેમની ચોક્કસ ઓળખની પુષ્ટિ હજુ બાકી છે.

બે આતંકીઓ ઠાર થયા હોવા છતાં સુરક્ષાદળોએ ઓપરેશન પૂર્ણ જાહેર કર્યું નથી. જંગલ વિસ્તારમાં હજુ પણ સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન ચાલુ છે. આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ આતંકી છુપાયેલા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોની વધારાની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ઉધમપુરના જંગલ અને પહાડી વિસ્તારોમાં આતંકીઓની હિલચાલને લઈને સુરક્ષાદળો દ્વારા સમયાંતરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. હાલના ઓપરેશનમાં પણ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ આતંકીઓ સાથે સીધી અથડામણ થઈ હતી. સુરક્ષાદળો હવે સમગ્ર વિસ્તારને ખંગાળી રહ્યા છે, જેથી કોઈ અન્ય સંભવિત આતંકી અથવા શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી મળી શકે.

Most Popular

To Top