Charchapatra

શાંતિ ની ખોજ…

આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં  મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે છે કે માગવામાં આવે છે તેમાં પણ દેહાવસાન પામેલના આત્માને શાંતિ મળે એવુંજ મંગાય છે. કયારેય એવું માગવામાં નથી આવતુ કે મૃતાત્માને ધનસંપત્તિ, બંગલા, મોટર, સંતાન , નોકરી કે દુનિયાભરનાં સુખ મળે. આવી તો કેટલીયે શોકસભામાં કે પ્રાર્થના સભામાં આપણે હાજરી આપી હશે, પણ કયારેય એવું વિચારતા નથી કે જે માણસ મૃત્યુ પામ્યો છે એ જીવતો હતો ત્યારે એની પાસે બધુંજ હતું છતાં એ હંમેશા શાંતિની ખોજમાં ભટકતો રહેતો હતો.

પરમાત્મા સમક્ષ શાંતિની યાચના કરતો રહે છે.  કોઈ પૂછે કેમ છો, શું ચાલે છે ? તો ટૂંકાક્ષરી જવાબ ‘શાંતિ.’ ખરેખર તો નથી તે ધન લઈ જઈ શકયો કે નથી મેળવી શકયો જીવનમાં શાંતિ.  એટલે જ કદાચ મૃતાત્માનો આત્મા જયાં હોય ત્યાં એને ચિર શાંતિ મળે એવીજ પ્રાર્થના કરાય છે.  શું મનુષ્યની શાંતિની ખોજની યાત્રા મૃત્યુ બાદ પણ ચાલુ જ રહે છે ? એમ જ હોય તો આ બધી દોડાદોડ, કામના, સંગ્રહખોરી,ઉધામા વગેરે નિરર્થક છે . આપણને સૌને આટલું સમજાય જાય તો જીવનમાં શાંતિ જ શાંતિ .બાકી આંખ મીંચાઈ જાય કે શરીર વિવિધ રોગનું ઘર બની જાય પછી બધું જ નપુંસક.
સુરત     – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top