Madhya Gujarat

કંથારીયામાં NRIના મકાનમાં રૂ. 3.16 લાખની મત્તા ચોરાઇ

આણંદ : આંકલાવ તાલુકાના કંથારીયા ગામે રહેતા યુવકની દાદી બિમાર હોવાથી હોસ્પિટલ લઇ ગયાં હતાં. આ સમય દરમિયાન બંધ પડેલા મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.3.16 લાખની મત્તા ચોરી કરી હતી. આ યુવકના માતા- પિતા અમેરિકા રહે છે. કંથારીયા ગામે રહેતા નિરવ જયેશભાઈ પટેલના માતા – પિતા અમેરિકા રહે છે. જ્યારે અહીં પરિવારમાં તેના પત્ની અને દાદીમાં છે. દરમિયાનમાં 21મી જૂનના રોજ સાંજે દાદીની તબિયત લથડતાં તેમને સારવાર માટે તાત્કાલિક વાસદની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ સમયે ઘર બંધ હતું.

જે તકનો લાભ લઇ તસ્કરો બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઘરની તિજોરીમાં મુકેલા સોના- ચાંદીના દાગીના કુલ કિંમત રૂ.3.16 લાખની ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તસ્કરનું પગેરૂ દબાવ્યું હતું. પરંતુ ખાસ કશું હાથમાં લાગ્યું નહતું. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. આંકલાવ પંથકમાં વધી રહેલા ચોરીના બનાવના પગલે ફફડાટની લાગણી ફેલાઇ છે.

Most Popular

To Top