Comments

પાકિસ્તાન અભૂતપૂર્વ નાણાંભીડમાં કેમ સલવાઇ ગયું?

પાકિસ્તાનને આટલી અભૂતપૂર્વ નાણાંભીડ શા માટે પડી? તે સમજવા માટે અર્થતંત્ર અને તેની બારીકાઇઓ સમજવાનો પ્રયત્ન કરવો પડે તેમ નથી. એક દેશ પોતાની ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવી પાકિસ્તાનની જમીન (આખું પાકિસ્તાન) ભાડે આપતો હતો. મસમોટું ભાડું ચૂકવતા હતા ને અમેરિકાને અને નાટોને પાકિસ્તાનની ગરજ ન રહી તેથી ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું. ભાડાની આવક, વ્યાજવટાની આવકમાં જે પ્રજા અને સંતાનો મોટાં થાય તેઓ બેશક પરોપજીવી બની જતાં હોય છે. પાકિસ્તાને પોતાના પગ પર ઊભા રહી શકાય તેવાં, અર્થાત્ દેશને માફક આવે અને લોજિકલ ગણાય તેવા કોઇ ઉદ્યોગો વિકસાવ્યા નહીં. ત્રાસવાદનો ધંધો ચલાવ્યે રાખ્યો, પરિણામે કાપડ, દવા, ઉદ્યોગ વગેરે જે થોડા ઘણા વિકસ્યા હતા તે પણ ત્રાસવાદને પરિણામે ઠપ પડી ગયા છે.

તેમાં વળી પુરની હોનારત આવી. વિદેશી ભિક્ષા અર્થાત્ ભાડા પર રહેવાની પરોપજીવી વૃત્તિને કારણે આવક થઇ રહી હતી જેને તેઓ પોતાની કુશળતા અને ચતુરાઇ દ્વારા થયેલી કમાણી ગણતા હતા. ત્રાસવાદની નિકાસને પરિણામે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છાપ એટલી હદે બગડી ગઇ કે હજી સુધી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાન પર ભરોસો મૂકવાના લાખ પ્રયત્નો કર્યા છતાં ફંડને ભરોસો બેઠો નથી અને ‘અમે ભરોસો મૂકવાને લાયક પણ નથી’ એવું પાકિસ્તાનીઓએ, આઇએમએફના આકારણી અધિધકારીઓ ન્યુ યોર્ક પહોંચે તે અગાઉ પુરવાર કરી દીધું. પાકિસ્તાનના બે મહત્ત્વના ત્રાસવાદી સંગઠનો હીઝબુલ મુજાહીદ્દીન અને લશ્કરે તૈયાના સરદારો અનુક્રમે સૈયદ સલાહુદ્દીન અને હાફીઝ સૈયદ જાહેરમાં દેખાયા.

વાસ્તવમાં તેઓના પર પ્રતિબંધ છે, પણ હંમેશની માફક દેખાવનો જ પ્રતિબંધ છે. તેઓએ ભારત અને દુનિયાને ધમકીઓ આપી જેનું મૂલ્ય આજકાલ બગડેલા ટીસ્યુ પેપર જેવું રહી ગયું છે. દરમિયાન કાશ્મીર, ભારતમાં અને પાકિસ્તાનમાં રહીને જે લીડરોએ કાશ્મીરમાં આતંકવાદ પોષ્યો હતો તેઓમાંથી ત્રણની અલગ અલગ ઘટનાઓમાં પાકિસ્તાનનાં શહેરોમાં બંદૂકધારી બાઇકસવારોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હમણાં હમણાં હત્યા કરી નાખી છે. તેની પાછળ કોનો હાથ છે તે નક્કી થઇ શકયું નથી. તર્કોવિતર્કો ચાલી રહ્યા છે. કોઇ ભારત અને ઇઝરાયલને તો કોઇ ખુદ પાકિસ્તાનની સરકારને તે માટે જવાબદાર ગણાવે છે. કારણ કે પાકિસ્તાનની સરકાર હવે એ ત્રાસવાદીઓની ચુંગાલમાંથી છૂટવા માગે છે.

