Sanidhya

લગ્નજીવન કુંડળીના મેળથી સફળ થતું નથી

સ્વપ્નદોષ એ કોઇ દોષ નથી

સમસ્યા: મારી ઉંમર 60 વર્ષની છે. મારા મનમાં જે કાંઇ પ્રશ્ન ઉદભવે છે એ નીચે મુજબ છે.
1. આપના જણાવ્યા મુજબ વીર્ય દિવસ દરમ્યાન 24 કલાક ઉત્પન્ન થાય છે અને તેનો સંગ્રહ સેમાઇનલ વેસિકલમાં થતો હોય તો શું આ વીર્ય આપણે પાઇપ દ્વારા કે ઓપરેશન દ્વારા બહાર કાઢી શકીએ છીએ? મારું માનવું છે કે વીર્ય મૈથુન અને સ્વપ્નદોષ દ્વારા જ બહાર આવી શકે. આપ જણાવો છો કે વીર્યસ્ત્રાવથી કોઇ પણ પ્રકારની અશક્તિ આવતી નથી પરંતુ સંતોનાં પુસ્તકોમાં ‘વીર્યપાત એટલે સર્વનાશ’ સમજાવવામાં આવે છે.
2. ઉંમર પ્રમાણે પુરુષ કેટલા પ્રમાણમાં વીર્ય જમા કરી શકે? વીર્ય રોકવાથી લાંબા ગાળે શું પ્રોસ્ટેટનો કોઇ રોગ થવાના ચાન્સ ખરા?
3. કેટલાક પુરુષોને સ્વપ્નદોષનો રોગ લાગતા તેઓ નબળાઇ અનુભવે છે આમ કેમ?
ઉકેલ: વીર્ય 24 કલાક બનતું રહે છે અને સેમાઇનલ વેસિકલ નામની ગ્રંથિમાં જમા થાય છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ કથન છે. વીર્ય જો નોર્મલ રીતે બહાર આવતું હોય તો તેને પાઇપ દ્વારા બહાર કાઢવાનો હેતુ શું? આ પાણીની ટાંકીમાં પાઇપ મૂકીને પાણી મેળવવા જેવી વાત નથી. આવો અખતરો આજ સુધી કોઇ ડૉક્ટરે કરેલ નથી. જેને બાળક ના થતા હોય અને તેના માટે પુરુષના શુક્રાણુની સંખ્યા જવાબદાર હોય તેવા પુરુષમાં અંડકોષમાં કે જ્યાં વીર્ય બનતું હોય છે ત્યાંથી ઓપરેશન દ્વારા વીર્ય (શુક્રાણુ) બહાર લેવામાં આવે છે અને સ્ત્રીના અંડબીજ સાથે બહાર જ ફલિત કરવામાં આવે છે. આ એક ટેસ્ટટ્યુબ બેબીની સારવારનો પ્રકાર છે.

સેમાઇનલ વેસિકલની અંદર 69% સ્ત્રાવ આ ગ્રંથિનો પણ હોય છે. તેમ જ ત્યાંથી વીર્ય લેવું મુશ્કેલ પણ છે. જેથી ટેસ્ટ ટ્યુબ બેબીની આ સારવાર માટે અંડકોષમાંથી જ વીર્ય મેળવવામાં આવે છે. સંતોનું કામ ધર્મનું વાંચન અને તેને ફેલાવવાનું છે. હું એક ડૉક્ટર છું. મારી પાસે શું આપ બીલ્ડિંગ બનાવવાની સલાહ લેશો અથવા હું આપું તો તમે માનશો? હંમેશાં યાદ રાખો કે વીર્ય નીકળવા માટે બને છે, નહિ કે સંગ્રહ કરવા માટે. કોઇ ઇચ્છે તો પણ તે શક્ય નથી. સંતો માટે પણ નહીં અને જો એવું જ હોત તો આપણા દેશની વસ્તી 135 કરોડને આંબી શકી હોત? તમે જાતે જ વિચારો…

હવે આપણે આપના બીજા પ્રશ્ન ઉપર આવીએ 50 વર્ષ પછી પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ વીર્યનો જથ્થો, કલર, ઘટ્ટતામાં ફેરફાર થતો હોય છે તેનાથી તેના જાતીય જીવનમાં કોઇ જ ફેરફાર થતો નથી કારણ કે વીર્યનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. એક સંશોધન પ્રમાણે જે લોકો જાતીય જીવનમાં વધારે એકટીવ હોય છે, તેમને ભવિષ્યમાં પ્રોસ્ટેટનું કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે કારણ કે દરેક સ્ખલન વખતે પ્રોસ્ટેટીક મસાજ થાય છે અને પ્રોસ્ટેટીક પ્રવાહી બહાર આવી જાય છે. એક વાર સ્ખલનમાં 30% સ્ત્રાવ આ પ્રોસ્ટેટીક પ્રવાહીનો જ હોય છે. અને આપના છેલ્લા પ્રશ્નનો ઉત્તર… સ્વપ્નદોષ એ કોઇ દોષ નથી.

