Entertainment

પદ્મ વિભૂષણ તીજન બાઈનું નિધન, લોકકલા જગતે ગુમાવ્યો પંડવાનીનો અમૂલ્ય અવાજ

ભારતીય લોકકલાની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત પંડવાની ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત તીજન બાઈનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમણે રાયપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના PROએ તેમના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હોવાથી તેઓ AIIMS રાયપુરમાં સારવાર હેઠળ હતા. શનિવારે વહેલી સવારે લગભગ 3:15 વાગ્યે તેમની તબિયત અચાનક વધુ બગડી હતી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમના નિધનના સમાચાર મળતા જ છત્તીસગઢ સહિત સમગ્ર દેશના સાંસ્કૃતિક અને કલાજગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

1956માં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ગનિયારી ગામમાં જન્મેલા તીજન બાઈએ પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને અનોખી ઓળખ બનાવી હતી. તેમણે ‘પંડવાની’ જેવી લોકગાયનની પરંપરાગત શૈલીને માત્ર જીવંત જ રાખી નહીં, પરંતુ તેને દેશ-વિદેશ સુધી પહોંચાડી નવી ઓળખ અપાવી હતી. મહાભારતની કથાઓને અનોખી ગાયન અને અભિનય શૈલીમાં રજૂ કરવાની તેમની કળાએ લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તે સમયની સામાજિક માન્યતાઓને પડકારતા તીજન બાઈએ મહિલાઓ માટે પરંપરાગત રીતે બંધ ગણાતા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમના અદભૂત પ્રદર્શનના કારણે પંડવાનીને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ વિશેષ સ્થાન મળ્યું હતું. ભારતીય લોકકલામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને બાદમાં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના અવસાનથી લોકસંગીત અને લોકકલાના ક્ષેત્રને ન પૂરાય તેવી ખોટ પડી છે.

Most Popular

To Top