Comments

પત્રકારનું કામ સરકાર બદલવાનું નહીં, સરકારની વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવાનું છે

1988 માં પત્રકારત્વમાં આવ્યો ત્યાર પછી મેં 1992-93 ના અમદાવાદનાં કોમી તોફાનો જોયાં અને તેનું રીપોર્ટીંગ પણ જોયું. આ સમયગાળામાં અમદાવાદમાં વ્યાપાક પ્રમાણમાં તોફાન થયાં હતાં.હિન્દુ મુસ્લિમ એકબીજાના લોહી માટે તરસ્યા બન્યાં હતાં અને વાતાવરણ આશંકાઓથી ભરેલું હતું. પણ અમદાવાદમાં ફરજ બજાવતા હિન્દુ મુસ્લિમ પત્રકારો પોતાનું કામ પ્રામાણિકપણે કરી શકતા હતા. અનેક સ્થળે પત્રકારને અલગ અલગ કોમના ટોળાનો સામનો કરવો પડતો હતો.

હિન્દુ પત્રકાર મુસ્લિમ વિસ્તારમાં અને મુસ્લિમ પત્રકાર હિન્દુ વિસ્તારમાં રીપોર્ટીંગ કરવા જતા હતા, પણ જયારે પણ હિન્દુ મુસ્લિમનું ટોળું પત્રકારને રોકે તેની સાથે પત્રકાર પોતાની ઓળખ આપે એટલે ટોળું કોઈ પણ કોમનું હોય, તે પત્રકાર છે એટલે તેને પોતાની કોઈ કોમ નથી તેવા આદર સાથે ટોળું તેમને સલામતીપૂર્વક રસ્તો આપતું હતું. પણ 2002 માં થયેલા કોમી તોફાન પછી પત્રકારત્વને મળતો આ આદર ક્રમશ: તળિયે પહોંચી ગયો.

2002 માં ગોધરાકાંડનું રીપોર્ટીંગ કરી હું અમદાવાદ પરત ફરી રહ્યો હતો ત્યારે મને વડોદરાના વાસદ પાસે એક હથિયારબંધ ટોળાએ રોકયો. મારો પરિચય માંગ્યો અને મેં કહ્યું પત્રકાર છું. તેમણે કહ્યું, પત્રકાર છો તે બરાબર, પણ હિન્દુ છો કે મુસ્લિમ. આ પ્રકારનો પ્રશ્ન થવો તે જ આઘાતજનક હતો. પત્રકાર ભલે દાવો કરતો હોય કે તેનો પોતાનો કોઈ ધર્મ નથી, પણ તેના આ દાવા સાથે મોટા ભાગનાં લોકો સંમત નથી.

વાંક માત્ર ટોળાની માનસિકતાનો જ નથી, કયાંક મોટી ચૂક થઈ પત્રકાર પોતાની ફરજ ચૂકયો અને સતત તેની ચૂક દોહરાતી રહી તેના કારણે પત્રકાર ઉપર પણ હિન્દુ મુસ્લિમનું સ્ટીકર લાગી ગયું. આવી જ સ્થિતિ સચિવાલય અને રાજકીય રીપોર્ટીંગ કરતા પત્રકારોની પણ થઈ. મેં લાંબો સમય સચિવાલય રીપોર્ટીંગની સાથે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીનું રીપોર્ટીંગ પણ કર્યું, જયારે પણ ચૂંટણી આવે ત્યારે પોલીટીકલ રીપોર્ટીંગ કરતા પત્રકારો વચ્ચે મિત્રભાવે ચર્ચા નીકળતી કે બોલો, પરિણામ શું આવશે અને કોની સરકાર બનશે,

