Trending

સ્મૃતિ ઈરાનીએ મસ્જિદ-અલ-નબવીની મુલાકાત લીધી, પહેલીવાર કોઈ બિન-મુસ્લિમ નેતા મદીના પહોંચ્યા

મદીનાઃ (Madina) સાઉદી અરેબિયાની (Soudi Arabia) મુલાકાતે ગયેલા ભારતની મહિલા અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smruti Irani) મુસ્લિમો માટે પવિત્ર શહેરોમાંથી એક મદીનાની મુલાકાત લીધી છે. એવું માનવામાં આવે છે કે આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બિન-મુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ મદીના શહેર પહોંચ્યું છે. એટલું જ નહીં આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ હિજાબ પણ પહેર્યું ન હતું. ઈસ્લામિક કાયદાઓ માટે જાણીતા સાઉદી અરેબિયાના મદીના શહેરમાં સ્મૃતિ ઈરાનીના આગમનને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ ભારતીય હજ યાત્રિકો માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. આને ભારતીય કૂટનીતિની મોટી જીત માનવામાં આવી રહી છે. સાઉદી અરેબિયાના પ્રિન્સે વર્ષ 2021માં મદીના શહેરને બિન-મુસ્લિમો માટે પણ ખોલ્યું હતું.

આ અંગે ઈરાનીએ ટ્વિટર પર લખ્યું, “આજે મેં મદીનાની ઐતિહાસિક સફર કરી, જે ઈસ્લામના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે, જેમાં પ્રોફેટની મસ્જિદ અલ મસ્જિદ અલ નબવી, ઉહુદના પર્વતો અને પ્રથમ ઈસ્લામિક મસ્જિદ કુબાની મુલાકાતનો સમાવેશ થાય છે.” તેમણે કહ્યું કે આ દરમિયાન તેમને ઈસ્લામ ધર્મની શરૂઆત વિશે જાણવાનો મોકો મળ્યો. સ્મૃતિ ઈરાનીની સાથે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પણ હતા. એક સત્તાવાર પ્રવક્તાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આ એક ખૂબ જ નોંધપાત્ર અને અણધારી ઘટના છે. પવિત્ર શહેર મદીનામાં આ પ્રથમ બિન-મુસ્લિમ પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોને દર્શાવે છે.

હજ યાત્રીઓ માટે સારા સમાચાર
અગાઉ સ્મૃતિ ઈરાનીએ હજ 2024ને લઈને સાઉદી અરેબિયા સાથે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત ભારતીય હજ યાત્રીઓનો કુલ ક્વોટા હવે 1,75,025 પર પહોંચી ગયો છે. આ સિવાય સ્મૃતિ ઈરાનીએ ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા ભારતીય લોકો સાથે મુલાકાત કરી હતી. ભારતીય મંત્રીએ હજારો ભારતીય હજ યાત્રિકોને સારી સુવિધા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સિવાય સ્મૃતિ ઈરાની અલ બલાદ જેદ્દાહ ગયા હતા જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. સાઉદી અરેબિયાએ બિન-મુસ્લિમ જૂથને મદીનામાં પ્રવેશવાની મંજૂરી આપીને અભૂતપૂર્વ વલણ અપનાવ્યું છે.

મદીના એ શહેર છે જ્યાં પયગંબર મુહમ્મદ રોકાયા હતા. આ ઈસ્લામિક કેલેન્ડરની શરૂઆત માનવામાં આવે છે. મદીનામાં સ્મૃતિ ઈરાની અલ-મસ્જિદ અલ-નબવીની બહારની દિવાલો સુધી ગયા હતા. આ પછી તે ઉહુદ પર્વત જોવા પણ ગયા હતા. તેમણે કુબા મસ્જિદ પણ જોઈ. ઉહુદ પર્વત પાસે એક ભયંકર યુદ્ધ થયું અને અહીં ઘણા ઇસ્લામિક શહીદોની કબરો આવેલી છે. કુબાને ઇસ્લામની પ્રથમ મસ્જિદ માનવામાં આવે છે.

Most Popular

To Top