SURAT

હવે ઝડપથી ટનલ બનશે- ચોકબજાર અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બનાવવા ટીબીએમના પાર્ટસ ઉતારાયા

સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો (Station) બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ (Underground) બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની (Tunnel Boring Machine) મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે. હાલ ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી (1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દેવાયું છે. તેમજ હવે જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે ટીબીએમ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

  • ચોકબજાર અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બનાવવા ટીબીએમના પાર્ટસ ઉતારાયા
  • ઈજારદાર દ્વારા એપ્રિલ માસમાં રિંગ બિલ્ડીંગ અને મે મહિનામાં ટનલ ખોદકામ શરૂ કરાશે

ગુલેમાર્ક કંપની દ્વારા કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીની ટનલ બનાવાશે. જેમાં પ્રથમ તબક્કામાં કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધીની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. જે માટે હવે બંને ટીબીએમ સ્થળ પર કાર્યરત કરી દેવાયા છે. તેમજ જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલ માટે ટનલ બોરીંગ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરાઈ છે. આ ટીબીએમ મશીન દ્વારા રીંગ બિલ્ડીંગની કામગીરી એપ્રિલ માસમાં શરૂ થશે અને મે માસ સુધીમાં ટનલ ખોદાણની કામગીરી શરૂ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે. શરૂઆતમાં ટીબીએમની અંતર કાપવાની ગતિ ધીમી હોય છે. પરંતુ ધીરે ધીરે મશીન દ્વારા ઝડપથી કામ કરવામાં આવતું હોય છે. જે. કુમાર દ્વારા ચોકબજાર, મસ્કતિ અને સુરત રેલવે સ્ટેશન એમ ત્રણ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટે ટનલ બનાવવાની કામગીરી કરાશે.

મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ
સુરત : શહેર માટે મહત્વના એવા મેટ્રો રેલની કામગીરીને પગલે શહેરમાં ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ સુરત મેટ્રો દ્વારા જ્યાં કામગીરી નથી થઈ રહી ત્યાં પણ બેરીકેટ લગાવી દઈ અગાઉથી જ રસ્તા બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ પરેશાની કોટ વિસ્તારના લોકોને થઈ રહી છે. કારણકે કોટ વિસ્તારમાં પહેલેથી જ રસ્તાઓ સાંકળા છે અને તેમાં હવે રસ્તાઓ બંધ કરાતા લોકોને ટ્રાફિકને કારણે હાલાકી થઈ રહી છે. શનિવારે મેટ્રોની કામગીરીને પગલે મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો અને લોકો રોષે ભરાયા હતા. વહેલી સવારથી મહિધરપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જતા લોકોને ઓફિસે પહોંચવામાં પરસેવો પડી ગયો હતો.

Most Popular

To Top