SURAT

વલસાડ-વડનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ શરૂ, આ સ્ટેશનો પર રોકાશે, શિડ્યૂલ નોંધી લો…

સુરત (Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) ગામ સુધી દોડતી વડનગર-વલસાડ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને (Vadnagar Valsad InterCity Express Train Start) આજે તા. 3 નવેમ્બરની સવારે દેશના રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન દર્શના જરદોષે લીલી ઝંડી બતાવી શરૂ કરાવી હતી. આ ટ્રેન દક્ષિણ ગુજરાતને મહેસાણા સાથે કનેક્ટ કરવા ખૂબ જ ઉપયોગી બની રહેશે. ખાસ કરીને બેચરાજી, મોઢેરા અને પાટણના તીર્થ સ્થાનો અને ફરવાલાયક સ્થળો સુધી પહોંચવું દક્ષિણ ગુજરાતના લોકો માટે વધુ સરળ બનશે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર વડનગર અને અન્ય નજીકના શહેરો માટે વધારાની ટ્રેન સેવાની લોકોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ થઈને વલસાડ અને વડનગર વચ્ચે એક નવી દૈનિક ઇન્ટરસિટી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન સેવા આ રૂટ પર સતત વધતી જતી માંગને પૂરી કરશે અને શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રા ની સાથે સાથે સામાન્ય મુસાફરો અને પ્રવાસીઓ માટે અત્યંત સુવિધા જનક રહેશે.

દક્ષિણ ગુજરાતનું વલસાડ એ દક્ષિણ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક શહેરોમાંનું એક છે જેમાં રસાયણ, કાપડ તેમજ કાગળ અને લૂગદી ઉદ્યોગો જેવા ક્ષેત્રોનો આધાર છે. તો બીજી તરફ વડનગર ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે. વડનગર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર મહેસાણા-વરેઠા બ્રોડગેજ લાઇન પર આવેલું છે. વડનગર ઐતિહાસિક રીતે મહત્વનું શહેર છે અને તે વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટનો એક ભાગ છે. તાજેતરમાં, ભારતીય રેલ્વેએ વડનગર સ્ટેશનને સૌંદર્યલક્ષી ડિઝાઇન કરેલ પથ્થરની કોતરણી સાથે પુનઃવિકસિત કર્યું છે. પ્રવેશ અને નિકાસ દ્વાર પણ સ્થાપત્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ફરતા વિસ્તારને લેન્ડસ્કેપિંગ સાથે પ્રદાન કરવામાં આવ્યું છે.

મોરબીની દુર્ઘટનાને લીધે રાજ્યવ્યાપી શોક હોય એક દિવસ મોડી ટ્રેન શરૂ કરાઈ
વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોએ વલસાડથી વડનગર સુધીની ટ્રેનની ડિમાન્ડ કરી હતી. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી હતી. વલસાડથી વડનગર ઇન્ટર સીટી ટ્રેન (Inter City) 2જી નવેમ્બર 2022થી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મોરબી દુર્ઘટનાના પગલે રાજ્યમાં 2 નવેમ્બરે રાજવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેનનું લોકાર્પણ કાર્યક્રમ પણ એક દિવસ લંબાવવામાં આવ્યો હતો. આજે તા. 3 નવેમ્બરની સવારે સુરત રેલવે સ્ટેશન પર મંત્રી દર્શના જરદોષે લીલી ઝંડી બતાવી ટ્રેન શરૂ કરાવી છે.

દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તર ગુજરાતીઓને મળશે ફાયદો
વલસાડ, વાપી સહિત સમગ્ર જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં કેટલાય વર્ષોથી ધંધા-રોજગાર અને નોકરી (Job) અર્થે સ્થાયી થયેલા ઉત્તર ગુજરાત તરફના લોકોની વર્ષો જૂની માંગને રેલવે વિભાગ પૂર્ણ કરવા માટે ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 4 નવેમ્બરથી વલસાડથી વડનગર સુધી સુપરફાસ્ટ ઈન્ટરસિટી (Intercity) નિયમિત રૂપે દોડશે. ગુજરાત ક્વિન ટ્રેન બાદ આ એક વધુ સુવિધા ઉત્તર ગુજરાતના લોકોને મળતાં આનંદનો પાર નથી.

4 નવેમ્બરથી ટ્રેન નિયમિત દોડશે
આ ટ્રેન આવતી અને જતી વખતે નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા થોભશે. જેમાં બેઠક વ્યવસ્થા એસી ચેરકાર, ચેરકાર, અને બીજાવર્ગની શ્રેણીના સામાન્ય કોચ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન 4 નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી પ્રસ્થાન કરશે અને સાંજે 4:45 કલાકે વડનગર પહોંચશે. ત્યાંથી આ ટ્રેન પરત સાંજે 5:20 કલાકે ઉપડશે અને રાત્રે 12:55 કલાકે વલસાડ આવી પહોંચશે. જોકે, જેમાં રોજ પ્રાત: 5:45 કલાકે વલસાડથી ઉપડી આ ટ્રેન બપોરે 12:45 કલાકે વડનગર પહોંચશે. સાંજે 4:45 કલાકે વડનગરથી ઉપડી રાત્રે 12:35 કલાકે વલસાડ પરત આવી પહોંચશે.

Most Popular

To Top