National

જેનો જલેબો જોઇને સુરતીઓનાં મોમાં પાણી આવે તે મોતી હરજી આજે 191 વર્ષે પણ અડીખમ

સુરત: આજથી શરૂ થતાં આ ‘પેઢીનામું’ વિભાગનાં દરેક અંકમાં આપણે જાણીશું સુરતની (Surat) એવી ધંધાકીય સંસ્થાઓ વિશે જે દાયકાઓથી કાર્યરત હોય, પેઢી-દરપેઢી અવિરતપણે ચાલતી રહી હોય, પોતાના કાર્યક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી હોય અને આજે પણ તે જુના સુરતના વારસા સમી અડીખમ ઊભી હોય અને જે તે ક્ષેત્રમાં પોતાની ઓળખ અને નામના જાળવી રાખી હોય… અરે ભાઈ જ્યારે વર્ષો જૂના બિઝનેસની વાત આવે ત્યારે સુરતના ઠક્કર મોતી હરજીને (Thakkar Moti Harji) કઈ રીતે ભૂલાય? મોતી હરજી જેમનું નામ આમ તો સુરતમાં રહેતા દરેક સુરતીઓને માલૂમ જ હશે. 191 વર્ષ જૂનો આ બિઝનેસ કેવી રીતે શરૂ થયો? એમની સ્પેશ્યાલિટી શું છે ? હાલ આ બિઝનેસ કોણ સંભાળે છે? શું વેરીએશન આવ્યું ચાલો જાણીએ…..

191 વર્ષ જૂની પેઢી

માત્ર 14 રૂપિયામાં દુકાનની જગ્યા લઈ ઠક્કર મોતી હરજીએ 1830માં પોતાના નામથી આ દુકાનની શરૂઆત કરી. ત્યારબાદ એમનો બિઝનેસ એમના દીકરા દામોદર ઠક્કરે સંભાળ્યો. ત્યારબાદ આવ્યા એમના દીકરા ગોવિંદ ઠક્કર. જેમના દીકરા પુરષોતમ ઠક્કરએ પોતાના વડવાઓના બિઝનેસની સુકાન સંભાળી અને આજે પુરષોતમ ઠક્કરના ત્રણ દીકરા યોગેશ ઠકકર, અજય ઠક્કર અને મુકેશ ઠક્કર હાલ આ બિઝનેસ સંભાળી રહ્યાં છે. આમ જોવા જઈએ તો હાલ 6 પેઢીએ આ બિઝનેસ સાચવી અને જાળવી રહી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

અનેક આફતોની સામે આજે પણ સ્વાદમાં અડીખમ

191 વર્ષમાં સુરતે અનેક આફતોનો સામનો કર્યો છે. આથી સ્વાભાવિક છે કે આ દુકાનને પણ અસર તો પહોંચી જ હોય. 1979માં એમની બાજુની દુકાનમાં આગ લાગતાં એમની દુકાનને પણ જ્પેટમાં લેતા બધો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તો 2006 વખતે રેલ સમયે પણ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ તહેવારની સિઝનને અનુરૂપે લાખોનો માલ સામાનને નુકસાન થયું. આ ઉપરાંત રાવ સાહેબના વખતના ડિમોલેશન વખતે પણ તેમની 8 થી 10 ફૂટ જેટલો દુકાનનો અગાઉનો ભાગ જતો રહ્યો હતો. આમ અનેક આફતોના સામના બાદ પણ ક્વોલિટી મેઇન્ટેન કરવાને લીધે આજે અનેક કોમ્પિટિશનના સમયમાં પણ લોકમુખે મોતી હરજીનું નામ અડીખમ છે.

ઘારી અને જ્લેબો તો આખા સુરતમાં મોતી હરજીનો જ બેસ્ટ : શાંતિલાલ પટેલ

77 વર્ષીય શાંતિલાલ પટેલ જણાવે છે કે, ‘હું નાનો હતો ત્યારથી જ મોતી હરજીની જ દુકાનની મીઠાઇ ખાતો આવ્યો છુ. મને યાદ છે કે એમના દાદા જે જ્લેબો બનાવતા એ ખૂબ જ ફેમસ હતો. જો કે આજે પણ ક્વોલિટીમાં કોઈ કોમ્પરોમાઈઝ નથી જોવા મળતો પણ કારીગરના બદલાવને લીધે જે ટેસ્ટ આજથી 50 વર્ષ પહેલા હતો એમાં થોડો બદલાવ આવ્યો હોય. છ્તા બીજી ફરસાણની સરખામણીમાં ઘારી અને જ્લેબો તો આખા સુરતમાં મોતી હરજીનો જ બેસ્ટ હોય એવું મને લાગે છે.’’

અમારા વડવાઓ જે મેથડ આપતા ગયા આજે પણ અમે એ જ મેથડ ફોલો કરીએ છીએ : યોગેશ પુરશોતમ ઠક્કર

62 વર્ષીય યોગેશભાઈ જણાવે છે કે , ‘’મારા દાદા મૂળ ભાવનગરના અલમ્પોર ગામથી આવ્યા હતા એમણે જોયું કે સુરતમાં લોકો પહેલા પાન જ ખાતા હતા. આથી એમણે ખમણની શોધ કરી. મોતી હરજીનું નામ આજે પણ લોકોના મુખે 191 વર્ષ બાદ એટલા માટે રહ્યું છે કેમ કે અમે કોઈ પણ પ્રકારનો કલર નથી વાપરતા. એકદમ ઓરિજિનલ મટિરિયલ વાપરીએ છીએ જે અમારા વડવાઓ મેથડ આપતા ગયા એ જ ફોલો કરીએ છીએ. જો કે બજારમાં નફાની દષ્ટિએ ટકવું અઘરું બને પણ અમારા ગ્રાહકોને અમે બેસ્ટમાં બેસ્ટ અને જે પહેલાનો સ્વાદ હતો એ જ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.’’

Most Popular

To Top