પાકિસ્તાનના અર્થશાસ્ત્રી અકમ હુસૈન એક સારી અને સાચી વાત કહે છે. એમનું કહેવું છે કે પાકિસ્તાનના અર્થતંત્રનો ઢાંચો પાકિસ્તાનના ભદ્ર, જમીનદાર અને વ્યાજખોર વર્ગ દ્વારા નકકી કરાયો છે, સેટ કરાયો છે. એમના કહેવા પ્રમાણે પાકિસ્તાનનો ઇતિહાસ જ આવો રહ્યો છે, જેમાં સામાન્ય વર્ગને, ગરીબ વર્ગને કોઇ મહત્ત્વ અપાતું નથી.’ ઇશ નિંદા માટે સામાન્ય લોકોને, ખાસ કરીને ગરીબ, બિનમુસ્લિમ લોકોને મારી નાંખવામાં આવે છે. ઇસ્લામાબાદ નજીક એક શર્ટ ફેકટરીના શ્રીલંકન મેનેજરને ટોળાએ ઇશનિંદાનો અપરાધી ગણાવી મારી નાખ્યો.

બે વરસ પહેલાંની વાત છે. શું કામ કોઇ પાકિસ્તાનમાં ધંધો કરવા જાય? જો કે એ બાબતમાં ભારતને પણ સો ગુણ ન મળે. મુંબઇમાં આઘાડી સરકારના શાસનમાં પોલીસ અધિકારીઓ, વેપારીઓ પાસેથી વસુલી મેળવવા જતા હતો. પોલીસ જ બોમ્બ ગોળા ગોઠવતી હતી. છતાં દૂષણ પાકિસ્તાન જેટલું વ્યાપક નથી. અપવાદરૂપ હોય છે. અકમલ હુસૈનનો મતલબ એ છે કે પાકિસ્તાને પોતાની ભૌગોલિક સ્થિતિનો લાભ ઉઠાવી અમેરિકા પાસેથી ભૂમિનો ઉપયોગ કરવા માટે ભાડું વસુલીને આવક રળવાનું અર્થતંત્ર ડેવલપ કર્યું હતું. જયારે જયારે પાકિસ્તાનમાં લશ્કરી શાસનો હતાં ત્યારે ત્યારે જ પાકિસ્તાનની વાર્ષિક આવક (જીડીપી) સામાન્ય કરતાં ઊંચે રહી હતી.

કારણ કે એ વરસોમાં ક્ષેત્રીય સુરક્ષાને નામે પાકિસ્તાનમાં વિદેશી નાણાંનો ધોધ આવતો હતો. એ કોઇ પાકિસ્તાનની મહેનતની કમાણી ન હતી. 1960માં જનરલ અયુબ ખાનના શાસન વખતથી આ આવકની શરૂઆત થઇ હતી. જનરલ ઝિયા ઉલ હક્કના સમયમાં સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો અને અમેરિકા માટે પાકિસ્તાન એક ફ્રન્ટલાઇન સ્ટેટ બની ગયું (યુક્રેનની માફક) ત્યારે અમેરિકા તરફથી પાકને મળતી મદદ ખૂબ વધી ગઇ હતી. સોવિયેત સંઘના વિસર્જન અને અફઘાનિસ્તાની મુકિત બાદ 1991 બાદ પાકિસ્તાનની આવકમાં ઘટાડો નોંધાયો. પણ આવક સાવ બંધ થઇ ન હતી. હવે તાલીબાનને ખાળવા અમેરિકાને પાકિસ્તાનની જરૂર પડી.

એકવીસમી સદીમાં પરવેઝ મુશર્રફ અમેરિકાની ‘વોર ઓન ટેરર’માં જોડાયા ત્યારે ફરીથી એ પ્રવાહ શરૂ થયો અને ‘શાંતિ ચાહક’ ઓબામાના શાસન સુધી ચાલુ રહ્યો. સન 1951 અને 2011 વચ્ચેના લગભગ સાઠ વરસમાં અમેરિકાએ પાકિસ્તાનને કુલ 67 (સડસઠ) અબજ ડોલરની સહાય આપી હતી. એ ઉપરાંત ત્રીસ અબજ ડોલરની આડકતરી સહાય, શસ્ત્રો વગેરેના રૂપમાં આપી હતી. વોર ઓન ટેરર વખતે તેર અબજ ડોલરની મદદ કરી હતી. 2009માં ઓબામાએ દેખાડવાના જૂદા દાંતનો સેટ વસાવ્યો. કેરી-લુગર-બેરમેન તરીકે ઓળખાતો કાનૂન ઘડયો અને પાકિસ્તાનને અપાતી સહાય શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા સામાજિક ઉત્થાનનાં કામો માટે વાપરવા માટે જ અપાતી થઇ.

