એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે ને દુઃખ અને વિષાદ વધે છે.’ શિષ્યો જાણવા ઉત્સુક બન્યા કે એવી કઈ ચીજ છે જે સુખ ઘટાડી દુઃખ વધારે છે.અને બધા શિષ્યોએ નક્કી કર્યું કે ગુરુજી જે ચીજ કહેશે તેનાથી આપને દુર જ રહીશું.ગુરુજીએ કહ્યું, ‘આપણા જીવનમાં સુખને દુર ભગાડનાર અને દુઃખમય જીવન કરનાર છે આપણે પોતે,આપણું મન અને આપણી બેલગામ ઈચ્છાઓ….હા આ બેલગામ સતત વધતી જતી અને એક પછી એક ઉદભવતી ઇચ્છાઓ જ બધા દુઃખનું અને મનની વેદનાનું કારણ છે.’
શિષ્યોને ગુરુજીની વાત સાંભળી આશ્ચર્ય થયું કારણ દરેક મનુષ્યના મનમાં ઈચ્છાઓ તો હોય જ છે અને તેનાથી તો દુર પણ કઈ રીતે જવું.એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, ઈચ્છાઓ થવી તો મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે તો તે દુઃખનું કારણ કઈ રીતે બને છે તે સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર છે ઈચ્છાઓ દરેક મનુષ્યના મનમાં ઉદભવે છે.ત્યાં સુધી ઠીક છે.પણ મુશ્કેલીઓ પછીથી શરુ થાય છે.ઈચ્છા ઉદભવે પછી તે પૂરી કરવાના પ્રયત્નો શરુ થાય અને જો ઈચ્છા કોઈ કારણસર ન પૂરી થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે.
અને પોતાના મનની ઈચ્છા પ્રમાણે ન થાય તેનો ગુસ્સો મનુષ્ય બીજા પર ઠાલવે છે અને પોતાના મનની અને ઘરની શાંતિ ભંગ કરે છે.સબંધો બગાડે છે.’ બીજા શિષ્યએ વચ્ચે જ પૂછ્યું, ‘એટલે ગુરુજી ઈચ્છા પૂરી ન થાય તો દુઃખ અને તકલીફ વધે પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય તો તો સુખ જ મળે ને..’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘હા, ઈચ્છાઓ પૂરી થઇ જાય તો ક્ષણભર સુખ મળે પણ એક ઈચ્છા પૂરી થયા પછી બીજી ઈચ્છા જાગે છે …પછી ત્રીજી ….પછી ચોથી ….ઇચ્છાઓ પૂરી થવાનો લોભ જાગે છે.અને એક વાર લોભ જાગે પછી તે વધતો જ રહે છે અને સાથે લાલચ ,લાલસા વધારે છે.
જે ઈચ્છો તે બધી જ ઈચ્છાઓ પૂરી થવા લાગે તો વ્યક્તિમાં ધીમે ધીમે અભિમાન પણ જાગવા લાગે છે જે તેની પડતીનું કારણ બને છે.’ ગુરુજીની વાત સાંભળી શિષ્ય મૂંઝાયા;એક જણે પૂછ્યું, ‘ગુરુજી, તો પછી કરવું શું ?? આપણા મનમાં તી આ ઇચ્છાઓ સતત જાગતી જ રહેવાની છે તો પછી આ બેલગામ ઇચ્છાઓ વછે શું કરવું જેથી જીવનને હાની ન પહોંચે??’ ગુરુજી બોલ્યા, ‘વત્સ,આપણી બેલગામ ઇચ્છાઓ તો મનમાં ઉગતી જ રહેશે પણ તેની અસરોથી બચવા માટેનો રસ્તો પણ મન પાસે જ છે.અને તે છે ‘ધીરજ –ધૈર્ય’ ઇચ્છાઓ પૂરી ન થાય ત્યારે પણ ધીરજ રાખો અને પૂરી થવા લાગે ત્યારે પણ ધૈર્ય જાળવો.તો તમે ઇચ્છાઓને કારણે મળતા દુઃખની છાયાથી બચી જશો.’ ગુરુજીએ સરસ વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.