ચર્ચાની આખરે બધાનો સૂર નીકળતો તો કોઈની પણ સરકાર થાય, પત્રકાર તરીકે આપણને શું ફેર પડે છે. આપણું કામ રીપોર્ટીંગ કરવાનું છે, પરંતુ 1996 પછી ગુજરાતમાં માહોલ બદલાયો. કેશુભાઈ પટેલની સરકાર ઉથલાવી મુખ્યમંત્રી થયેલા શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી થયા અને નિયમ પ્રમાણે તેમણે ધારાસભ્ય હોવું જરૂરી હોવાને કારણે તેઓ રાધનપુરથી ચૂંટણી લડયા. આ ચૂંટણીનું રીપોર્ટીંગ કરવા ગયેલા પત્રકારો ઉપર શંકરસિંહના ટેકેદારોએ એટલા માટે હુમલો કર્યો કે તેઓ માનતા હતા કે આ પત્રકારો ભાજપના સમર્થકો છે. જો કે આ ઘટના પછી ખબર પડી કે ખુદ શંકરસિંહ જ માનતા હતા, આ પત્રકારો ભાજપી થઈ ગયા છે તેના કારણે તેમની સૂચનાથી આવું પરાક્રમ કરવાની તેમના ટેકેદારોએ હિંમત કરી હતી. જો કે જેવું ગુજરાતમાં થયું તેવું 2014 પછી દિલ્હીમાં પણ થઈ ગયું છે. પત્રકાર બે ભાગમાં વહેંચાઈ ગયેલો દેખાય છે.

જે પત્રકાર સરકારનો કાન પકડવાનું કામ કરતા નથી તેવા પત્રકારો તો સ્વાભાવિક રીતે સરકારને ગમતા પત્રકારો છે, પણ જો સરકારનો કાન પકડવાની ગુસ્તાખી કરે છે તેમને સરકાર અને સરકારના સમર્થકો સરકાર વિરોધી માને છે. માત્ર સરકાર વિરોધી માને ત્યાં સુધી પણ વાંધો નહીં, તે પત્રકાર ઉપર સહજ આરોપ મૂકી દેવામાં આવે છે કે વિરોધ પક્ષના ઈશારે તે સરકારની પરેશાની વધારે છે. આ સ્થિતિને એક લાંબો ગાળો થઈ ગયો છે જેના કારણે પત્રકારોની એક પેઢી બદલાઈ ગઈ છે. નવી પેઢીના મોટા સમૂહે તંત્ર નારાજ ના થાય તેવો રસ્તો પસંદ કર્યો છે, જયારે એક નાનો સમૂહ છે તે પોતાની ઉપર થતા સતત આક્ષેપ વચ્ચે તંત્રની ખામીઓ શોધી તેને ઉજાગર કરી રહ્યો છે, તે પત્રકાર સરકાર અને તંત્રની ખામીઓ ઉજાગર કરે છે, તેની સાથે થતાં પક્ષપાતી વ્યવહારને કારણે તેની અંદર એક પ્રકારની કડવાશ અને ગુસ્સાનું મિશ્રણ થયું છે.

કયા પત્રકારે કેવું અને કેવી પ્રકારનું પત્રકારત્વ કરવું તે વ્યકિતગત બાબત છે. આપણે તેની ચર્ચા કરતા નથી, પણ જેઓ આક્રમકતાથી પોતાનું કામ કરે છે, તેવા પત્રકારો જાણે અજાણે એક પાતળી રેખા ઓળંગી જાય છે. કોઈ સરકાર અથવા તંત્રના તમે કાન પકડો ત્યારે સરકાર તમને ગુર્જર રત્ન એવોર્ડથી સન્માનિત કરશે તેવી અપેક્ષા તો રાખી શકાય નહીં, પણ સારો વ્યવહાર પણ કરશે નહીં. શકય હશે તો પરેશાન પણ કરશે, આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે પત્રકાર તંત્રની ખામીઓ પ્રજા સામે મૂકવાને બદલે સરકારને પાડી દેવાની ભૂમિકામાં આવી જાય છે.

ખુદ પત્રકારને પણ અંદાજ રહેતો નથી કે તે કયારે સરકાર બદલી નાખોની ભૂમિકામાં આવી ગયો છે, કારણ પત્રકારનું કામ સરકાર બદલવાનું નથી, પત્રકારનું કામ તેની ખામીઓ શોધવાનું છે, સરકારો તો આવતી જતી રહે છે, સરકાર કોની બનશે તે નક્કી કરવાનું કામ પ્રજાનું છે. આજે તે વિરોધ પક્ષમાં છે તે આવતી કાલે સરકાર બનાવે તો પણ પત્રકારની ભૂમિકામાં કોઈ ફેર પડવાનો નથી અને ફેર પડવો જોઈએ નહીં. એટલે સરકારને કે વિરોધ પક્ષને પાડી દો તેવી માનસિકતામાંથી પત્રકાર પોતાને બચાવી શકે તો તેમનું પત્રકારત્વ વધુ પરિપકવ થશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top