Dakshin Gujarat

કેન્સરમાં વ્હાલસોયા પુત્રને ગુમાવ્યા બાદ હવે માતા-પિતા તેની આ ઈચ્છા કરી રહ્યા છે પૂરી

ભરૂચ(Bhruch) : પરિવાર(Family)માં કોઇ પ્રિય વ્યક્તિનું યુવા વયે નિધન(Death) થાય ત્યારે પરિવારના મોભીઓ અંદરથી તૂટી જતાં હોય છે. પરંતુ ભરૂચના પોશ વિસ્તારમાં રહેતા પરીખ પરિવારનો એકનો એક દીકરો(Son) મનન કેન્સરમાં અવસાન પામ્યો હતો ત્યારબાદ આઘાતમાં સરી પડેલો આ પરિવાર જીવદયા તરફ વળી ગયો હતો. આગામી તારીખ 22 મેના રોજ સ્વ. મનનનો જન્મ દિવસ હોવાથી આ પરિવારે ભરૂચનગરને હરિયાળું બનાવવાનો નિર્ણય લીધો છે.

  • સ્વર્ગવાસી પુત્રની યાદમાં ભરૂચ નગરને હરિયાળું બનાવવા પરીખ પરિવારની નેમ
  • આ પરિવારના એકના એક પુત્રનું કેન્સરમાં નિધન થયા પછી અત્યાર સુધીમાં 6500 અબોલ પ્રાણીની સારવાર કરવામાં આવી છે
  • વાત્સલ્ય વંદના કાર્યક્રમ હેઠળ વૃદ્ધ અને નિ:સહાયને મફત ટિફિન સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે

‘અબોલ જીવ પ્રત્યે દયા એ પ્રભુ સેવા બરાબર છે.’ આ વાક્યને ભરૂચના જયેશભાઈ પરીખ અને તેમના જીવનસંગીની હીનાબેન પરીખ અપનાવી લીધુ છે. મૂળ તો જયેશભાઈ પરીખ વડોદરાથી ૧૯૮૧ની સાલમાં ટાઈલ્સ ધંધાર્થે ભરૂચની ખાતે આવીને વસી ગયા હતાં. પરિશ્રમ તેમના લોહીમાં હોવાથી પરિવાર જાણે આનંદના સોપાનો સર કરતા હતા. તેમાં પણ દીકરા મનનને અબોલ પશુઓ માટે ખૂબ જ લગાવ હતો. જિંદગીમાં અબોલ પશુ હંમેશા સ્વસ્થ રહે અને ફરતા રહે તેવું કરવાની તેની ભાવના હતી. જો કે અચાનક જ મનનને કેન્સરના મહારોગમાં સપડાઈ જતા સારવાર કરવાથી પણ મનોમન જીંદગી જીવીશ તો જીવદયા માટે કઈંક કરીશ. છતાં કુદરતને મંજૂર નહીં હોવાથી આખરે તા-૧૧મી માર્ચ-૨૦૧૭ના રોજ મનન મોતને ભેટ્યો હતો.

‘મનમૈત્રી’ સેવા ફાઉન્ડેશન ઉભું કર્યું
એકનો એક લાડકવાયો દીકરો મનનની ઘરમાં સૂચક ગેરહાજરી પરિવાર માટે ભારે આઘાતજનક હતી. છતાં પરિવારે બાથ ભીડી હતી ભલે આજે દીકરો નથી તો તેનું કામ અધુરૂ રાખવું યોગ્ય નથી તેવો વિચાર કર્યો હતો.આખરે દીકરો-દીકરીના નામે ‘મનમૈત્રી’ સેવા ફાઉન્ડેશન ઉભું કરીને અબોલ પશુઓ, અભ્યાસ કરતી નવી પેઢીને પગરખા સહીતની સવલતો સાથે લગભગ ૩ મહિનાથી વાત્સલ્ય વંદના દ્વારા ભરૂચ ૭૦ વર્ષના નિ:સહાય અને નિરાધાર વ્યક્તિઓને ફ્રીમાં ઘરબેઠા જમવાની ટીફીનસેવા સહીતના સેવા કાર્યો કરી રહ્યા છે. જો કે હાલમાં સેવાકીય પ્રવૃતિના પ્રેરક બળ પુરૂ પાડનાર મનનનો તા-૨૨મી મેના રોજ ૩૨ મો જન્મદિન છે. મનનનો ૧૯૯૧માં જન્મ થતા હિન્દુ પંચાગ પ્રમાણે વૈશાખ સુદ-૯ અર્થાત ‘સીતા નવમી’ આવે છે.

દીકરાની યાદમાં બનાવ્યું “મનન સ્મૃતિ વન”
મનનના પિતા જયેશભાઈ પરીખ કહે છે કે, વનમહોત્સવ નામ આપનાર ક.મા.મુનશી ભરૂચ નગરમાં અમે કાયમી ધોરણે “મનન સ્મૃતિ વન” તરીકે યાદગાર બનાવવા માટે કટિબદ્ધ છીએ. તેના તા-૨૨મી મેના દિવસે ૩૨મા જન્મદિને પ્રાણ, પ્રકૃતિ, પર્યાવરણ સુધારણા સહીત બધી જ જીવસૃષ્ટિ સુરક્ષા હેતુ માટે માતૃભૂમિમાં ૩૨ વિવિધ પ્રકારના ફળાઉ અને ઘટાદાર વૃક્ષો રોપાય તે પ્રકારે અમે વૃક્ષારોપણ કરીશું. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન પણ વૃક્ષારોપણ કરીને હરિયાળું નગર બનાવવા માટે અમે આતુર છીએ.

Most Popular

To Top