National

મનીષ સિસોદિયા જશે જેલ, દારૂ પોલિસી કૌભાંડમાં 20 માર્ચ સુધી તિહારમાં મોકલાશે

નવી દિલ્હી: દિલ્હીના (Delhi ) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની (Manish Sisodia) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં (judicial custody) મોકલી દીધા છે. સિસોદિયાને હવે તિહાર જેલમાં લઈ જવામાં આવશે. સીબીઆઈએ (CBI) 26 ફેબ્રુઆરીએ દિલ્હીની દારૂની નીતિમાં (Liquor Policy) કથિત કૌભાંડના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી સીબીઆઈની કસ્ટડીમાં છે.

સિસોદિયાને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. સીબીઆઈએ કહ્યું કે અમે વધુ પોલીસ કસ્ટડીની માંગ કરી રહ્યા નથી. પરંતુ ભવિષ્યમાં તેની માંગ કરી શકયે છે, કારણ કે આરોપી વ્યક્તિનું વર્તન યોગ્ય નથી. સાક્ષીઓને ડર છે કે તેમને નિશાન બનાવવામાં આવી શકે છે.

સિસોદિયાએ કાર્યવાહીને રાજકીય રંગ આપ્યો – CBI
સીબીઆઈએ કહ્યું કે તેઓ સાક્ષીઓને ડરાવી રહ્યા છે અને કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે. સીબીઆઈએ કહ્યું કે કોર્ટે વોરન્ટ જાહેર કર્યા બાદ જ અમે દરોડા પાડ્યા હતા. આ મામલે જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કોર્ટની નોટિસમાં છે. ચિંતાનો વિષય એ છે કે કેમ બતાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ગેરકાયદેસર કામ કરી રહી છે. આ માંગણી સ્વીકારીને કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ સિસોદિયા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, આ સાચી માહિતી નથી. મીડિયાએ મારા ક્લાયન્ટને આ બધામાં ખેંચવું જોઈએ નહીં.

કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યું
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ રાજ્યોમાં બિન-ભાજપ સરકારને સુચારૂ રીતે કામ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે દેશના વડાપ્રધાનને રાષ્ટ્રના પિતા સમાન માનવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને અને રાજ્યોમાં તેમની સરકારોને પછાડીને બિન-ભાજપ પક્ષોમાં તિરાડ ઊભી કરવી એ પીએમ મોદીની કાર્યશૈલી બની ગઈ છે.

8 વિપક્ષી પાર્ટીઓએ પીએમને પત્ર લખ્યો
કેજરીવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મમતા બેનર્જી, કે ચંદ્રશેખર રાવ સહિત 8 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ વડાપ્રધાનને પત્ર લખીને વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. તેલંગાણાના સીએમ રાવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના હસ્તાક્ષર પણ છે.

શું છે મામલો?
સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હી સરકારની વિવાદાસ્પદ દારૂની નીતિમાં કથિત કૌભાંડના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ લગભગ 6 મહિનાની તપાસ બાદ આ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી છે. નવી એક્સાઈઝ નીતિ 17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ નીતિ લાવીને માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી. આનાથી સરકારની આવકમાં વધારો થશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને આ મામલે રિપોર્ટ સોંપ્યો હતો. આમાં, એક્સાઇઝ પોલિસીમાં ગરબડની સાથે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ સિસોદિયા સહિત 15 લોકો સામે કેસ નોંધ્યો હતો.

Most Popular

To Top