National

નીતિશ કુમારે કહ્યું 2024ની ચૂંટણીમાં વિપક્ષ એકજૂથ થશે તો નિર્ણય સારો આવશે

બિહાર: બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમારે (CM Nitish Kumar) મણિપુરમાં (Manipur) જેડીયુના (JDU) ધારાસભ્યોને ભાજપમાં (BJP) જોડાવવા અંગે કહ્યું કે આ કોઈ બંધારણીય કામ નથી. દેશમાં નવી રાજનીતિ ચાલી રહી છે. બીજા પક્ષના લોકોને તોડવું ખોટું છે. એટલા માટે 2024માં સમગ્ર વિપક્ષ સાથે મળીને તેમને પાઠ ભણાવશે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે આ સમયે દેશમાં લોકતાંત્રિક મૂલ્યોના ધજ્યાં ઉડી રહ્યા છે. આ સાથે તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા વિશે કહ્યું કે જો 2024માં વિપક્ષ એકજૂટ રહેશે તો નિર્ણય ઘણો સારો આવશે. આ સાથે નીતિશે ચેતવણીના સૂરમાં કહ્યું કે 2024ની ચૂંટણી પછી તેઓ તેમને પાઠ ભણાવશે. આ દરમિયાન નીતીશે સવાલ પૂછ્યો કે શું અન્ય પાર્ટીના ચૂંટાયેલા લોકોને તોડવું બંધારણીય કાર્ય છે?

નીતિશ વિપક્ષી નેતાઓને મળવા દિલ્હી જશે
જ્યારે નીતિશને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું તમે 2024ની ચૂંટણી માટે વિરોધ પક્ષોના નેતાઓને મળવા જશો તો તેમણે કહ્યું કે અમે દિલ્હી જઈશું, જલ્દી જઈશું. ઉલ્લેખનીય છે કે બિહારમાં બે દિવસીય જનતા દળ યુનાઈટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવાની છે. આ બેઠકને લઈને સમગ્ર પટનામાં JDUના પોસ્ટર-બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યારે નીતીશને પૂછવામાં આવ્યું કે બીજેપીના લોકો કહી રહ્યા છે કે જેને જ્યાં જવું હોય ત્યાં જાય, આમાં નુકસાન શું છે. ત્યારે નીતિશે કહ્યું કે એવું નથી. જ્યારે અમે ગઠબંધનમાં હતા ત્યારે અમે કોઈને લીધા ન હતા. અને હવે તે બધાને પોતાની તરફ લઈ ગયા છે.

ધારાસભ્યો સાથે પહેલા જ થઈ હતી વાત: નીતિશ કુમાર
નીતીશે કહ્યું કે મણિપુરના જેડીયુના જે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે તેઓની સાથે પહેલા જ વાત કરી હતી કે અમે એનડીએથી અલગ થઈશું. પાર્ટીના તમામ રાજ્યોના ધારાસભ્યો અને સાંસદો સાથે વાતચીત કરવામાં આવી હતી. જ્યારે અમે મહાગઠબંધન સરકારમાં શપથ લીધા ત્યારે આ તમામ ધારાસભ્યોએ ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ અત્યારે દેશમાં જે થઈ રહ્યું છે તે સારું નથી. કોઈપણ પક્ષને તોડવાની કોશિશ સારી વાત નથી.

જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મહત્વપૂર્ણ છે
જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલાથી જ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. નીતિશે પોતાની પાર્ટીના પદાધિકારીઓને પહેલા જ કહી દીધું હતું કે તેમણે રાજ્યમાં જે જોયું, તે હવે દેશમાં જોવા મળશે. માહિતી અનુસાર નીતિશે શનિવારે મોડી સાંજે મીટિંગની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશભરમાંથી પ્રતિનિધિઓ આવશે. હું માત્ર તૈયારીઓ જોવા આવ્યો છું. એવું માનવામાં આવે છે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીને મજબૂત કરવા માટે સંગઠનાત્મક રીતે પણ મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

નીતિશે ભાજપ પર નિશાન સાધ્યું હતું
ભાજપ પર પ્રહાર કરતા નીતિશ કુમારે કહ્યું કે ભાજપે ઘણા રાજ્યોમાં તે લોકો સાથે ગઠબંધન પણ કર્યું છે જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. CMએ કહ્યું ભ્રષ્ટાચારીઓને કોણ બચાવે છે? શું કોઈએ ક્યારેય આવું કરવાનું વિચાર્યું હશે? દરેક જણ જાણે છે, પરંતુ હું આ વિશે વધુ કહીશ નહીં.

મણિપુરમાં JDUને મોટો ફટકો
મણિપુરમાં જેડીયુને મોટો ઝટકો લાગ્યો છે. અહીં 6માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. જેડીયુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર મણિપુરમાં પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો છે. જનતા દળ યુનાઈટેડના પ્રવક્તા અને પૂર્વ મંત્રી નીરજ કુમારે કહ્યું કે ગઠબંધન ભાગીદારોની પીઠમાં છરા મારવાનું ભાજપનું પાત્ર છે. પહેલા તેઓએ અરુણાચલ પ્રદેશમાં અમારા 7 ધારાસભ્યો અને હવે મણિપુરમાં 5 ધારાસભ્યોને પક્ષપલટો કર્યા.અમે આ રાજ્યોમાં પોતાના દમ પર ચૂંટણી જીતી છે. બીજેપીનું આ નવું પાત્ર છે જે નથી ઈચ્છતું કે અન્ય નાના પક્ષો વધે. દેશની જનતા બધુ જોઈ રહી છે અને જનતા દળ યુનાઈટેડ 2024માં ભાજપને ખતમ કરી દેશે.

Most Popular

To Top