Comments

રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી સત્તા મેળવી શકશે?

રાજસ્થાનમાં આ વર્ષના અંતે અન્ય રાજ્યો સાથે કે અલગ ચૂંટણી થવાની છે. કોંગ્રેસ પાસે સત્તા હોય એવાં રાજ્યો ગણ્યાંગાંઠ્યાં છે. એટલે આ રાજ્યમાં ફરી સત્તા મળે એ કોંગ્રેસ માટે જરૂરી છે. પણ એવું બનશે ખરું? રાજસ્થાનનું રાજકારણ રસપ્રદ તબક્કામાં પહોંચી ગયું છે કારણ કે, કોંગ્રેસમાં ગેહલોત અને પાયલોટ વચ્ચે જે મતભેદો છે એ ખુલ્લા છે અને ભાજપમાં પણ બધું સરખું નથી. આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે મતભેદો દૂર કરવામાં કોંગ્રેસનું મોવડીમંડળ સફળ રહ્યું તો શક્ય છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી સત્તા મેળવે.

૨૦૧૮માં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સત્તા પર આવ્યો. કોંગ્રેસને ૯૯ બેઠકો મળી હતી અને આબાદમાં બસપાના બધા સભ્યો અને પેટા ચૂંટણીમાં વિજય થતાં આજે કોંગ્રેસનું સંખ્યાબલ ૧૦૮ થયું છે. ગેહલોત અને પાયલોટ વચ્ચે મતભેદો ખાળવા પાયલોટને નાયબ મુખ્યમંત્રી બનાવાય અને અનુભવી ગેહલોતને મુખ્યમંત્રીનું પદ અપાયું. પાયલોટ રાહુલ ગાંધીથી નજીક હોવા છતાં આવું બન્યું. પાયલોટને તો રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ પણ બનાવાયા હતા. પણ નારાજ પાયલોટે બળવો કહી શકાય એવો વિરોધ કર્યો અને મધ્યપ્રદેશમાં જ્યોતિદારિત્ય સિંધિયાએ કરેલું એવું તો પાયલોટ નહીં કરે એવી આશંકા સર્જાઇ હતી. બાદમાં પાયલોટને નાયબ મુખ્યમંત્રી અને પ્રમુખપદ બંનેથી હટાવાયા. બંને નેતાઓ વચ્ચે મનમેળ કરાવવાના પ્રયત્નો અવારનવાર થયા છે પણ એમાં ટૂંકી સફળતા જ મળી છે.

છેલ્લે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ બંને સાથે લાંબી બેઠક કર્યા બાદ એવું સમજાયું કે, બંને વચ્ચે મનમેળ થઈ ગયો છે. ગેહલોટે કહ્યું પણ ખરું કે બંને સાથે રહી લડીશું અને ફરી સત્તા મેળવીશું. પણ ફરી પાયલોટના બાગી સૂર શરૂ થઈ ગયા છે. તાજેતરમાં એમણે પાંચ દિવસની યાત્રા પણ કરી હતી અને વસુંધરા રાજેના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદે તપાસની વાત ફરી દોહરાવી હતી. કોંગ્રેસે રાજસ્થાનમાં પ્રમુખ પણ બદલાવ્યા અને ભાજપે પણ એમ જ કર્યું છે. સતીશ પૂનીયાની જગ્યાએ સી પી જોશીને જવાબદારી આપવામાં આવી અને એમણે સારું કામ કર્યું છે. પણ વસુંધરા રાજેને ફરી મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવવા કે નહીં એ મુદે્ ભાજપમાં મતભેદો છે. વસુંધરા રાજેને તાજેતરમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મહત્ત્વ અપાયું હતું એ કેટલાક સંદેશ આપે છે. પણ વસુંધરા રાજેને સુકાન સોંપાશે કે કેમ એ નક્કી નથી.

કર્ણાટકનાં પરિણામો પછી કોંગ્રેસ જોરમાં છે પણ ભાજપે અહીં જોરશોરથી પ્રચાર શરૂ તો કરી જ દીધો છે અને રાજસ્થાનને જ ધ્યાનમાં રાખી અર્જુન મેઘવાળને સારું ખાતું અને જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવાયા છે. એનો કેટલો ભાજપને ફાયદો થશે એ કહેવું મુશ્કેલ છે. પણ કર્ણાટકની જેમ જ ગેહલોત દ્વારા લોકોને લોભાવે એવી જાહેરાતોની શરૂઆત થઈ ચૂકી છે. મફત વીજળી અપાવાની છે અને બીજાં કેટલાંક વચનો પણ અપાશે. ભાજપ આ સામે કઈ રીતે આગળ વધે છે એ જોવાનું રહે છે.

