આજે રાત્રે 11:57થી શરૂ થશે શ્રીકૃષ્ણની પૂજાનો શુભ મુહૂર્ત, જાણો પૂજા વિધિ, સામગ્રી અને ખાસ ઉપાય
આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવાતો આ તહેવાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મની યાદમાં મનાવવામાં આવે છે. જન્માષ્ટમીને કૃષ્ણાષ્ટમી, ગોકુલાષ્ટમી, કૃષ્ણ જયંતિ, યદુકુલાષ્ટમી અને અષ્ટમી રોહિણી જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે.ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિના સમયે થયો હતો,તેથી જન્માષ્ટમીની મુખ્ય પૂજા રાત્રિના સમયે કરવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
આજે માત્ર 45 મિનિટનો રહેશે પૂજાનો શુભ મુહૂર્ત
જન્માષ્ટમીના દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલની પૂજા કરે છે. આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બરની મધરાતે 2:25 વાગ્યે શરૂ થઈ ચૂકી છે અને 5 સપ્ટેમ્બરની રાત્રે 12:13 વાગ્યે પૂર્ણ થશે. શ્રીકૃષ્ણના જન્મોત્સવ અને વિશેષ પૂજા માટે રાત્રે 11:57 વાગ્યાથી 12:42 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. એટલે ભક્તોને મુખ્ય પૂજા માટે કુલ 45 મિનિટનો સમય મળશે. આ જ સમયગાળા દરમિયાન લડ્ડુ ગોપાલનો જન્મોત્સવ ઉજવી શકાય છે.
રોહિણી નક્ષત્રનો પણ વિશેષ સંયોગ
શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાની ધાર્મિક માન્યતા છે. તેથી જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. પંચાંગ અનુસાર, રોહિણી નક્ષત્ર મધરાતે 12:29 વાગ્યે શરૂ થઈ ચૂક્યું છે અને આજે રાત્રે 11:04 વાગ્યે તેનું સમાપન થશે. જન્માષ્ટમીની પૂજા દરમિયાન અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર બંનેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
લડ્ડુ ગોપાલની પૂજા માટે આ સામગ્રી રાખો તૈયાર
જન્માષ્ટમીની પૂજા માટે સૌપ્રથમ લડ્ડુ ગોપાલની મૂર્તિ, ઝૂલો અને ભગવાન માટે નવા વસ્ત્રો તૈયાર રાખવા જોઈએ. સાથે મુકુટ, વાંસળી, મોરપંખ, ચંદન, રોળી, અક્ષત, ધૂપ, દીવો, કપૂર અને તાજા ફૂલો પણ રાખવામાં આવે છે. ભગવાનના અભિષેક માટે પંચામૃત તૈયાર કરવામાં આવે છે. પંચામૃતમાં સામાન્ય રીતે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનો સમાવેશ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને ભોગમાં માખણ-મિશ્રી, ધાણાની પંજરી, ઋતુ પ્રમાણેના ફળ, મીઠાઈ તથા પાન-સોપારી અર્પણ કરવામાં આવે છે. ભોગમાં તુલસીના પાનનો સમાવેશ કરવો શુભ માનવામાં આવે છે.
મધરાત્રે આ રીતે કરો શ્રીકૃષ્ણની પૂજા
જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ઘરના પૂજાસ્થળ અને મંદિરની સારી રીતે સફાઈ કરીને તેને ફૂલોથી સજાવવું અને લડ્ડુ ગોપાલ માટે સુંદર ઝૂલો તૈયાર કરવો. રાત્રે શુભ મુહૂર્ત દરમિયાન ભગવાનના બાળ સ્વરૂપને પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું અને ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરવો.પછી ભગવાનને નવા વસ્ત્રો પહેરાવી મુકુટ, વાંસળી, મોરપંખ અને ચંદનથી શણગાર કરવામાં આવે છે.શણગાર પૂર્ણ થયા બાદ લડ્ડુ ગોપાલને ઝૂલામાં બિરાજમાન કરાવી પ્રેમપૂર્વક ઝુલાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને માખણ-મિશ્રી, ધાણાની પંજરી, પંચામૃત અને ફળોનો ભોગ ધરાવવામાં આવે છે. ભોગમાં તુલસી દળ અર્પણ કરવાનું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અંતે ધૂપ અને દીવો પ્રગટાવી ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરવામાં આવે છે. પૂજા દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો પોતાનું વ્રત ખોલે છે.
શ્રીકૃષ્ણના આ મંત્રોનો કરો જાપ
જન્માષ્ટમીની પૂજા દરમિયાન શ્રીકૃષ્ણના મંત્રોના જાપનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભક્તો ‘કૃં કૃષ્ણાય નમઃ’, ‘ૐ દેવકીનંદનાય વિદ્મહે, વાસુદેવાય ધીમહિ, તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્’, ‘ૐ ક્લીં કૃષ્ણાય નમઃ’, ‘ગોકુલનાથાય નમઃ’ અને ‘ૐ નમો ભગવતે શ્રીગોવિંદાય નમઃ’ જેવા મંત્રોનો જાપ કરી શકે છે. ભક્તિભાવથી કરવામાં આવેલ મંત્રજાપ મનને શાંતિ, આધ્યાત્મિક એકાગ્રતા આપવામાં મદદરૂપ માનવામાં આવે છે.
જન્માષ્ટમીના બે ખાસ ઉપાય
ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીની રાત્રે લડ્ડુ ગોપાલના જન્મોત્સવ બાદ કેસર મિશ્રિત દૂધથી ભગવાનનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું આગમન થાય છે. આ ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણને પાનનું પાન અર્પણ કરવાનું પણ શુભ માનવામાં આવે છે. બીજા દિવસે આ પાન પર રોળીથી શ્રી યંત્ર બનાવી તેને તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ મૂકવાની પરંપરા કેટલાક ભક્તોમાં જોવા મળે છે. ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે.
ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવો જન્માષ્ટમીનો તહેવાર
જન્માષ્ટમી માત્ર ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ નથી, પરંતુ સત્ય, ધર્મ અને ભક્તિના માર્ગ પર ચાલવાનો સંદેશ આપતો પવિત્ર તહેવાર પણ છે. દેશભરના મંદિરોમાં ભગવાનના બાળ સ્વરૂપને સુંદર રીતે શણગારવામાં આવે છે અને મધરાત્રે જન્મોત્સવ બાદ આરતી તથા પ્રસાદનું આયોજન થાય છે. ઘરોમાં પણ ભક્તો લડ્ડુ ગોપાલની પૂજા, અભિષેક, શણગાર અને ઝૂલોત્સવ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરે છે. આજે રાત્રે 11:57થી 12:42 સુધીના 45 મિનિટના શુભ મુહૂર્તમાં શ્રીકૃષ્ણની પૂજા અને જન્મોત્સવ ઉજવવાનું વિશેષ મહત્વ રહેશે.