Madhya Gujarat

પેટલાદમાં ત્રણ દિવસ દરમિયાન પાલિકા દ્વારા બસ્સોથી વધુ દબાણ હટાવતા રસ્તા ખુલ્લા દેખાયાં પેટલાદમાં રસ્તાની રોનક પરત મળી

પેટલાદ : પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. બુધવારના રોજ પણ શાક માર્કેટથી કોલેજ ચોકડી અને રણછોડજી મંદિરથી સાંઈનાથ ચોકડી સુધીના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ત્રણ દિવસ દરમ્યાન લારી, ગલ્લા, કેબીનો, શેડ વગેરે મળી આશરે 200થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે, ખાણી પીણીની લારીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા અંગે યોગ્ય કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પેટલાદ ખાતે સિવીલ હોસ્પિટલ પાસેથી દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા દ્ધારા 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી આજે કોલેજ ચોકડી તથા સાઈનાથ ચોકડી સુધી પહોંચી હતી. બુધવારના રોજ બપોરે 12 કલાકથી શાક માર્કેટ પાસેથી દબાણો હટાવવાના શરૂ કર્યા હતા. પાલિકાની ટીમો સુપર માર્કેટ સામે પહોંચતા કેબીનો દૂર કરાતા લોકટોળા ભેગા થઈ ગયા હતા.

પાલિકાની દબાણ હટાવ કામગીરીથી શહેરના સરદાર ચોકથી કોલેજ ચોકડી સુધીના રાજમાર્ગ ઉપર આવેલ ખાણી પીણી લારીઓ વાળા સૌથી વધુ પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રણછોડજી મંદિર સામેના કેબીનોના શેડ તથા નજીકમાં પાકા દબાણો તોડી પાડતાં દબાણકારોમાં ભય અને ફફડાટ જોવા મળતો હતો. જેને કારણે રણછોડજી પોલીસ ચોકીથી ચાવડી બજાર સુધીના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયા છે. કેટલાક દુકાનદારોએ બહાર સુધીના શેડ અને સાઈન બોર્ડ પણ જાતે જ ઉતારી લીધા હતા.

આ પોલીસ ચોકી પાસે આવેલા પાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનો પાસે સૌથી વધુ દબાણો જોવા મળતા હતા. આ સ્થળે રાહદારીઓ માટે બનાવેલ ફુટપાથ વર્ષોથી જાણે કે ગાયબ થઈ ગઈ હોય તેમ જોવા મળતું હતું. સરવાળે પાલિકા દ્ધારા શરૂ કરવામાં આવેલા દબાણ હટાવ ઝુંબેશને કારણે શહેરના રાજમાર્ગો વર્ષો બાદ ખુલ્લા અને પહોળા દેખાયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. આ સમગ્ર મામલે ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતું કે મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો ટ્રાફિક માટે નડતરૂપ હતા. એટલે જે દબાણો હટાવાયા છે તે કોઈપણ સંજોગોમાં પુન: પ્રસ્થાપિત નહિ થઈ શકે. પરંતુ ખાણી પીણીની લારીઓ વાળા માટે કોઈ વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા આગામી દિવસોમાં વહેલીતકે કરવામાં આવશે.

Most Popular

To Top