India

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા CEO પદ માટે ભરતી: જાણો લાયકાત, પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ

રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિરના રોજિંદા વહીવટ, મેનેજમેન્ટ અને નાણાકીય બાબતોની દેખરેખ માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ માટે સત્તાવાર વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ વહીવટી પદ માટે માત્ર હિન્દુ ઉમેદવારો જ અરજી કરી શકે છે.

મહત્વની તારીખો અને અરજીનું માધ્યમ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: શનિવાર, 18 જુલાઈ 2026, સાંજે 4:00 વાગ્યા સુધી.
  • અરજી કરવાનું માધ્યમ: રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા ખાસ ઈમેલ આઈડી searchcommittee.srjbt@gmail.com પર પોતાનું આવેદન પત્ર મોકલી શકે છે.

CEO પદ માટે જરૂરી મુખ્ય લાયકાત

ટ્રસ્ટે આ પદની ગંભીરતા અને ભવ્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી ક્ષેત્રના અનુભવી લોકો પાસેથી જ અરજીઓ મંગાવી છે:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ઓછામાં ઓછો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટહોવો અનિવાર્ય છે.
  • ઉંમર મર્યાદા: અરજી કરનારની ઉંમર 50 થી 70 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
  • અનુભવ: વહીવટી કે વ્યવસ્થાપન ક્ષેત્રે ઓછામાં ઓછો 20 વર્ષનો વ્યાપક અનુભવ હોવો જરૂરી છે.
  • ભાષાનું જ્ઞાન: ઉમેદવારને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓનું સારું જ્ઞાન અને પકડ હોવી જરૂરી છે.

CEO ની મુખ્ય જવાબદારીઓ અને કાર્યો

પસંદગી પામનાર મુખ્ય કાર્યકારી અધિકારીએ મંદિર અને ટ્રસ્ટના હિતમાં નીચે મુજબની 16 મુખ્ય જવાબદારીઓ નિભાવવાની રહેશે:

1. સંસ્થાના નિયમો અને ઉદ્દેશ્યો અનુસાર તમામ કાર્યોનું સંચાલન કરવું. 2. સંસ્થાના તમામ સભ્યો અને કર્મચારીઓના કાર્યો પર દેખરેખ રાખવી. 3. સંસ્થાના લક્ષ્યો અને નિયમો અનુસાર કામકાજની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. 4. સંસ્થાના અધિકારીઓ, સેવકો અને કર્મચારીઓના કાર્યોનું યોગ્ય રીતે સંચાલન કરવું. 5. સંસ્થાની વર્તમાન ગતિવિધિઓ અને ભવિષ્યની યોજનાઓનું સચોટ સંચાલન કરવું. 6. સંસ્થાની આર્થિક, વહીવટી અને અન્ય જરૂરિયાતોને પૂરી કરવાની વ્યવસ્થા કરવી. 7. સંસ્થાની આર્થિક બાબતો, ઓડિટ અને નાણાંની લેણદેણમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવી. 8. નિયમો અનુસાર તમામ સભ્યો અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવવો. 9. સંસ્થાના તમામ કાર્યો, યોજનાઓ અને કાર્યક્રમો સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું. 10. સંસ્થા માટે જરૂરી ભવન, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા અને તેની સુરક્ષા કરવી. 11. કર્મચારીઓની સમસ્યાઓ, સવલતો અને જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવું. 12. સંસ્થામાં સમય-સમય પર યોજાતી બેઠકો અને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થા કરવી. 13. સંસ્થા અને મંદિરની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવી રાખવી તેમજ સનાતન ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન કરવું. 14. સંસ્થાની અસ્કયામતો અને સંપત્તિની સુરક્ષા કરવી અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું. 15. ટ્રસ્ટ બોર્ડની બેઠકોનું આયોજન કરવું અને બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયોનો સખત અમલ કરાવવો. 16. સંસ્થાના તમામ કાર્યો અને સોંપવામાં આવેલી જવાબદારીઓને પ્રમાણિકતાથી પૂરી કરવી.

જે પણ ઉમેદવારો આ તમામ માપદંડો અને કડક શરતોને પૂર્ણ કરતા હોય, તેઓ નિયત સમય મર્યાદા 18 જુલાઈ 2026 પહેલાં પોતાનો બાયોડેટા અને જરૂરી દસ્તાવેજો આપેલા ઈમેલ પર સબમિટ કરી શકે છે.

Most Popular

To Top