Vadodara

લિંબાસીમાં વિજ્ઞાનના પેપરમાં તબિયત લથડ્યા બાદ દિવ્યાંગ વિદ્યાર્થીનું મોત

નડિયાદ: બોર્ડની પરીક્ષા દરમિયાન લિંબાસીના વિદ્યાર્થીનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. દિવ્યાંગ વિદ્યાર્થીએ બે પરીક્ષાઓ આપ્યા બાદ આજે સોમવારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત લથડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. થોડા દિવસો પહેલા અમદાવાદના વિદ્યાર્થીનુ ચાલુ પરીક્ષાએ મોત નીપજતાં ચકચાર મચી હતી. આવો જ બનાવ સોમવારે ખેડા જિલ્લામાં બન્યો હતો. ખેડા જિલ્લાના માતર તાલુકાના લિંબાસી પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલ માલાવાડાનો દિવ્યાંગ વિદ્યાર્થી  સ્નેહકુમાર કે.ભોઈ, નડિયાદ ઝોનમાં લેવાયેલ SSC ધોરણ 10 વિજ્ઞાન વિષયના પેપરમાં લીંબાસી કેન્દ્રની નવચેતન હાઈસ્કૂલમાં પહોંચ્યો હતો. જ્યાં પેપર લખતી વખતે સ્નેહની તબિયત બગડતા 108 બોલાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે સ્નેહને મૃત જાહેર કર્યો હતો. સ્નેહ માતર તાલુકાના માલાવાડાની વિનય મંદીર શાળામાં અભ્યાસ કરતો હતો. આ બાબતે પરિવારજનોનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં સ્નેહ ગુજરાતી અને ગણિતનું પેપર આપ્યું હતું અને બંને પેપર સારા ગયા હતા.આજે વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હોવાથી તેની માતા સાથે ગયો હતો. તેની તબિયત સારી ન હોવાની જાણ સ્નેહની માતાએ આ બાબતે સુપરવાઇઝર તથા શિક્ષકોને જાણ કરી સ્નેહને જરૂર જણાય તો પાણી તથા લીંબુના શરબતની જરૂર પડે તો આપવા વિનંતી કરી હતી. જોકે, હાલમાં સ્નેહના મોતથી પરિવારમાં સોંપો પડી ગયો છે.

Most Popular

To Top