India

3 વખત હાર્ટ એટેક, આખા શરીરમાં લકવો, 122 દિવસ વેન્ટિલેટર પર મોત સામે જંગ લડી ‘નવું જીવન’ લઈને ઘરે ફર્યો 14 વર્ષનો લક્ષિત

સરકારી હોસ્પિટલના ડૉક્ટરોએ સર્જ્યો ચમત્કાર

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 14 વર્ષીય લક્ષિતે મૃત્યુને ત્રણ વખત માત આપી છે. ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS)ના અત્યંત ગંભીર પ્રકારથી પીડાતા આ બાળકને ત્રણ વખત કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, આખા શરીરમાં લકવો થઈ ગયો અને 122 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવો પડ્યો. અંતે ડૉક્ટરોની સતત મહેનત અને પરિવારના વિશ્વાસના કારણે તે પોતાના પગે ચાલીને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો. આ ઘટનાને તબીબી ક્ષેત્રમાં પ્રેરણાદાયક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

દિલ્હીની સ્વામી દયાનંદ હોસ્પિટલ (SDNH)માં સારવાર હેઠળ રહેલા 14 વર્ષના લક્ષિતની કહાની આજે હજારો પરિવારો માટે આશાની કિરણ બની છે. જે બાળક થોડા મહિનાં પહેલાં શ્વાસ પણ લઈ શકતો નહોતો, આખા શરીરમાં લકવો થઈ ગયો હતો અને ત્રણ વખત તેનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું હતું,તે આજે સંપૂર્ણ સારવાર બાદ પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યો છે. આ સમગ્ર સારવાર સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

લક્ષિતની માતા લક્ષ્મીએ જણાવ્યું કે શરૂઆતમાં તેમના પુત્રને સામાન્ય ઝાડા થયા હતા. પરિવારને લાગ્યું કે થોડા દિવસમાં તે સાજો થઈ જશે. લગભગ બે અઠવાડિયા બાદ તેના પગમાં નબળાઈ આવવા લાગી.શરૂઆતમાં તે ચાલવામાં લથડતો હતો, ત્યારબાદ ધીમે-ધીમે ઊભો રહી શકતો નહોતો. થોડા જ દિવસોમાં નબળાઈ પગમાંથી હાથ સુધી પહોંચી ગઈ અને પછી છાતીના સ્નાયુઓ પણ અસરગ્રસ્ત બન્યા. અંતે તેની શ્વાસ લેવાની ક્ષમતા પણ ખોરવાઈ ગઈ.

ડૉક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે લક્ષિતને ગિલિયન-બારે સિન્ડ્રોમ (Guillain-Barré Syndrome – GBS)નો અત્યંત ગંભીર પ્રકાર એક્યુટ મોટર એક્સોનલ ન્યુરોપેથી (AMAN) થયો હતો. દુર્લભ બીમારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ નસો પર હુમલો કરે છે, જેના કારણે લકવો, શ્વાસ લેવામાં તકલીફ અને ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.26 ઓક્ટોબર 2025ના રોજ પરિવાર લક્ષિતને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જો કે તેની હાલત સતત બગડતી હોવાથી ડૉક્ટરોએ ટ્રેકિયોસ્ટોમિ કરીને ગળામાં શ્વાસની નળી નાખી અને વેન્ટિલેટર પર રાખ્યો. પરિવાર દ્વારા મોંઘા ઈન્જેક્શન અને દવાઓ માટે લગભગ ₹30 હજારનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં હાલતમાં ખાસ સુધારો થયો નહોતો. ત્યારબાદ 4 નવેમ્બર 2025ના રોજ તેને સ્વામી દયાનંદ હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો.

લક્ષિતના પિતા બજારમાંથી સીવણનું કામ લઈને મહિને આશરે ₹15થી ₹20 હજાર કમાય છે. આ આવકમાં પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. ખાનગી હોસ્પિટલમાં ચાર મહિના સુધી ICU અને વેન્ટિલેટર પર સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં પહોંચે છે. આવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલ આ પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ.હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. સુરેન્દ્ર સિંહ બિષ્ટે જણાવ્યું કે જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલમાં કોઈ દર્દીને સતત 122 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવી ખૂબ જ પડકારજનક બાબત છે. તેમ છતાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે દિવસ-રાત મહેનત કરીને બાળકને બચાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.