મણિપુરમાં શાંતિ ક્યારે?
મણીપુરમાં શરૂ થયેલાં તોફાનો શાંત પડતાં નથી. દેશના ગૃહ મંત્રી અમિત શાહ આ રાજ્યની મુલાકાતે છે એની હજુ કોઈ મોટી અસર નીપજી નથી. અમિત શાહે જુદા જુદા જૂથ સાથે મુલાકાતો કરી શાંતિના પ્રયાસો જરૂર કર્યા છે. પણ મેઇતી અને નાગા – કુકી સમુદાય વચ્ચે જે ઘર્ષણ છે એ બંધ થયું નથી. મૃત્યુ આંક વધતો જાય છે અને નુકસાની ચારેકોર જોવા મળી રહી છે. મોટા ભાગના જિલ્લામાં કર્ફ્યૂ છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.

મણીપુરના મુખ્યમંત્રી બીરેનસિંહ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયા છે અને ઉગ્રવાદીઓ અશાંતિ ફેલાવી રહ્યા છે એવા દાવાને લશ્કરી વડાએ નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે આ બે સમાજ વચ્ચેના ઘર્ષણનો પ્રશ્ન છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસ સ્ટેશનમાં લૂંટ થઈ છે અને સાધનો લઈ જવાય છે એ પાછાં આપી જવા મુખ્યમંત્રી અપીલ કરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સમસ્યા વકરી છે. મેઇતી સમાજને અનુસૂચિત જાતિમાં સમાવાય તો પોતાના હક છીનવાશે એવું નાગા – કુકી સમાજને લાગે છે. આ વાતને સ્પષ્ટ કરવામાં ના આવે ત્યાં સુધી મણીપુરમાં શાંતિ સ્થપાવાની નથી. અમિત શાહે ન્યાયિક તપાસની જાહેરાત કરી છે તો સામે મણીપુરના સ્ટાર રમતવીરોએ અસંતોષ વ્યક્ત કરી જણાવ્યું છે કે , શાંતિ ના સ્થપાઈ તો એ એમને મળેલા મેડલ સરકારને પરત કરશે. ભાજપના કેટલાક ધારાસભ્યમાં પણ અસંતોષ છે અને એમાં કેટલાંક રાજીનામાં આપી દેવાની ચીમકી પાયાએ છે. કેન્દ્ર સરકાર માટે આ રાજ્યની અશાંતિનો મુદો પડકારજનક બની ગયો છે.

સમીર વાનખેડે જેલમાં જશે?
મહારાષ્ટ્રનાં એનસીબીના એક વેળાના ડાયરેક્ટર અને નિડર – નીતિમાન અધિકારીની છાપ ધરાવનાર સમીર વાનખેડેએ કેટલાયને જેલમાં મોકલ્યા છે પણ હવે એમણે જેલમાં જવું પડે એવી સ્થિતિ આવી પડી છે. આ અધિકારી સુશાન્તસિંહના કેસમાં પણ ખોટા પડ્યા હતા અને કૃજમાં માદક પદાર્થો મુદે્ દરોડો પાડી કેટલાકને પકડ્યા અને એમાં સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ પકડ્યો. એની પાસેથી ધરપકડ કરી શકાય એટલું ડ્રગ્સ પકડાયું નહોતું પણ વાનખેડે વારેવારે બોલિવૂડના કલાકરો કે એના પરિવારને સંડોવી પ્રસિધ્ધિ મેળવતા રહ્યા છે.

એમનો ભાંડો ફૂટ્યો છે અને એમની બદલી તો અન્યત્ર ક્યારની કરી દેવાઈ છે અને હવે એમની તપાસમાં એવું જણાયું છે કે, એમણે ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે છ વાર વિદેશયાત્રા સપરિવાર કરી હતી. એટલું જ નહીં પણ મોંઘીદાટ ઘડિયાળો અને અન્ય વસ્તુઓ પણ ખરીદી છે. આર્યન ખાનને છોડવા માટે વચેટિયા દ્વારા ૨૫ કરોડ મંગાય અને પછી ૧૮ કરોડમાં સોદો ફાઇનલ થયો અને રૂ. ૫૦,૦૦૦ એડવાન્સ પેટે આપી પણ દેવાયા અને કોર્ટમાં કેસ ચાલુ થયા બાદ વાનખેડે બચાવની મુદ્રામાં છે. એમણે પોતાના અને શાહરુખ ખાન વચ્ચેની વાતચીતની ક્લિપ કોર્ટમાં સબમિટ કરી એનાથી તપાસ એજન્સી નારાજ છે કારણ કે, વાનખેડેએ અન્ય કેટલીક વાતો છુપાવી છે. હવે એ છૂટી જશે કે જેલમાં જશે એ કહેવું મુશ્કેલ છે.
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top