આ એક મૈથુનનો પ્રકાર છે. જેને નિદ્રામૈથુન કહે છે. જો કોઇ વ્યક્તિ હસ્તમૈથુન અથવા સંભોગ નહીં માણતો હોય તો અમુક વખત પછી સેમાઇનલ વેસિકલ વીર્ય અને તેના પોતાના સ્ત્રાવથી ભરાઇ જશે. જ્યારે તે તેની મહત્તમ સપાટી વટાવશે ત્યારે તે આપોઆપ બહાર આવી જશે. જો કોઇ વ્યક્તિને આમ થવાથી નબળાઇ અનુભવાતી હોય તો 99% માનસિક હોવાની શક્યતા છે કારણ કે નાનપણથી જ આપણા મગજમાં ઠસાવવામાં આવેલ છે કે વીર્ય એ શક્તિનો સ્ત્રોત છે, વીર્ય એ જીવન છે. આમ ઓછું હોય તેમ અમુક સંતો પ્રવચન અને પુસ્તકોમાં લખે છે તે ‘વીર્યપાત એટલે સર્વનાશ’ જે ગેરસમજ ફેલાવવામાં બળતામાં ઘી હોમવા જેવું કામ કરે છે.

લગ્નજીવન કુંડળીના મેળથી સફળ થતું નથી
સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની થવા આવી છે. મેં MBA કરેલ છે. મારા માતા-પિતાની પંસદના જ છોકરા જોડે લગ્ન કરવાનું મેં નક્કી કરેલ છે કારણ કે આજકલ ડિવોર્સના કેસ વધી રહ્યા છે. મારે જાણવું છે કે લગ્ન ટકી રહે માટે શું કરવું જોઇએ?
ઉકેલ: લગ્ન જીવન કુંડળીના મેળથી સફળ થતા નથી. સુખી લગ્ન આપમેળે બનતાં નથી, બનાવવા પડે છે. એનો દાખલો એક ઉત્તમ ગાર્ડન જેવો છે. સુંદર છોડને નિયમિત ખાતર નાખી અને સિંચન કરવું પડે છે. સુખી લગ્નની એકમાત્ર ચાવી છે ‘કોમ્પ્રોમાઇઝ’ એટલે એકબીજાને અનુરૂપ થવું. કોઇ પણ વ્યક્તિ 100% હોતી નથી. લગ્ન એટલે આ એકબીજાનો ખૂટતો ભાગ પૂરવાનો છે. આમાં વ્યક્તિની સહનશીલતા મહત્ત્વનો ભાગ ભજવે છે. સફળ લગ્નજીવન માટે ‘તારો’ અને ‘મારો’ ભાવ ત્યજીને ‘આપણો’ ભાવ લાવવો જોઇએ.

પુરુષનો છાતીનો ભાગ સ્ત્રીના સ્તન જેવો છે.
સમસ્યા:
મારી તકલીફ ખૂબ જ વિચિત્ર છે. હું 26 વર્ષનો યુવાન છું. ભગવાને મને સરસ હાઇટ, બોડી આપેલ છે. ઇન્દ્રિય પણ પૂરતી લંબાઇ અને જાડાઇ ધરાવતી છે. ઉત્તેજના પણ પૂર્ણ આવે છે પરંતુ મારો છાતીનો ભાગ ફૂલેલો છે. તે સ્ત્રીના સ્તન જેવો લાગે છે. ઘણી વાર મારી સ્ત્રી મિત્ર પણ આની મજાક કરે છે. મને તેનાથી લધુતાગ્રંથિ થાય છે. મને આમાંથી છૂટકારો મેળવવો છે. તો રસ્તો બતાવશો.
ઉકેલ: તમારી આ તકલીફને મેડિકલ ભાષામાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. જેમાં પુરુષનો છાતીનો ભાગ સ્ત્રીના સ્તન જેવો હોય છે. જે મોટા ભાગના કિસ્સાઓમાં બિનનુકસાનકારક હોય છે. જો આપને ઇન્દ્રિયમાં ઉત્થાન બરાબર આવતું હોય, તેનો વિકાસ પૂર્ણ થયેલ હોય, જાતીય ઇચ્છાઓ થતી હોય, પૂરતા પ્રમાણમાં દાઢી-મૂંછ આવતા હોય તો ચિંતા કરવા જેવું નથી. માત્ર દેખાવ માટે આપ આનો ઇલાજ કરાવી શકો છો. મેં આ તકલીફને કારણે લધુતાગ્રંથિ અનુભવતા ઘણા પુરુષો જોયા છે. તેઓ હેલ્થ કલબમાં કે મિત્રોની વચ્ચે શર્ટ બદલી શકતા નથી. સ્વિમિંગ કરવામાં તેમને શરમ અનુભવાતી હોય છે. આનો ઇલાજ એક જ છે. કિહોલ ઓપરેશન. નવી ટેક્નિકથી કરાતા આ ઓપરેશન બાદ શરીરમાં કોઇ કાપો કે ટાંકા દેખાતા નથી અને છાતી બિલકુલ સપાટ નોર્મલ પુરુષોની જેમ માત્ર એકાદ કલાકમાં જ થઇ જતી હોય છે. જો તમને આના કારણે તકલીફ કે શરમ આવતી હોય તો આપે આ સારવાર કરાવવી જોઇએ. ઓપરેશન દ્વારા નીકળેલ ચરબીને હંમેશાં બાયોપ્સી માટે મોકલવી જોઇએ.

