Gujarat

રસ્તા પર ટેસ્ટિંગ ડોમ ઉભા કરવાના બદલે શાળાઓમાં ટેસ્ટિંગ શરૂ કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ ( corona testing ) માટે જાહેર માર્ગો પર ડોમ ઉભા કરવામાં આવ્યા છે. હાલની કાળઝાળ ગરમીમાં ટેસ્ટિંગ કરવા આવતા વ્યક્તિઓને તડકામાં ઊભું રહેવું પડતું હોય છે, ત્યારે સાજો માણસ પણ બીમાર પડી જાય છે. આવી સ્થિતિને જોતા હાલમાં બંધ રહેલી પ્રાથમિક શાળાઓમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ( manish doshi ) એ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં જાહેર માર્ગો પર મંડપ (ડોમ) બાંધીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ મંડપોમાં માત્ર ડૉક્ટર અને ટેસ્ટિંગ કરનાર કર્મચારી બેસતા હોય છે. જ્યારે ટેસ્ટ કરાવનાર વ્યક્તિને તડકામાં બહાર ઉભુ રહેવું પડતું હોય છે. જે રીતે લોકો ટેસ્ટ કરાવવા માટે ઉમટી પડ્યા છે, તે જોતા કલાકો સુધી લોકોને લાંબી લાઇનોમાં ઊભુ રહેવું પડે છે. અસહ્ય ગરમીને કારણે બીમારી ન હોવા છતાં લોકો બીમાર પડી જતા હોય છે. આવા સંજોગોમાં પ્રાથમિક શાળાઓમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવા જોઈએ.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેતા હોય છે. જ્યારે ડોક્ટરો 11 વાગ્યા પછી આવતા હોય છે. પરિણામે લોકોને કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. આવા ટેસ્ટિંગ સેન્ટર માટે કોઈ જ મોનિટરીંગની વ્યવસ્થા ઊભી થઈ નથી. સરકારી કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોય છે, પરંતુ ટેસ્ટ કરાવનાર આવનારા વ્યક્તિઓને બેસવાની ખુરશીની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી નથી, જે દુખદ બાબત છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના બેકાબુ બન્યો છે, ત્યારે કેટલાક તત્વો કોરોનાની મહામારીમાં પણ ખોટું કરતા અચકાતા નથી, અને ક્યાંક ઇન્જેક્શનો તો, ક્યાંક રિપોર્ટમાં કૌભાંડો અને કાળા બજારો કરી રહ્યા છે. અમદાવાદ શહેર ઇસનપુર ઘોડાસર વિસ્તારમાં ગાયત્રી લેબોરેટરીમાં ખોટા આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આપવામાં આવતા હોવાની જાણ મનપા આરોગ્ય વિભાગને થતાં દરોડાની કાર્યવાહી હાથ ધરી લેબોરેટરીને સીલ કરવામાં આવી છે.

મનપા આરોગ્ય વિભાગની ટીમે ગાયત્રી લેબોરેટરી ઉપર દરોડા પાડયા ત્યારે ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે, આ લેબોરેટરી પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હતું, તેમજ લેબ સંચાલક 500 રૂપિયામાં ખોટા આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આપતો હોવાનું પણ બહાર આવ્યું હતું. નીલેશ વાઘેલા નામનો વ્યક્તિ આ લેબોરેટરી ચલાવતો હોવાનો જ તેમજ રિપોર્ટ આપતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેમજ ગાયત્રી પેથોલોજી દ્વારા સ્ટર્લીંગ એક્સસરીસના નામે સેમ્પલ લઇ રિપોર્ટ આપવામાં આવતા હતા. મનપા આરોગ્ય વિભાગ દ્વારા સંચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top