દિલ્હીમાં માત્ર બે કલાકના વરસાદ બાદ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પરિસરમાં પાણી ભરાઈ જવાની ઘટનાએ દેશની આધુનિક બાંધકામ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. દેશના સૌથી મોટા અને આધુનિક એરપોર્ટમાંથી એક ગણાતા IGI એરપોર્ટમાં જો વરસાદી પાણી મુસાફરોના માર્ગ અને પરિસર સુધી પહોંચી જાય, તો સવાલ માત્ર એટલો નથી કે વરસાદ કેટલો પડ્યો હતો. મોટો સવાલ એ છે કે દિલ્હીના હવામાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આટલી મોટી ઈમારતની ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેમ નિષ્ફળ ગઈ?
આ સમસ્યા માત્ર દિલ્હી એરપોર્ટ સુધી મર્યાદિત નથી. દેશના અનેક આધુનિક બાંધકામોમાં વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકવું, બેઝમેન્ટમાં પાણી ભરાવું અને ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ થવાની ઘટનાઓ સામે આવતી રહી છે. બેંગલુરુના નવા એરપોર્ટની છતમાંથી વારંવાર પાણી ટપકવાની ઘટનાઓ હોય કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતને અગાઉ તોફાનમાં થયેલું નુકસાન, આ તમામ બનાવો એક મોટા પ્રશ્ન તરફ ઈશારો કરે છે,અત્યાધુનિક ટેક્નોલોજી અને કરોડો રૂપિયાના બાંધકામ છતાં વરસાદ સામે આપણી ઈમારતો કેટલી તૈયાર છે?
ઘણી વખત આવી ઘટનાઓ પાછળ ભ્રષ્ટાચાર, હલકી ગુણવત્તાની સામગ્રી, કોન્ટ્રાક્ટરોની બેદરકારી, બાંધકામમાં સમાધાન અથવા યોગ્ય જાળવણીનો અભાવ જવાબદાર ગણવામાં આવે છે. આ કારણો હોઈ શકે છે, પરંતુ સમસ્યાનું મૂળ કદાચ તેનાથી પણ ઊંડું છે. તે છે ઈજનેરિંગ અને ડિઝાઇનની વિચારસરણી. ભારતના વિવિધ વિસ્તારોમાં ગરમી, ઠંડી, ભારે વરસાદ, ભેજ અને પૂર જેવી અલગ-અલગ પરિસ્થિતિઓ જોવા મળે છે. છતાં ઘણી નવી ઈમારતોમાં ડિઝાઇન કરતી વખતે સ્થાનિક હવામાન અને ભવિષ્યમાં આવનારી ભારે વરસાદની પરિસ્થિતિને પૂરતું મહત્વ આપવામાં આવે છે કે નહીં, તે મોટો પ્રશ્ન છે.આજની આધુનિક ઈમારતો બહારથી ખૂબ આકર્ષક દેખાય છે—વિશાળ કાચની દિવાલો, ચમકદાર છત, મોટા એટ્રિયમ, ખુલ્લી લોબી અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ હોય છે. પરંતુ ઈમારતનું સૌંદર્ય પૂરતું નથી. એક કલાકમાં અસામાન્ય પ્રમાણમાં વરસાદ પડે તો પાણી ક્યાં જશે? છત કેટલી માત્રામાં વરસાદી પાણી સહન કરી શકે છે?
ડ્રેનેજ સિસ્ટમમાં બેકફ્લો ન થાય તેની વ્યવસ્થા છે કે નહીં? આસપાસની જમીન કેટલું પાણી શોષી શકે છે? આવા સવાલો બાંધકામની શરૂઆતથી જ ડિઝાઇનનો ભાગ બનવા જોઈએ.રસપ્રદ વાત એ છે કે આપણા પૂર્વજોની પાસે આજની જેમ કમ્પ્યુટર મોડેલિંગ અને અત્યાધુનિક સોફ્ટવેર નહોતા, પરંતુ તેમને સ્થાનિક હવામાન અને પ્રકૃતિને સમજવાની ઊંડી સમજ હતી. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લખનઉનું ચારબાગ સ્ટેશન, દિલ્હીની જૂની ઔપનિવેશિક ઈમારતો, રાજસ્થાનની હવેલીઓ અને કેરળની ઢાળવાળી છતવાળી પરંપરાગત ઈમારતોમાં સ્થાનિક હવામાનને ધ્યાનમાં રાખેલી ડિઝાઇન જોવા મળે છે. આસામ અને પૂર્વોત્તરના વિસ્તારોમાં તો પૂર અને ભેજથી બચવા માટે ઘણા પરંપરાગત ઘરો જમીનથી ઊંચા બનાવવામાં આવતા હતા.
આજે બીજી મોટી સમસ્યા એ છે કે ડિઝાઇન, બાંધકામ અને જાળવણી ઘણી વખત અલગ-અલગ જવાબદારીઓમાં વહેંચાઈ જાય છે. પરિણામે જવાબદારી સૌની હોય છે, પરંતુ નિષ્ફળતા માટે જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બને છે. બીજી તરફ હવામાન પરિવર્તનને કારણે ટૂંકા સમયમાં ભારે વરસાદ જેવી અતિશય હવામાન ઘટનાઓનું જોખમ વધી રહ્યું છે. તેથી જૂના સરેરાશ વરસાદના આંકડા આધારે ડ્રેનેજ ડિઝાઇન કરવી પૂરતી નથી. ભવિષ્યની ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવું જરૂરી છે.આ સમસ્યાનો ઉકેલ માત્ર એરપોર્ટ પૂરતો ન હોવો જોઈએ. શહેરોના અંડરપાસમાં પાણી ભરાવું, ફ્લાયઓવર નીચે જળબંબાકાર થવો, મેટ્રો સ્ટેશનમાં પાણી ઘૂસવું અથવા મોલના બેઝમેન્ટમાં પાણી ભરાવું જેવી ઘટનાઓને પણ ગંભીરતાથી જોવી પડશે. દરેક મોટા જાહેર બાંધકામ માટે ક્લાઇમેટ ઓડિટ ફરજિયાત બનાવવાની જરૂર છે. ઈમારત બનતા પહેલાં તે સ્થાનિક વરસાદ, ગરમી, પવન, ભેજ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે કે નહીં તેની ચકાસણી થવી જોઈએ.
આધુનિકતા છોડવાની જરૂર નથી. ભવ્ય એરપોર્ટ, કાચની ઈમારતો, મોલ અને અત્યાધુનિક સ્ટેશન ચોક્કસ બનવા જોઈએ. પરંતુ સાચી આધુનિકતા એ હશે કે નવી ટેક્નોલોજી સાથે આપણા પૂર્વજોની પ્રકૃતિ અને સ્થાનિક હવામાનને સમજવાની બુદ્ધિ પણ જોડાય. વરસાદ કોઈ દુશ્મન નથી; વરસાદ ભારતના જીવનનો મહત્વનો ભાગ છે. જો દર વખતે ભારે વરસાદ આપણી નવી ઈમારતોની નબળાઈ ઉજાગર કરે, તો સમસ્યા માત્ર વરસાદમાં નહીં પરંતુ આપણી ડિઝાઇન અને ઈજનેરિંગની વિચારસરણીમાં પણ છે.