ઘણા લોકોએ અમરનાથ યાત્રા બુકિંગ રદ્ કરાવ્યા,નવી ઇન્કવાયરી માટે પણ લોકો નિરસ
(પ્રતિનિધિ) વડોદરા તા.09
પહેલગામના આતંકી ઘટના બાદ ભારત -પાકિસ્તાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એક મહિના બાદ શરુ થનારી અમરનાથયાત્રા માટે કેટલાક લોકોએ કરાવેલ બુકિંગ રદ્ કરાવી દેતાં ટ્રાવેલ્સ સંચાલકોને કરોડોના નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે.
જમ્મૂ કાશ્મીરના પહેલગામમા આવેલ બૈસરન ઘાટી ખાતે ગત તા.22 એપ્રિલના રોજ દેશભરના વિવિધ રાજ્યોમાંથી પર્યટકો પોતાના પરિવાર સાથે ફરવા માટે ગયા હતા તે દરમિયાન અચાનક જ આતંકવાદીઓ દ્વારા ધસી આવીને પર્યટકોને તેમના નામ અને ધર્મ પૂછીને ગોળીઓ ધરબી દઇને મહિલાઓ અને બાળકો સામે જ 26 પુરુષોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને પગલે દેશ અને દુનિયામાં કાયર આતંકવાદીઓએ સામે આક્રોશ જોવા મળ્યો હતો અને દેશમાં આતંકવાદીઓ અને તેના આકા પાકિસ્તાનને સબક શીખવાડવા માટેની માંગ ઉઠી હતી જેમાં દરેક ધર્મના લોકો એક સૂરે દેશમાં આ કાયરતા પૂર્ણ કૃત્ય કરનારને પાઠ ભણાવવા લોક માંગને લઈને ભારત સરકારે ‘ઓપરેશન સિંદુર’ અંતર્ગત પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અને પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી લોન્ચપેડને એરસ્ટ્રાઇક કરી નેસ્તનાબૂદ કરી દેતાં પાકિસ્તાન પોતાની ખોટી શાખ બચાવવા ભારત સામે જંગે ચઢ્યું હતું અને ભારતીય સરહદી વિસ્તારમાં સંઘર્ષ વિરામ નું ઉલ્લંઘન કરીને સેના અને નિર્દોષ નાગરિકોના રહેણાંક વિસ્તારોમાં ડ્રોન, મિસાઈલ,તોપ, વિવિધ ગનથી હૂમલો શરૂ કર્યો હતો જેના જવાબમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોએ વળતો પ્રહાર શરૂ કરી દીધો છે ત્યારે દેશના વડાપ્રધાન,ગૃહમંત્રી, રક્ષામંત્રી દ્વારા ત્રણેય સેનાઓને છૂટ આપતા યુધ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે એક મહિના બાદ શરુ થનારી અમરનાથયાત્રા યાત્રા જે પહેલગામના પડાવથી શરૂ થાય છે તે યાત્રા માટે કરાવેલ બુકિંગ રદ્ કરાવી રહ્યા છે સાથે જ વર્તમાન સ્થિતિની અનિશ્ચિતતા ને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા માટે બુકિંગ ઇન્કવાયરીમા પણ લોકો નિરસ જણાઇ રહ્યાં છે જેના કારણે ટુરિઝમ ક્ષેત્રે ટ્રાવેલ્સ સંચાલકોને કરોડોનું નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. હાલમાં લોકો કાશ્મીર અને તેની આસપાસના પર્યટન સ્થળો પર પણ લોકો બુકિંગ નથી કરાવી રહ્યાં જેના કારણે ટુરિઝમ ક્ષેત્રે નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે.
જમ્મુ કાશ્મીરમાં હોટલોના રૂમના ભાડાં ઘટી ગયાં છતાં વર્તમાન સ્થિતિ ને લઇ બુકિંગ ઇન્કવાયરી પણ નથી
આટલા વર્ષોમાં યાત્રિકો પર હૂમલાની આ પહેલી ઘટના પહેલગામમા બની છે જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ છે ત્યારે આગામી અનિશ્ચિતતા વચ્ચે એક મહિના બાદ યોજાનારી અમરનાથ યાત્રા માટે નવી ઇન્કવાયરી માટે લોકો નથી આવી રહ્યા તથા કેટલાક લોકોએ અમરનાથ યાત્રા માટે કરાવેલા બુકિંગ રદ્ કરાવી રહ્યા છે સાથે જ કાશ્મીર અને તેની આસપાસ ના પર્યટન સ્થળો કે જ્યાં હોટલોના રૂમના ભાડાં અડધા કરી દેવાયાં છતાં લોકો ફરવા જવાનું ટાળી રહ્યાં છે જેના કારણે ફક્ત કાશ્મીર માટે બે કરોડની આસપાસ નો ધંધો ટ્રાવેલ્સને હતો તેમાં હવે મંદી છે ત્યારે ટુરિઝમ ક્ષેત્રે કરોડોનું નુકસાન થવાની ભીતી છે.સામાન્ય રીતે અમરનાથ યાત્રા ના એક મહિના અગાઉ તો મોટા ભાગે બુકિંગ થઇ જતાં હોય છે પ્લેનના બુકિંગ થઇ જાય છે પરંતુ હાલમાં કેટલાક લોકો પ્લેનના બુકિંગ પણ રદ્ કરાવી રહ્યા છે.
-દિવાનભાઇ- ટૂર સંચાલક જરીવાલા ટ્રાવેલ્સ