ડાયાબિટિઝના દર્દીઓને નપુંસકતા વહેલીમોડી આવતી જ હોય છે?
સમસ્યા: મારી ઉંમર એકતાલીસ વર્ષની છે. મને છેલ્લા એકાદ વર્ષથી ડાયાબિટિઝ નિદાન થયેલ છે અને તેના માટે હું નિયમિત દવા લઉં  છું પરંતુ ઘણી વાર તેના લેવલમાં વધઘટ થાય છે. મારા પિતાજીને પણ ડાયાબિટિઝ હતો. છ મહિના પહેલાં બાસઠ વર્ષની ઉંમરે તેમને હાર્ટએટેક આવેલ અને ગુજરી ગયેલા. મારા ફેમિલી ડોક્ટરના કહેવા મુજબ હાર્ટએટેક ડાયાબિટિઝના દર્દીઓમાં વધારે થવાની શક્યતા રહેલી છે. વળી મેં સાંભળેલ છે કે ડાયાબિટિઝના દર્દીઓને નપુંસકતા વહેલીમોડી આવતી જ હોય છે. આટલું ઊંડાણમાં કહેવાનું કારણ એ જ કે મને કોઇ એવી દવા બતાવો કે જેનાથી મારો ડાયબિટિઝ કાબૂમાં રહે, હાર્ટની તકલીફ ના થાય અને જાતીય જીવન સારી રીતે માણી શકું. અત્યારે મને સેક્સમાં કોઇ જ તકલીફ નથી. પરંતું ચેતતો નર સદા સુખી એટલે કોઇ આડઅસર વગરની દવા બતાવવા વિનંતી અને તે ક્યાં મળી શકે તે પણ જણાવજો.

ઉકેલ: આપને બે-ત્રણ વાત કહેવા માગીશ. સૌ પ્રથમ તો ડાયાબિટિઝને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી છે. નહિતર તે શરીરનાં તમામ અવયવો ઉપર આડઅસર કરી શકે છે. કાબૂમાં રાખવા માત્ર નિયમિત દવા લેવાથી ચાલશે નહીં. તે માટે નિયમિત દવા ઉપરાંત દરરોજ અડધોથી પોણો કલાક ચાલવું ખૂબ જ જરૂરી છે. સાથે ખાવામાં પણ ડૉક્ટરની સલાહ મુજબ ચરી પાળવી પડે અને નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહેવું જોઇએ.

જો આમ કરશો તો ડાયાબિટિઝ મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ જ નુકસાન નહીં કરે. ડાયાબિટિઝના દરેક વ્યક્તિને જાતીયજીવનમાં તકલીફ આવતી નથી. પરંતુ જે વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, ઉપરની એક પણ વસ્તુ તરફ બેકાળજી રાખે તેને સો ટકા આજે નહીં તો કાલે જાતીયજીવનમાં તકલીફ આવી શકે છે. હાર્ટએટેક સામાન્ય રીતે હૃદયની લોહીની નળીમાં બ્લોકેજ થવાથી આવતો હોય છે. તે ના થાય તે માટે નિયમિત કસરત, વજનમાં કંટ્રોલ, કોલેસ્ટોરલનું લેવલ નિયત રાખવું જરૂરી છે. આ બધું રોકવા માટે બજારમાં એક નવી દવા આવેલ છે. જેનું નામ  PDE-5 છે. આ પાવડરનું પેકેટ સવારે ભૂખ્યા પેટે અડધા ગ્લાસ પાણીમાં દરરોજ લેવાનું હોય છે.

આ પેકેટ થોડું મોંઘું આવે છે પરંતુ તેના લીધે ઇન્દ્રિયમાં લોહીની નળીમાં બ્લોકેજ થતું નથી. જેથી નપુંસકતા આવવાની શક્યતામાં ઘણો ઘટાડો થાય છે. આ ઉપરાંત આ PDE-5 પાવડરથી હૃદય અને મગજમાં પણ લોહીની નળી બ્લોક થવાની શક્યતા ઓછી થાય છે. જેથી હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોક થવાની શક્યતા ઘટે છે. આ પાવડર ઓછામાં ઓછો એક વર્ષ સુધી નિયમિત લેવો જોઇએ. આની કોઇ જ આડઅસર નથી. આ PDE-5 સેચેટ તમને મોટી હોસ્પિટલની આસપાસ આવેલ દવાઓની દુકાનમાંથી મળી શકે છે. સારા તંદુરસ્ત જીવન માટે તમાકુ, સિગારેટ,  બીડી, દારૂથી દૂર રહેવું જોઇએ.

Most Popular

To Top