Dakshin Gujarat

ઓલપાડના સાંધીએર ગામના બે ખેડુતોની શેરડી સળગતા લાખો રૂપિયાનું નુકસાન

દેલાડ:ઓલપાડ (Olpad) તાલુકાના સાંધીએર (Sandhiair) ગામના બે ખેડુતોની ઉભી શેરડી (Sugar Cane) દ.ગુ.વિજ કંપનીની એગ્રીક્લચર લાઈનમાં શોર્ટ સર્કિટના (Short Circuit) કારણે બળી જવાથી તેમજ કામરેજ તાલુકાના સાયણ નજીકના રૂંઢ-શેખપુર ગામના ખેડુતના (Farmer) ખેતરની પાંચ વિંઘા ઉભી શેરડીનો પાક કોઈ બદમાશે સળગાવી દેતા ત્રણે ખેડુતોને (Farmers) લાખો રૂપિયાનું નુકસાન થયું છે.જેના પગલે સાંધીએર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ દ.ગુ.વિ.કંપનીની બેદરકારીથી થયેલ નુકસાન મામલે યોગ્ય વળતર માટે વિજ કંપની વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપેલ છે.જો કે ખેડુતોના કહેવા મુજબ ઓલપાડ પોલીસને હજુ સુધી સ્થળ તપાસ કરી એફ.આઈ.આર.નોંધવાની પણ ફુરસદ મળેલ નથી.જેથી તેઓને વિજ કંપની દ્વારા વીમા કંપની ઉપર નુકસાની ક્લેમ કરી વળતર મેળવવા જરૂરી દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં હાલાકીનો ભારે સામનો કરવો પડી રહ્યો છે.

ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના ખેડુત અનિલ બાબુભાઇ બીડજાનું ઓલપાડ-સાયણ મેઈન રોડને અડીને ગામની ખેત સીમના સર્વે નંબર-૯૫ વાળી ૦૭ વિંઘા જમીન પૈકી બે એકર જમીનમાં સાયણ સુગર ફેક્ટરીની શેરડીનો ઉભો પાક કાંપણી માટે કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.જયારે સાંધીએર ગામના બીજા ખેડુત ભીખુભાઇ અને તેમના નાના ભાઈ ધનસુખ આહીરની સયુંકત માલિકીની અછારણ રોડ પર આવેલ ૦૪ વિંઘા જમીનમાં સાયણ સુગરની ઉભી શેરડી કાંપણી માટે બાંગો પોકારી રહી હતી.આ બંન્ને ખેડુતોના ખેતરમાંથી દ.ગુ.વિજ કંપનીની વિજ તાર લટકતી એગ્રીક્લચર વીજ લાઈન પસાર થાય છે.ગત તા.૦૮ અને તા.૦૯ સપ્ટેમ્બરના રોજ આ વિજ પોલના લટકતા તારમાંથી પસાર થઈ રહેલ ચાલુ વિજ પ્રવાહ દરમ્યાન ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ ભભૂકી ઉઠતા બંન્ને ખેડુતોના ખેતરમાં કાંપણીની રાહ જોઈ રહેલ ઉભી શેરડીનો પાક બળી જવા પામ્યો હતો.જેથી આ બાબતે ખેડુતોએ નુકશાની વળતર અને કાંપણી પહેલા શેરડી બળી જવાથી સુગરના દંડથી બચવા સાયણ સુગરમાં જાણ કરી હતી.

દોઢ મહિનો પછી સુગર પિલાણ સિઝન શરૂ કરે તેવી સ્થિતિમાં હાલમાં શ્રાદ્વના અસહ્ય તાપના પ્રકોપ વચ્ચે શેરડી સુકાઈ જવાની દહેશતથી ખેડુતોને લાખો રૂપિયાનું નુકશાનનો અંદાજ સેવી રહ્યા છે.જયારે દ.ગુ.વિજ કંપનીની બેદરકારીથી શેરડી બળી જવાથી નુકશાની વળતર ચૂકવવા આ બંન્ને ખેડુતોએ વિજ કંપની સબ ડિવિઝન,ઓલપાડ ઓફિસમાં અરજી આપી રજુઆત કરી હતી.જેના પગલે દ.ગુ.વિજ કંપનીના ડેપ્યુટી ઈજનેર નેહલ પટેલે નુકશાની બાબતનું સર્વે કરી પંચક્યાસ કરવાની કામગીરી તેજ કરી દીધી છે.પરંતુ નુકશાની વળતર માટે પોલીસ એફ.આઈ.આર.ની ફરજીયાત જરૂરીઆત હોવાથી ખેડુતોએ આ બાબતે તે જ દિવસે ઓલપાડ પોલીસ મથકમાં અરજી આપેલ હતી.જો કે હજુ સુધી પોલીસને ગુનો નોંધવાની ફુરસદ ન મળતા બંન્ને ખેડુતો પોલીસની ગોકળગાય ગતિની કામગીરીથી પરેશાની ભોગવી રહ્યા છે.

Most Popular

To Top