Comments

અધિકારીઓ કરતાં કેબિનેટ પાસે વધારે સત્તા હોય છે!

ભારતમાં રાજનીતિ કયા મુદ્દે મોટી થશે તે કોઇ કહી શકતું નથી. અહીંયા નેતાઓના ફોટા પણ રાજનીતિનો ભાગ કે ભોગ બને છે. એમાંય જયારથી કેજરીવાલની આપ પાર્ટી મેદાનમાં આવી છે ત્યારથી પ્રચાર – પ્રસાર અને નાટકીય પ્રસંગો ઊભા કરવામાં તે ભાજપને પૂરતી સ્પર્ધા પૂરી પાડે છે. પહેલાં દિલ્હીમાં મફતનું બુલડોઝર ફેરવી દીધું અને હવે પંજાબમાં રાજકીય નેતાઓના ફોટાનો મુદ્દો ઉપાડયો. પંજાબના મુખ્યમંત્રીશ્રીએ કચેરીઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવતાં જ હવે ગુજરાતમાં પણ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબની તસવીર લગાવવાની માંગણી થઇ છે. ભાજપના જ સિનિયર સંસદસભ્યોએ માંગણી તો કરી તો ગુજરાત સરકારે ત્વરિત પગલાં લેવાના બદલે ગુજરાત વહીવટીય સેવા વિભાગ (GAD) પાસે સૂચન માંગ્યાં. જયાંથી કદાચ એવી સલાહ મળી કે આપણે ત્યાં સરકારી કચેરીઓમાં જે સક્રિય મહાપુરુષોના ફોટા લગાવવાની ગાઇડલાઇન છે તેમાં આ નામ નથી! ગુજરાતનાં મુખ્ય સમાચાર પત્રોએ આ સમાચાર ચર્ચામાં પણ લીધા છે.

હવે ગુજરાતના વિદ્વાનો ચર્ચા કરી રહ્યા છે કે સરકારી ઓફિસોમાં કોના કોના ફોટા રાખવા જોઇએ! વળી ભારતમાં રાષ્ટ્રીય નેતાઓની લાંબી હારમાળા છે. તો કોના લગાવવા અને કોના ન લગાવવા તે પસંદગીના પ્રશ્ન ઊભા થાય. વગેરે…. પણ મૂળ મુદ્દો તસવીર લગાડવાનો નથી! મૂળ મુદ્દો મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય નિર્ણય લેવા માટે GAD – વહીવટીય અધિકારીઓને પૂછે છે! અને નિર્ણય ન લેવા માટે ગુજરાત વહીવટીય સેવા વિભાગને જવાબદાર ગણે છે. તેના પત્રો – પરિપત્રોને આધાર બનાવે છે! તો મૂળ ચર્ચા આ થવી જોઇએ કે શું વિભાગ કે અધિકારીશ્રીઓ રાજયની કેબિનેટ કે સી.એમ. ઓફિસથી પણ વધારે શકિતશાળી છે! સાદી સમજણ તો એવી છે કે ચૂંટાયેલા નેતાઓ દ્વારા સરકાર બને જેમાં નીતિવિષયક નિર્ણયો અને વ્યવહાર માટેના કાયદાઓ બને! આ નિર્ણયો અને કાયદાઓ કેબિનેટ દ્વારા લેવાય. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મંત્રીશ્રીઓ ચર્ચા વિચારણા દ્વારા કાયદાઓને મંજૂરી આપે. જે વિધાનસભામાં પણ મંજૂર થાય. હવે વહીવટીય વિભાગે કાયદા બનાવવાના નથી! લખેલા કાયદાઓ મુજબ વહીવટ કરવાનો છે! જો મુખ્યમંત્રીશ્રી અને તેમનું મંત્રીમંડળ ધારે કે સરકારી ઓફિસોમાં લગાવવામાં આવતા નેતાઓના ફોટાનું લિસ્ટ વધારવું છે! તો તે વધારી શકે! એમાં નવું શું છે! જે કામ પંજાબના મુખ્યમંત્રીશ્રી કરી શકે છે તે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પણ કરી જ શકે છે! વાત માત્ર આ નથી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક જાહેરાત કરવા યોગ્ય નિર્ણયો જ કેબીનેટ કરે છે.

બાકી બધું તો અધિકારીશ્રીઓ જ નક્કી કરે છે. ગુજરાતના રોજિંદા શાસનમાં નેતાઓનું ઓછું અને અધિકારીઓનું જ વધારે ચાલે છે તેવો ઘણાનો મત છે. પ્રશ્ન અધ્યાપકોનો હોય, ડોકટરોનો હોય, સફાઇ કામદારોનો હોય કે અન્ય કોઇ નિયમોની ગૂંચ કે વિરોધાભાસ હોય, નેતાઓ તો તાર્કિક રજૂઆત માની જ જાય છે. આધાર-પુરાવા-તર્ક સાથે થયેલી રજૂઆત પછી મંત્રીશ્રી આશ્વાસન આપે છે કે આ કામ થશે! આ નિયમ બદલાશે, પરિપત્ર થઇ જશે પણ સમય વિતવા છતાં આ થતું નથી! અને ફરી પૂછવામાં આવે તો જવાબ મળે છે. GADમાં ગયું છે. ત્યાં હજુ કિલયર થયું નથી! ઘણી વાર GAD ના પાડે છે. ના જવાબ સાથે વાત પતી જાય છે. તો પ્રશ્ન એ છે કે GAD પાસે વધારે સત્તા છે કે કેબિનેટ પાસે! રાજય વિધાનસભા સર્વોપરી છે કે વહીવટીય વિભાગ? અને તો પછી લખ્યું જ ના હોય એવું બધું રાતોરાત કેમ મંજૂર થઇ જાય છે? આ પ્રશ્ન છે? અને આ પ્રશ્ન સામાન્ય પ્રજાનો નથી. પણ પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો છે! આ પ્રશ્ન એમને થવો જોઇએ! ગુજરાતમાં શાસન કોનું ચાલશે? ચુંટાયેલા નેતાઓનું કે નિમાયેલા અધિકારીશ્રીઓનું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top