સારવાર દરમિયાન સૌથી મોટો પડકાર ત્યારે આવ્યો જ્યારે લક્ષિતને ગંભીર ચેપ લાગ્યો. બાદમાં તેના શ્વાસ માર્ગમાં Acinetobacter baumannii નામના ખતરનાક બેક્ટેરિયાનો ચેપ લાગ્યો. ત્યારબાદ Klebsiella અને Pseudomonas જેવા જીવલેણ બેક્ટેરિયાએ પણ હુમલો કર્યો. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહેવાને કારણે તેના પગના સ્નાયુઓ વળી જવા લાગ્યા અને શરીર પર બેડસોર પણ થઈ ગયા હતા.16 નવેમ્બર 2025નો દિવસ ડૉક્ટરો માટે સૌથી મુશ્કેલ હતો.

ICUમાં અચાનક એલાર્મ વાગવા લાગ્યા અને લક્ષિતનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું. તેને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. ICU ઈન્ચાર્જ ડૉ. રણજીત ચેટર્જી અને તેમની ટીમે તાત્કાલિક CPR શરૂ કરી અને સતત પ્રયાસો બાદ ફરીથી તેનું હૃદય ધબકવા લાગ્યું. સારવાર દરમિયાન આવી ઘટના ત્રણ વખત બની અને દરેક વખતે ડૉક્ટરોએ તેને મોતના મુખમાંથી પાછો ખેંચ્યો. ડૉ. બિષ્ટના જણાવ્યા મુજબ લક્ષિતની સારવારમાં દરેક દિવસ એક નવી લડાઈ સમાન હતો. ચેપ, શ્વાસની તકલીફ, હૃદય બંધ થવાની સ્થિતિ અને સંપૂર્ણ લકવા જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ મેડિકલ ટીમે હાર માની નહોતી. દરેક તબક્કે નવી સારવાર પદ્ધતિ અપનાવવામાં આવી અને સતત દેખરેખ રાખવામાં આવી.

લક્ષિતને જે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો તે કોવિડ-19 મહામારી દરમિયાન સાંસદ વિકાસ નિધિમાંથી હોસ્પિટલને મળ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ જ વેન્ટિલેટરે અનેક ગંભીર દર્દીઓના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને લક્ષિત માટે પણ તે જીવનદાતા સાબિત થયો.સારવારના લગભગ 66મા દિવસથી તેની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થવા લાગ્યો. ચેપ નિયંત્રણમાં આવ્યો, શરીરની પ્રતિક્રિયા સુધરી અને ડૉક્ટરોએ ધીમે-ધીમે તેને વેન્ટિલેટર પરથી દૂર કરીને ઓક્સિજન સપોર્ટ પર લાવ્યો. ત્યારબાદ ફિઝિયોથેરાપી, પુનર્વસન અને સતત કસરત દ્વારા તે ફરી ઊભો રહી શક્યો.

122 દિવસ બાદ આખરે વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યો. થોડા દિવસની વધુ સારવાર પછી લક્ષિત પોતાના પગે ચાલીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો. પોતાના પુત્રને ચાલતો જોઈ માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ માટે પણ આ ક્ષણ અત્યંત ભાવુક હતી.તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે ગિલિયન-બારે સિન્ડ્રોમના ગંભીર દર્દીઓમાં સમયસર સારવાર, યોગ્ય ICU મેનેજમેન્ટ, વેન્ટિલેટર સપોર્ટ અને સતત ફિઝિયોથેરાપી જીવન બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. લક્ષિતનો કેસ એનો જીવંત દાખલો છે કે યોગ્ય સારવાર અને ટીમવર્કથી અતિ ગંભીર દર્દીને પણ બચાવી શકાય છે.

આ સમગ્ર ઘટના સરકારી આરોગ્ય વ્યવસ્થાની ક્ષમતાનું પણ ઉદાહરણ બની છે. જ્યાં ઘણીવાર સરકારી હોસ્પિટલોની સુવિધાઓ અંગે પ્રશ્નો ઉઠે છે, ત્યાં સ્વામી દયાનંદ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફે અવિરત મહેનત કરીને એક બાળકને નવું જીવન આપ્યું છે. લક્ષિત આજે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ હજારો ગંભીર દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશા, હિંમત અને વિશ્વાસનું પ્રતિક બની ગયો છે.

Most Popular

To Top