World

દુબઈમાં શરૂ થયું અનોખું ડીજીટલ મંદિર, OR-કોડથી જ મળશે એન્ટ્રી, જાણો મંદિરની ખાસિયત

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં (Dubai) દશેરાના (Dashera) એક દિવસ પહેલા 4 ઓક્ટોબરે એક નવા હિન્દુ મંદિરનું (New Hindu Temple) સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતના (India) ટોચના મહાનુભાવોની હાજરીમાં આ ભવ્ય મંદિરના દરવાજા સત્તાવાર રીતે ખોલવામાં આવ્યા હતા. આ હિન્દુ મંદિર જેબેલ અલી શહેરમાં અમીરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં આવેલું છે. આ મંદિર 70,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિરના ઉદઘાટન સમારોહમાં 200 થી વધુ મહાનુભાવો હાજર રહ્યા હતા.

જેમાં યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન, યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ) માટે સોશિયલ રેગ્યુલેટરી અને લાયસન્સિંગ એજન્સીના સીઈઓ ડો. ઓમર અલ મુથન્ના, દુબઈ હિન્દુ મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફનો સમાવેશ થાય છે. આ મંદિરની ખાસ વાત એ છે કે તેના પરિસરમાં ચર્ચ, ગુરુદ્વારા સહિત અનેક ધાર્મિક સ્થળો છે.

મંદિરના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા રાજદૂત સંજય સુધીરે કહ્યું, ભારતીય સમુદાય માટે આ એક આવકારદાયક સમાચાર છે કે આજે દુબઈમાં એક નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ UAEમાં રહેતા હિન્દુઓની મોટી વસ્તીની ધાર્મિક આકાંક્ષાઓને પૂર્ણ કરશે. આ નવું મંદિર એક ગુરુદ્વારાની બાજુમાં છે, જે 2012માં ખોલવામાં આવ્યું હતું.

દુબઈનું આ હિન્દુ મંદિર તમામ ધર્મોનું આધ્યાત્મિક કેન્દ્ર છે. મંદિરમાં હિંદુ ધર્મના 16 દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સાથે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જ્ઞાન કક્ષ અને સમુદાય કેન્દ્ર પણ છે. મંદિરની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ નવું હિન્દુ મંદિર ભક્તો માટે સવારે 6.30 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરમાં દરરોજ 1000 થી 1200 લોકો એકઠા થઈ શકે છે.

સફેદ માર્બલથી સજ્જ મંદિરનો અદ્દભૂત નજારો કેટલી જગ્યાએ બ્લેક માર્બલ પણ જોવા મળે છે, સફેદ દીવાલો પર 3D પ્રિન્ટેડ ગુલાબી કમળનું ફૂલ પણ છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ કરાઈ છે સ્થાપિત.

આ હિન્દુ મંદિરના આયોજન, સ્થાપત્ય અને નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર હિન્દુ સમુદાયના નેતા અને રીગલ ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ રાજુ શ્રોફ કહે છે કે કોવિડ-19 છતાં દુબઈ સરકારના સહકારને કારણે ત્યાં મંદિરના નિર્માણમાં કોઈ અવરોધ નથી. આ હિન્દુ મંદિર ખરેખર દુબઈ સરકારના સહકારનું ઉદાહરણ છે. પ્રથમ હિન્દુ મંદિર દુબઈમાં 1958માં પૂર્ણ થયું હતું. ત્યારથી, આ નવા મંદિરના ઉદઘાટન માટે પણ અમે સૌ દુબઈ સરકારના આભારી છીએ.

ભારતના મંદિરોમાં જેમ હોય છે તેમ આ મંદિરની છત પર પણ અસંખ્ય પિત્તળની ઘંટડીઓ લગાવવામાં આવી છે. મંદિરમાં OR-કોડ આધારિત એપોઇન્ટમેન્ટ બુકિંગ સિસ્ટમ દ્વારા જ એન્ટ્રી મેળવી શકાશે.

તમને જણાવી દઈએ કે આ મંદિર દુબઈનું બીજું હિન્દુ મંદિર છે. અહીં પહેલું હિન્દુ મંદિર 1958માં બનાવવામાં આવ્યું હતું. UAE માં ભારતના રાજદૂતે કહ્યું, “અમે સન્માનિત અનુભવિ રહ્યા છે કે UAEના ટૉલરેંસ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈમાં નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરના નિર્માણ માટે જમીન આપવા બદલ અમે દુબઈ સરકારના ઉપકારના પણ આભારી છીએ. તમને જણાવી દઈએ કે 1958માં દુબઈમાં ભારતીય સમુદાયના માત્ર 6,000 લોકો રહેતા હતા, જ્યારે આજે આ આંકડો 33 લાખ છે. આ લોકો દુબઈને પોતાનું બીજું ઘર માને છે.

મંદિરના અંદરના સ્તંભોની ડિઝાઇન ગુજરાતના સોમનાથ મંદિરથી પ્રેરિત છે. શિખરો હિન્દુ મંદિરની નાગર શૈલીથી પ્રેરિત છે. તેમજ મંદિરના નિર્માણ પાછળ અંદાજે 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

શું છે મંદિરની વિશેષતા
દુબઈના આ નવા મંદિરમાં હિન્દુ ધર્મના 16 દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ મૂર્તિઓની ડિઝાઇન મંડલાથી પ્રેરિત છે. મંદિરના આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ સુભાષ બોઈટે તેમના 45 વર્ષના અનુભવનો ઉપયોગ કરીને આ મંદિરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મંદિરમાં QR કોડ એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને લગભગ બે લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી.

અહીં આવનાર દરેક ભક્તે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. અહીં હિન્દી અને અરબી ભાષામાં સૂચનાઓ લખેલી છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ જયપુર, કન્યાકુમારી અને મદુરાઈના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે.

આ વર્ષના અંત સુધીમાં, એક વિશેષ સમુદાય કેન્દ્ર હશે જ્યાં પ્રાર્થના, લગ્ન, નામકરણ જેવા હિન્દુ કાર્યક્રમો યોજાશે. મંદિરના પહેલા માળે એક પ્રાર્થના હોલ હશે, જ્યાં હિન્દુઓના 16 દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવશે. આ સાથે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને રાખવા માટે એક અલગ રૂમ પણ હશે. આ વિસ્તારોમાં 4,000 ચોરસ ફૂટનો બેન્ક્વેટ હોલ, એક મલ્ટીપર્પઝ હોલ અને નોલેજ હોલનો સમાવેશ થાય છે, જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. કોમ્યુનિટી હોલ અને નોલેજ હોલમાં એકથી વધુ એલસીડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.

Most Popular

To Top