Charchapatra

વિશ્વની ઘણી જાતિઓએ અત્યાચાર વેઠયા છે

22/6ના ગુજરાતમિત્રમાં ચર્ચાપત્રી જગદીશ પાનવાલાએ સ્વ જ્ઞાતિના દુ:ખ દર્દો અને સિધ્ધિઓ વર્ણવતું ચર્ચાપત્ર મોઢવણિક જ્ઞાતિ કયાંથી ક્યાં પહોંચી? લખ્યું છે. જેમાં લખવાનું કે વિશ્વના ઈતિહાસમાં અનેક જાતિઓ ઉપર જુલ્મી શાસકોએ અમાનુષી અત્યાચારો કર્યા છે. જુલ્મગાર શૈતાનો ઈતિહાસના ગર્ભમાં દફન થઈ ગયા છે. જે તે જ્ઞાતિ – જાતિઓ ફીનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ છે. જેમ કે પારસીઓ ઉપર ઈરાનના મુસ્લીમ શાસકોએ જુલ્મો ગુજાર્યા. બચવા માટે પારસીઓ વહાણોમાં ચઢી અરબ સાગર પાર કરી 3000 Km દુર ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા અને અહીં દૂધમાં સાંકર બની ભળી ગયા. 1971ના યુદ્ધમાં નવો ઈતિહાસ રચનાર જનરલ માણેકશા પારસી હતા. ભારત દેશમાં ભારે ઉદ્યોગોનો પાયો નાંખનાર બિનવિવાદી ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પારસી છે.

બીજા વિશ્વયુધ્ધમાં યહૂદી પ્રજા ઉપર અઢળક અત્યાચારો થયા. ગેસ ચેમ્બરોમાં ઠાંસી ઠાંસીને 60 લાખ યહુદીઓને હીટલરે ખત્મ કર્યા. બીજા વિશ્વયુધ્ધ બાદ એ જ યહુદી પ્રજા વિશ્વભરમાં હીરા ઉદ્યોગ અને દવા(મેડીસીન) ઉદ્યોગ ઉપર ભારે વર્ચસ્વ ધરાવવા સાથે ખુદ્દારીથી વિશ્વમાં ઉભી છે. અત્યાચારી હીટલર કુતરાના મોતે મર્યો! એ જ રીતે બીજા વિશ્વ યુદ્ધમાં ઝનૂની જાપાનીઓને પાઠ ભણાવવા અમેરિકાએ અણું બોમ્બ નાંખવા પડયા. 3 લાખ જાપાનીઓ ઉભાને ઉભા ભસ્મ થયા. ત્યાર બાદ ઝનૂની જાપાનીઓને યુધ્ધની ભયાનકતા સમજાઈ. અમેરિકા સામે સરેન્ડર કર્યું. યુધ્ધની ખો ભુલી ગયા અને સમજદારીપૂર્વક ઉદ્યોગ – ધંધે લાગી નવા જાપાનનું સર્જન કર્યું. આજે દુનિયાભરમાં ટેકનોલોજીના ક્ષેત્રે જાપાન અગ્રેસર છે. હજી સમજી જજો. દુનિયામાં કોઈ અત્યાચારી અમર થયો નથી અને થવાનો નથી!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top