National

બિહારમાં કોરોના ટેસ્ટમાં ગડબડ ગોટાળા

બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે જે અહેવાલો મુજબ જેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેવા સંખ્યાબંધ લોકોનો એક જ મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો છે તો કેટલાક લોકોના મોબાઇલ નંબર તરીકે ફક્ત દસ મીંડા જ નોંધવામાં આવ્યા છે તો કેટલાક લોકોનો ટેસ્ટ કરવામાં જ આવ્યો ન હતો છતાં તેમને કોવિડ પોઝિટિવ જાહેર કરી દેવામાં આવ્યા છે! અને વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે ટેસ્ટિંગની સામગ્રીની તફડંચી કરવા માટે કોઇ પણ ટેસ્ટ કર્યા વિના જ ટેસ્ટ કરાયા હોવાની ખોટી વિગતો રજીસ્ટરોમાં ભરવામાં આવી છે. ટ્રેસિંગ માટે મોબાઇલ નંબર ફરજિયાત હોય છે અને સિસ્ટમને થાપ આપવા દસ મીંડા એન્ટર કરી દેવાયા હતા.

જુમઇ જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વ્યાપક છબરડાઓ થયા હોવાની માહિતી બહાર આવી છે. અહીં જેમના આરટી-પીસીઆર ટેસ્ટ થયા હતા તેવા ૨૬ લોકોનો એકસરખો એક જ મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો છે! જ્યારે કે જેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય તેવા લોકોને ટ્રેસ કરવા માટે મોબાઇલ નંબર એક અગત્યની બાબત છે છતાં તેની નોંધણીમાં આવી બેદરકારી દાખવવામાં આવી છે.

જ્યારે આ જ જિલ્લામાં એવું પણ બન્યું છે કે ટેસ્ટ કરાયેલ કેટલીક વ્યક્તિઓનાં મોબાઇલ નંબર તરીકે ફક્ત દસ શૂન્ય(૦૦૦૦૦ ૦૦૦૦૦) નોંધવામાં આવ્યા છે! આ બાબતે કોવિડ ટેસ્ટિંગ જિલ્લા વડામથકના કર્મચારીઓ પીએચસીના ગ્રાઉન્ડ લેવલના સ્ટાફ પર આક્ષેપ કરે છે.

તેઓ કહે છે કે આ સ્ટાફે ટેસ્ટ કરાયેલા લોકોના મોબાઇલ નંબર નોંધ્યા જ ન હતા તેથી અમારે તેમના મોબાઇલ નંબર તરીકે દસ શૂન્ય નોંધવા પડ્યા છે. આ ઉપરાંત જુમઇ, શેખપુરા અને પટનાના કેટલાક કેન્દ્રોમાં તો ટેસ્ટિંગની સામગ્રી વપરાઇ હોવાનું ખોટી રીતે દર્શાવીને આ સામગ્રીની ઉઠાંતરી કરવાના હેતુસર અનેક ટેસ્ટ કરાયા હોવાની ખોટી નોંધો કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

મનોજ કુમાર નામના એક વિદ્યાર્થીએ ક્યારેય ટેસ્ટ કરાવ્યો જ નથી પરંતુ આમ છતાં તેનું અને તેના ભાઇનું નામ સિકંદરા પીએચસીની કોવિડ પોઝિટિવની યાદીમાં જાહેર કરી દેવાતા તે ચોંકી ઉઠ્યો હતો. આવા તો અનેક લોકો છે જેમને ટેસ્ટ કરાયા વિના જ પોઝિટિવ જાહેર કરી દેવાયા છે એમ જાણવા મળે છે.

આ ગોટાળાઓ અને છબરડાઓ બહાર આવતા વ્યાપક હોબાળો મચ્યો છે અને ટેસ્ટિંગની આખી પ્રક્રિયા સામે જ પ્રશ્નાર્થ ઉભા થયા છે. રાજદના સાંસદ મનોજ ઝાએ આ મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠાવ્યો છે. આ બાબતે બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે હવે કહે છે કે આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને કોઇ પણ દોષિતને છોડવામાં નહીં આવે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top