Comments

ધ્યાન ઓછું કર

એક મોટા ઝેન ગુરુ પાસે તેમનો એક શિષ્ય આવ્યો.એ શિષ્ય બહુ હોંશિયાર હતો અને તે વધુ ને વધુ ઝડપથી બધું શીખીને આગળ વધવા માંગતો હતો.ઝેન ગુરુની એક ખાસ રીત હતી. તેઓ પોતાના દરેક શિષ્યને દરેક બાબતમાં એમ જ કહેતા કે વધુ મહેનત કરો.વધુ ધ્યાન કરો. વધુ ઊર્જા ઉત્પન્ન કરો. વધુ ને વધુ વાચન કરો. ગુરુજીનો એક જ મહામંત્ર હતો જે મેળવવું છે તે વધુ ને વધુ કરો અને આગળ વધો.

શિષ્યે ગુરુજીને કહ્યું, ‘ગુરુજી, મને ખબર છે કે આપ મને જે કરું છું તે બધું જ વધુ ને વધુ કરવા કહેશો અને હું મારી પૂરેપૂરી શક્તિ વાપરીને જે વધુમાં વધુ કરી શકું એટલું કરું જ છું. ગુરુજી, હું પ્રામાણિકતાથી વધુ ને વધુ ધ્યાન કરવા પ્રયત્ન કરું છું. હવે આપ મને કહો કે હું એવું તે શું કરું, જેથી જલ્દીથી આગળ વધી શકું.’ શિષ્યના મનમાં હતું કે ગુરુજી મારા આ સખ્ત પ્રયત્નોના અચૂક વખાણ કરશે.

ગુરુજી હસ્યા, પણ કંઈ બોલ્યા નહિ. થોડી વાર પછી શિષ્યે ગુરુજીને ફરી વિનંતી કરી; ગુરુજીએ બધું ધ્યાન આપ્યું નહિ.શિષ્યની ધીરજ ખૂટી. તે બોલ્યો, ‘ગુરુજી, શું વાત છે? શું મારી કોઈ ભૂલ થઈ છે? શું મારી મહેનત તમને ઓછી લાગે છે? તમે જે કહેશો તે હું કરીશ. શું તમને એમ લાગે છે કે હું નહિ કરી શકું? તમે મને કહો તો ખરા, તમે જે કરવાનું કહેશો અને જેટલું વધુ કરવાનું કહેશો હું કરીશ.’

ગુરુજી ઊભા થયા અને શિષ્યના ખભા પકડીને તેને બેસાડ્યો અને કહ્યું, ‘વત્સ, જરા શાંત થા. જરા ધીમો પડ. તું ખૂબ વધારે પ્રયત્નો કરી રહ્યો છે. જરા અટક; થોડા પ્રયત્નો ઓછા કર. તું ધ્યાન ધરાવાથી, ઝેનના ઉપદેશોથી થોડો વધારે ભરાઈ ગયો છે. જે કરે છે તેનાથી થોડું ઓછું કર તો પણ બરાબર કામ થશે. કોઈ પણ વસ્તુની અતિ નુકસાન છે. ધ્યાન પણ વશીભૂત કરી શકે છે અને કોઈ પણ વસ્તુથી વશીભૂત થવું એક સમસ્યા છે. પછી તે ધન હોય, જ્ઞાન હોય, અભિમાન હોય, શક્તિ હોય કે ધ્યાન હોય. કોઈ પણ વસ્તુથી વધુ ને વધુ ઘેરાઈ જવું સમસ્યા છે.

લોકો પૈસા અને સુખથી વશીભૂત થઇ તેના બંધાણી થઈ જાય છે. તું આધ્યાત્મિક જ્ઞાન અને ધ્યાનથી ઘેરાઈ ગયો છે. આગળ વધવા માટે વ્યક્તિનું મુક્ત રહેવું જરૂરી છે. ખાલી હોવું જરૂરી છે. ધ્યાન હોય કે જ્ઞાન કોઈ દ્વારા વશીભૂત થવાની જરૂર નથી. જયારે સમય આવ્યે તું આપોઆપ ધ્યાન અને જ્ઞાનથી ઉભરાઈશ ત્યારે તને પરમ સત્ય સમજાશે.’ ગુરુજીએ શિષ્યને સાચો માર્ગ સમજાવ્યો.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top