ઓબામા આ કાનૂન વડે ભારતને પણ ખુશ રાખવા માગતા હતા જેથી વીળજી માટેના પરમાણુ સંયંત્રો ખરીદવા માટે ભારત તૈયાર થાય. વાસ્તવમાં સહાયની રકમ ત્રાસવાદ આચરવા માટે જ અપાતી હતી અને એ વરસોમાં ભારત વિરોધી ત્રાસવાદ ખૂબ વકર્યો હતો. ઓબામા મનમોહન સિંહને સંત કહેતા એવામાં સંત ફૂલીને ફાળકો બની જતા. સંત જેવા આચારવિચાર અપનાવી લીધા અને પૂરી ચાંચમાંથી પડી જવા માંડી.

જો કે હિલરી કલીન્ટન પાકિસ્તાનની ભાડું ખાવાની નીતિથી નારાજ હતા. એમણે એક વખત કહ્યું પણ હતું કે જો પાકિસ્તાનનાં નાગરિકો કોઇ પણ પ્રકારના કરવેરા ભરતા ન હોય ત્યારે માત્ર અમેરિકા માટે પાકિસ્તાનને નિભાવવાનું મુશ્કેલ છે. સાઉદી અરેબિયાના નાણાં મંત્રીએ પણ થોડા મહિના અગાઉ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મિટિંગમાં ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન પોતાની આર્થિક રીતભાતોમાં સુધારા નહીં લાવે તો સાઉદી તરફથી ખાસ મદદની અપેક્ષા રાખી શકશે નહીં. બરાબર એ જ દિવસોમાં પાકિસ્તાન સરકાર દ્વારા વિદેશની લકઝરી મોટરકારોની આયાત માટે ડોલર પૂરા પડાતા હતા.

પાકિસ્તાન જયારથી ચીનની નજીક ગયું અને જો બાયડન અફઘાનિસ્તાનને રેઢું મૂકીને ઘરવાપસ થઇ ગયા ત્યારથી વિશેષપણે પાકિસ્તાનને પોતાની ભૌગોલિક સ્થિતિનો ફાયદો મળવાનું બંધ થઇ ગયું છે. પાકિસ્તાન તેમાં કુલ બજેટના પચ્ચીસ ટકા બજેટ તો માત્ર સંરક્ષણ વિભાગને ફાળવતું રહ્યું છે. સેનાના અધિકારીઓએ આ રકમ લૂંટીને પોતપોતાના માટે ઇસ્લામાબાદ પરિસરમાં ભવ્ય વિશાળ મહેલ જેવા બંગલાઓ બાંધ્યા છે. પાકિસ્તાનમાં જ સેંકડો, હજારો એકર જમીનો ખરીદી છે. વિદેશોમાં મોંઘામૂલી પ્રપર્ટીઓ વસાવી છે.

પાકિસ્તાન પર એકસો અબજ ડોલર જેટલું કરજ છે તેમંથી 87 અબજ એકલા ચીનનું છે. ચીન સાથેની દોસ્તી બેધારી તલવાર પુરવાર થશે. આગળ લખી ગયા કે એક સ્કેન્ડલ જાહેર થવાથી પણ ચીનનો પાકિસ્તાન પરનો ભરોસો ઊઠી ગયો છે. કહે છે કે છેલ્લા ઘણા સમયથી બ્રિટનના રોયલ એર ફોર્સનું એક કાર્ગો વિમાન નિયમિત રીતે કરાચી આવતું અને કરાચીથી અમુક દારૂગોળો ભરીને ઊડી જતું. આ બાબત ગુપ્ત રખાઇ હતી પણ આજકાલ આવી પ્રવૃત્તિ ગુપ્ત રાખવાનું શકય નથી. કહે છે કે ચીને પાકિસ્તાનને પૂરી પાડેલી સાવ ઓછી ક્ષમતાની મિઝાઇલો, દારૂગોળો વગેરે ભરીને એ વિમાન યુક્રેન પહોંચતું હતું. આ રીતે ચીનનો સામાન, ચીનની જાણ વગર જ ચીનના દુશ્મન દેશોના હાથમાં પહોંચાડવામાં આવતો હતો. પાકિસ્તાનની આ ગુસ્તાખીથી ચીનની સાથે સાથે રશિયા પણ પાકિસ્તાન પર ખફા થશે. પણ તેમાં પાકિસ્તાન આવક રળતું હતું. પાકિસ્તાન તો સાવ સલામત હોય ત્યારે વિશ્વાસભંગ કરવાને ટેવાયેલું છે ત્યારે મરતાં પાકિસ્તાન કયા નહીં કર સકતા?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top