SURAT

સુરત: સેન્ટ્રલ ઝોનમાં હજુ પણ રસ્તાની મોંકાણ, રસ્તો બેસી જતાં ટ્રક ફસાઈ

સુરત: શહેરમાં દે’માર વરસાદને (Rain) કારણે આ વર્ષે રસ્તાઓની (Road) હાલત બદ્દતર થઈ છે. રસ્તાઓ પર જ્યાંને ત્યાં ખાડાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર પર પસ્તાળ પડતા રાઉન્ડ ધ ક્લોક રસ્તા રિપેરની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખાડા પુરવાની કામગીરીમાં વેઠ જ ઉતારવામાં આવી રહી છે. ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતા સેન્ટ્રલ ઝોનમાં ટાવર નજીક એક ટ્રક (Truck) ખાડામાં ફસાઈ ગઈ હતી.

સુરતના ટાવર વિસ્તારમાં ઉતાવળે પુરી દેવાયેલા ખાડામાં એક મોટી ટ્રક ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોના કારણે રસ્તા બંધ હોય, ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બીજી બાજુ ખાડા પણ હજી લોકોને હેરાન કરી રહ્યા છે. ખાડા પુરવામાં રીતસર વેઠ ઉતારવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે. ત્રણ દિવસમાં તમામ ખાડા પુરવાનો દાવો કરનાર તંત્રની પણ પોલ ખુલી રહી છે. સદ્નસીબે મોટી ટ્રક ફસાતા કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સવાર સુધી ટ્રકને ખાડામાંથી ન કાઢી શકાતા, ટ્રાફિક જામને કારણે લોકો પરેશાન થયા હતા.

બારડોલીની સુરુચિ વસાહત નજીક મિંઢોળા બ્રિજ ઉપર ભંગાણ સર્જાતાં ટ્રાફિકને અવરોધ
બારડોલી: સુરતના હજીરા પોર્ટથી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે નં.૫3 ઉપર આવેલા બારડોલીના સુરુચિ વસાહત નજીકના મિંઢોળા બ્રિજ ઉપર બારડોલીથી પલસાણા જતા માર્ગ ઉપરના બ્રિજ ઉપર ગત ત્રણ દિવસથી મોટું ગાબડું પડી જતાં સ્લેબના સળિયા દેખાવા સાથે મોટા બાકોરામાંથી નીચે વહેતું નદીનું પાણી દેખાવા સાથે સતત વાહનોની અવરજવરથી ઉભરાતાં અગત્યના હાઇવે ઉપર ટ્રાફિકથી યાતાયાતને મોટી અસર પહોંચી છે.

ગત વર્ષોમાં આશરે 2015ની સાલમાં બંધાયેલા નાંદીડા ગામની સીમના ઓવરબ્રિજનું આવરદા ખૂટી પડી હોય તેમ અચાનક બ્રિજની વચ્ચોવચ નદીના વહેતા પાણી દેખાય તેવું મોટું ગાબડું પડી જતાં બારડોલીથી પલસાણા તરફ જતા હાઇવેનો માર્ગ ભારે અવઢવમાં મુકાઈ ગયો છે. મીંઢોળા ઓવરબ્રિજ સહિત થોડે દૂર આવેલા નાની ધામડોદ અને એના વચ્ચેના ઓવરબ્રિજ ઉપર પણ સાઈડના ભાગે ભૂતકાળમાં બાકોરા દેખાવા પામ્યા હતા અને માર્ગના પોપડા ઉખડી જેવા સાથે અવારનવાર ટ્રાફિક અવરજવર મુશ્કેલીમાં મુકાઇ હતી. હજીરાથી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કલકાત્તા, ઓરિસ્સા રાજ્ય સાથે સીધું જોડાણ ધરાવતા નેશનલ હાઇવે નં.53ની કામગીરી નબળી જણાતી હોય તેમ અવારનવાર અનેક ઠેકાણે ભંગાણ સર્જાવા છતાં અગમ્ય સંજોગોમાં હાઇવે નિર્માણમાં વપરાયેલા મટિરિયલનો લેબોરેટરી ટેસ્ટ પણ કરાતો નથી મુજબની ચર્ચાઓ ઊઠતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સ્થાનિક અધિકારીઓ ભંગાણના સ્થળે માત્ર રિફલેક્ટર અને રીબીન મૂકી પોતાની ફરજમાં નિષ્ક્રિય ચલાવી રહ્યા છે.

Most Popular

To Top