ફાર્માસિસ્ટ રામગોપાલ ઝડપાયો, આરોગ્ય વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ
સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભપાતના ધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી કરતા વધુ એક મહત્વની કડી સુધી પહોંચી છે. મમતા હોસ્પિટલના આડમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ મામલે ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સામે આવતા સમગ્ર આરોગ્ય તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને આરોગ્ય વિભાગની કામગીરી અને સમયસર તપાસ ન થવા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
પોલીસ તપાસ મુજબ, રામગોપાલ અગાઉ પણ ગર્ભપાતના કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. અંદાજે છ મહિના પહેલાં તેની સામે કાર્યવાહી થઈ હતી, પરંતુ ત્યારબાદ ફરીથી તેણે નવું નેટવર્ક ઉભું કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. પોલીસને મળેલી માહિતીના આધારે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો અને અંતે ફરી એકવાર રામગોપાલ સુધી તપાસ પહોંચી હતી.
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ગર્ભપાતના આ ગેરકાયદેસર ધંધાની કડીઓ માત્ર સુરત સુધી મર્યાદિત નહોતી. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધીના સંપર્કો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો મુજબ, અનેક મહિલાઓને ગુપ્ત રીતે લાવી ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવામાં આવતો હતો. આ સમગ્ર રેકેટમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહત્વનું એ પણ છે કે, રામગોપાલે અગાઉ મમતા હોસ્પિટલના નામે ચાલતી પ્રવૃત્તિ બંધ કરી હોવાનું દર્શાવ્યું હતું. જોકે, થોડા જ સમયમાં ફરીથી જુના સ્થળે જ નવા નામે ગર્ભપાતની પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી હતી. છતાં પણ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરાતા અનેક સવાલો ઊભા થયા છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સમયસર સ્થળ તપાસ કેમ ન કરી? અગાઉ ફરિયાદો છતાં કાર્યવાહી કેમ અટકી રહી? જેવા પ્રશ્નો હવે ચર્ચાના કેન્દ્રમાં છે.
સુરત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલની કામગીરી પર પણ હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શહેર અને જિલ્લામાં સતત ગેરકાયદેસર હોસ્પિટલ અને સોનોગ્રાફી સેન્ટરો અંગે ફરિયાદો સામે આવતી હોવા છતાં પૂરતી કડક તપાસ ન થવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જાણકારોના મતે, જો સમયસર આરોગ્ય વિભાગ સક્રિય બન્યું હોત તો આટલો મોટો ગેરકાયદેસર ધંધો ફરીથી ઉભો ન થઈ શક્યો હોત.
પોલીસ હાલ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. રામગોપાલના મોબાઈલ, દસ્તાવેજો અને સંપર્કોના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોલીસે સંકેત આપ્યા છે કે, આ કેસમાં વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ હવે બચાવની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં ગેરકાયદેસર ગર્ભપાતના આ કેસે ફરી એકવાર આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ સામે લાવી છે. હવે લોકોની નજર પોલીસ તપાસ સાથે આરોગ્ય વિભાગની આંતરિક જવાબદારી નક્કી કરવા પર પણ ટકેલી છે.