Vadodara

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના દાદર પરથી પડી જતાં ઘાયલ આધેડનું સારવારમાં મોત



*રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડ્યો*


શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા આધેડ પુરુષ ગત તા. 10મી ઓક્ટોબરના રોજ વડોદરાના રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નં.1 પર દાદર ઉતરતી વખતે અચાનક બેલેન્સ ગુમાવતા પડી જતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓનું સારવાર દરમિયાન મોત નિપજતાં વડોદરા રેલવે પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીકના સમર્થ સોસાયટીના મકાન નં.C/17માં પરિવાર સાથે રહેતા મહેન્દ્રભાઇ આત્મારામ બોરસે (ઉ.વ. 57) જેઓ નોકરી કરતા હતા તેઓ ગત તા. 10મી ઓક્ટોબરના રોજ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.01 ના દાદર પરથી ઉતરી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક કોઇક કારણોસર બેલેન્સ ગુમાવતા દાદર પરથી નીચે પટકાયા હતા. જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ વિંગ્સ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્તને ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત તા. 23મી ઓક્ટોબરે રાત્રે 8:20 કલાકની આસપાસ ઇજાગ્રસ્ત આધેડનુ મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર મામલે રેલવે પોલીસે અકસમાતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top