Charchapatra

શિક્ષણમાં આમૂલ પરિવર્તનનાં બણગાં

જાણીતા સંશોધનકાર અને વૈજ્ઞાનિક પંકજ જોશીએ ગુજરાતમાં ગણિત અને વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકોની ન સમજાય તેવી ભાષા અંગે કરેલી ટકોર ધ્યાનમાં લેવા જેવી છે. સુરત ખાતે એક મુલાકાતમાં એમણે જણાવ્યું કે એનસીઈઆરટી તરફથી તૈયાર થયેલ બંને વિષયનાં પાઠ્યપુસ્તકોનું ગૂગલ ભાષાંતર કરાયું છે!  મેડિકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રના  ભવિષ્યના વિદ્યાર્થીઓને પાયામાંથી જ આવું અટપટું, અધૂરું, અસત્ય જ્ઞાન અપાય છે છતાં, શિક્ષણ બોર્ડના પેટનું પાણીયે હાલતું નથી! તેમણે એ વ્યથા પણ વ્યક્ત કરી કે ભણતરને નામે બાળકો પર ત્રાસ અપાય છે! પાછલા બે-અઢી દસકથી જોયું છે કે શિક્ષણમાં આમૂલ પરિવર્તનની મોટે મોટેથી પોકારાતી બાંગ માત્ર બણગાં સાબિત થઈ છે.કોઈ ચિંતકે કહ્યું છે કે શિક્ષણ એ અરીસાને બારીમાં ફેરવવાની પ્રક્રિયા છે.પણ અહીં તો આખો અરીસો જ તૂટેલો છે! વ્યવસાયલક્ષી શિક્ષણની સાથે જીવનલક્ષી શિક્ષણ આપવાનો હેતુ કેટલો સફળ થયો છે એ વાત બાજુ પર મૂકીએ તો પણ  શિક્ષણની સમગ્ર વ્યવસ્થામાં રહેલી ઊણપો દૂર કરવા શિક્ષણ વિભાગ વાતોનાં વડાં તળવાને બદલે નક્કર કામ કરે તે જરૂરી છે.
સુરત     – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top