Charchapatra

સુરતી બળેવ

નાળિયેરી પૂનમના દિવસે તાપીમાં હોડી ડૂબી જવાની દુર્ઘટનાની યાદમાં મૂળ સુરતીઓ બીજા દિવસે પડવા પર બળેવનો તહેવાર(રક્ષા બંધન)ની ઉજવણી કરે છે. સુરતી બળેવના દિવસે અલગ માહોલ રહેતો હતો.આગલે દિવસે મિઠાઈની ખરીદી માટે ઝાંપા બજાર,ભાગળ અને નવસારી બજારમાં મિઠાઇની દુકાનોમાં લાઈનો લાગતી.દૂધીનો હલવો,દૂધબદામનો હલવો,ચીકુનો હલવો વિ.સુરતી મિઠાઈનું ધૂમ વેચાણ થતું.જ્યારે રેશમની રાખડીની જ પરંપરા હતી.એટલે એવી રાખડીઓનું વેચાણ વધુ થતું. બળેવના દિવસે બેન ભાઈને રાખડી બાંધવા પિયર આવતી અને ભાભી એના પિયર જતી. ટૂંકમાં ભાભી નણંદની એક જ દિવસે બળેવ થતી.બેન ભાઈને સુરતી મિઠાઈ જ ખવડાવતી અને બેન જાતે રસોઈ કરી જમતી.ભોજનમાં શીખંડ,મઠો અને બાસુદી અને ખમણ તો ખરા જ.જ્યારે રાત્રે ભોજનમાં દરિયાઈ મેવો હોય. સાંજે શેરી મોહલ્લામાં જોઈએ તો દરેક ઘરોના ઓટલા બેનોથી ભરેલા હોય,મોહલ્લાની બાળપણની બહેનપણીઓ તે દિવસે મળતી અને બાળપણની વાતો વાગોળતી.હવે સુરતમાં બિનસુરતીઓની વસ્તી વધુ હોવાથી પૂનમના દિવસે રક્ષાબંધનનો માહોલ વધારે લાગે છે.સુરતીઓની તહેવારની ઉજવણી કરવાની કઈ અલગ પરંપરા છે, તે આવી જૂની યાદો તાજી કરવાથી મૂળ સુરતી હોવાનો ગર્વનો અનુભવ થાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top