Top News

More Posts

   The Latest

Most Popular

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એકસાથે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાંથી 32 નક્સલીઓ પર લાખો રૂપિયાનું ઇનામ જાહેર હતું. આ ઘટનાને નક્સલવાદ વિરુદ્ધની લડતમાં મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે.

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે તા. 26 નવેમ્બર બુધવારે સુરક્ષા દળો સામે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ લાંબા સમયથી જંગલ વિસ્તારોમાં સક્રિય હતા અને વિવિધ નક્સલી સંગઠનો સાથે જોડાયેલા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી 32 નક્સલીઓના માથા પર કુલ લગભગ રૂ. 1.19 કરોડનું ઇનામ જાહેર હતું. સુરક્ષા એજન્સીઓએ આ આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં મોટી જીત ગણાવી છે.

જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આત્મસમર્પણ કરનારાઓમાં અનેક ઉચ્ચ અને મધ્યમ સ્તરના નક્સલીઓ સામેલ છે. તેમનો લાંબા સમયથી નક્સલી પ્રવૃત્તિઓમાં સીધો સમાવેશ રહ્યો હતો.

9 નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયાના ઈનામ જાહેર હતું
આ 9 નક્સલીઓમાં પાંડરુ હપકા ઉર્ફે મોહન, તેની પત્ની બંડી હાપકા, લક્કુ કોરસા, બદ્રુ પુનેમ, સુખરામ હેમલા, મંજુલા હેમલા ઉર્ફે શાંતિ, મંગલી માડવી ઉર્ફે શાંતિ, જયરામ કડિયામ અને પાંડો મડકમ ઉર્ફે ચાંદનીનો સમાવેશ થાય છે.

3 નક્સલીઓ પર 5-5 લાખ રૂપિયાના ઇનામ જાહેર હતું
કડિયામ ઉર્ફે મંગલ, જમાલી કડિયામ અને જોગી મડકમ ઉર્ફે માલતીનો સમાવેશ થાય છે.

ઉપરાંત તે સિવાય 12 નક્સલીઓ પર 2-2 લાખ અને 8 નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયા સુધીનું ઇનામ જાહેર હતું.

આ તમામ નક્સલીઓ દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી, તેલંગાણા સ્ટેટ કમિટી અને ધમતારી-ગરિયાબંદ-નુઆપડા ડિવિઝન જેવા મહત્વપૂર્ણ નક્સલી સંગઠનો સાથે જોડાયેલા હતા. આત્મસમર્પણ દરમિયાન તેઓએ ભારતીય બંધારણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકશાહી વ્યવસ્થામાં શાંતિપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ લીધો.

સરકારે દરેક આત્મસમર્પણ કરનારને રૂ. 50,000નું તાત્કાલિક પ્રોત્સાહન આપ્યું છે અને પુનર્વસન યોજનાઓ હેઠળ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સહાય આપવામાં આવશે.

અધિકારીઓ મુજબ આ વર્ષે બીજાપુર જિલ્લામાં 528 નક્સલીઓની ધરપકડ અને 144 નક્સલીઓના એન્કાઉન્ટરમાં મોત નોંધાયા છે. આ તાજેતરનું આત્મસમર્પણ નક્સલવાદને નબળો પાડવામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે. તેમજ આ તમામ નક્સલીઓની પૂછ-પરછ કરવામાં આવશે અને તે મુજબ તેમના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

To Top