Charchapatra

વણનોતર્યો વિકાસ

વર્ષ 2000 થી કાગળિયે ચીતરાતું ‘ગુજરાત મોડલ’ દેશભરમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠયું (કે,…મૂડીપતીઓના ઈશારે…) ખીલવ્યુ એ તો ‘રામ’ જાણે… ત્યારબાદ વર્ષ 2014 થી દેશની ‘દશા’ અને ‘દીશા’ બેઉ બદલવાના ઈરાદે કહો કે, ‘વણ નોતરેલા વિકાસ’ ની યેનકેન પ્રસૂતિ કરાવી એ પણ અયોધ્યા માલિક જ જાણે… દેશના પ્રથમ નાગરિક ભલે… ગામડે ગામડે રેડિયો ઉપર ‘મન કી બાત’ કર્યે જાય… પરંતુ કરોડો નાગરિકોના ‘મનની વાત’ જાણવા માટે સત્તાધીશો જાણે એમની કર્ણેન્દ્રિય જ ગુમાવેલી હોય એવું હવે, લાગે છે. મેટ્રોપોલીટન શહેરો સિવાયના નાના-મોટા દેશભરના શહેરોમાં પ્રથમ નજરે તદ્દન બીનઉપયોગી અને બીનજરૂરી લાગતા સિમેન્ટ ક્રોકીટના ખર્ચાળ પ્રોજેકટો હવે રીતસરના માથે મરાતા જાય છે, એમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના એક તરફ તળિયા દેખાતા જાય એવા સમાચારો અખબારી પાને નજરે ચઢે છે.

‘વિકાસ’ ના અવતરણ બાદ બિલકુલ કઢંગી અવસ્થાએ કણસતો જાય છે, જ્યારે સુરત શહેરમાં ‘મેટ્રોરેલ’ના પ્રોજેકટને કારણે ડિવાઈડર અને ડાઈવર્ઝનો હવે અતિશય પેટ્રોલ ડિઝલના ધૂમાડા-રોડ-રસ્તાના ખોદકામ બાદના સમારકામની ગોકળગતિ હવે કઠતી જાય છે. શહેરીજનોનું ‘આરોગ્ય’ બીલકુલ જોખમાતું જઈ રહ્યું છે. હાલના સત્તાધીશોને જેટલો સમય ‘‘રાજ’’ કરવું હોય કરી શકે છે, બસ વધતી વસ્તી, મોંઘવારી, વેરાબીલના ઘટાડાનો આવનારી ચૂંટણીમાં મુખ્ય એજન્ડા બનાવશે તોજ ફાવશે.
સુરત- પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top