Comments

જે યુવાનો ઉપર ઘરનાં સભ્યો ભરોસો મૂકતાં નહોતાં, તેમની ઉપર પોલીસે ભરોસો મૂકયો!!

આપણે ત્યાં સૌનું તે કોઈનું હોતું નથી. આપણે કહીએ છીએ કે લોકો દ્વારા, લોકો માટે ચાલતી સરકાર, પણ આમ માણસ કયારેય સરકારને અને સરકારી બાબતોને પોતાની માનતો નથી. કારણ તેને શાસન દ્વારા તેવો અહેસાસ અપાવવામાં આવતો નથી, જેના કારણે સરકારના કોઈ પણ નિર્ણય અને પ્રક્રિયામાં જનભાગીદારી થતી નથી. અમદાવાદની રથયાત્રા તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં દર વર્ષે નીકળતી રથયાત્રાની સાથે 2 લાખ લોકો જોડાય છે અને 10 લાખ કરતાં વધુ અમદાવાદીઓ યાત્રાનાં દર્શન કરવા માર્ગો ઉપર ઊતરી આવે છે. અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ રકતરંજીત રહ્યો છે. છેલ્લાં 20 વર્ષથી રથયાત્રામાં ભલે કોઈ હિંસક ઘટના ઘટી નથી, છતાં પોલીસનો જીવ પડીકે બંધાયેલો હોય છે. 25 હજાર કરતાં વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળો રસ્તા ઉપર તૈનાત હોવા છતાં યાત્રા મંદિરમાંથી નીકળે અને મંદિરે પરત ફરે ત્યાં સુધી અમદાવાદમાં ફરજ બજાવતાં નાના પોલીસ કર્મચારીથી લઈ પોલીસ કમિશનર સુધી બધાની માનસિક સ્થિતિમાં તનાવ સરખો હોય છે.

આ વર્ષે સ્થિતિ વધારે નાજુક હતી. કાશીની મસ્જીદમાં શિવ મંદિર મળવા સહિત નુપૂર શર્માની વિવાદિત ટીપ્પણીને કારણે મન ડોહળાઈ ગયાં હતાં. વાતાવરણમાં એક પ્રકારનો ઉચાટ બધા જ અનુભવી રહ્યા હતા. તેવા વખતે રથયાત્રા નીકળે ત્યારે સ્વાભાવિક રીતે પોલીસના મનમાં ઉચાટ હતો કે કંઈક થશે તો નહીં! બીજી તરફ ટેકનોલોજી સાથે અપગ્રેડ થયેલી પોલીસની એક સમસ્યા એવી હતી કે આધુનિક યુગની પોલીસ પાસે બાતમીદારનું નેટવર્ક છે, તે લગભગ સમાપ્ત થવાના આરે છે. જુની પોલીસ પાસે ટેકનોલોજી નહોતી. એટલે તેમનાં આંખ – કાન બાતમીદારો હતાં. હવે નવી પોલીસને ટેકનોલોજીનો કૈફ છે. રથયાત્રા વખતે પોલીસ અધિકારીઓ માટે મહત્ત્વનું હતું કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, તેના આધારે બંદોબસ્ત ગોઠવવાનો હતો. અમદાવાદમાં નુપૂર શર્માના મુદ્દે બન્ને તરફથી દેખાવો થયા હતા. આપણી તમામ સરકારી વ્યવસ્થા મશીનની જેમ કામ કરતી હોય છે. પાછળનાં વર્ષોમાં આપણે તે કર્યું તેની કોપી પેસ્ટ કરવાની હોય છે. આવું રથયાત્રામાં પણ બંદોબસ્ત કોપી પેસ્ટ થાય છે.

ગુજરાતનાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિ પણ છે, જેમાં સ્થાનિક વિસ્તારનાં નામી-અનામી લોકોને સ્થાન આપવામાં આવે છે. \આ પ્રકારના પ્રસંગમાં પોલીસ અધિકારી શાંતિ સમિતિનાં સભ્યોને બોલાવી પોતાના વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે મદદ કરવા વિનંતી કરે છે. આવું આ વખતે પણ થયું, પરંતુ અમદાવાદના એક ડેપ્યુટી પોલીસ કમિશનર જયપાલસિંહ જાડેજાના ધ્યાનમાં આવ્યું શાંતિ સમિતિના જે સભ્યો છે તેઓ હવે પોતાની ઉંમરનો એક પડાવ પાર કરી ચૂકયા છે. બીજી તરફ વિસ્તારમાં 20 થી 25 વર્ષનાં યુવાનો-યુવતીઓની સંખ્યા વધી છે, જેઓ હવે નિર્ણાયક છે, પણ આપણે તેમનો ઉપયોગ કરતા નથી. જેઓ શાંતિ સમિતિના સભ્યો તેમનો સંપર્ક અને નાતો આ યુવાનો સાથે નથી. જેના કારણે પોતાના તાબાના વિસ્તારની મનોસ્થિતિ શું છે તેની કોઈ જાણકારી પોલીસને આગોતરી મળતી નથી. કોઈ ઘટના ઘટે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ નિર્માણ થાય છે.

શાંતિ સમિતિ ભલે પોતાનું કામ કરે, પણ હવે પોલીસની કામગીરીમાં યુવાનોને ભાગીદાર બનાવવા જોઈએ. DCP જયપાલસિંહ જાડેજા અમદાવાદના શાહપુર અને કારંજ વિસ્તાર જ્યાં બહુમતી મુસ્લિમ વસ્તી છે. આ વિસ્તારથી વાકેફ રહેવા માટે તેમણે હિન્દુ-મુસ્લિમ યુવકોને એકઠાં કરી તેમની યુથ કમિટિ બનાવી, તેમને પોલીસના કામમાં સામેલ કર્યાં. યુવાનો માટે આ પહેલો પ્રસંગ હતો કે તેમની ઉપર કોઈએ ભરોસો મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. આ હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીઓને ઓળખ માટે ખાસ ડ્રેસ આપ્યો, તેમને ઓળખપત્ર આપ્યાં. આમ તેમની પણ પોતાના મહોલ્લા અને વિસ્તારમાં એક નવી ઓળખ ઊભી થઈ. રથયાત્રા પહેલાં સ્થાનિકની માનસિક દશા શું છે, મનમાં કેવી ગડમથલ ચાલી રહી છે તે જાણવા માટે આ યુવાનો કારગર સાબિત થયા. કારણ તેઓ માહિતીનો સીધો અને પ્રથમ સ્રોત બન્યા. જે પોલીસ સ્ટેશનમાં જતા અથવા પોલીસને મળતા પણ ડર લાગે તે યુવાનો સિનિયર પોલીસ અધિકારીઓ સાથે સીધા વાત કરતા થયા, તેના કારણે તેમની અંદર એક આત્મવિશ્વાસનો પણ સંચાર થયો.

 જ્યારે રથયાત્રા શાહપુર અને કારંજ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે યાત્રાની સલામતીની ચિંતા અને વ્યવસ્થા આ હિન્દુ-મુસ્લિમ યુવકો કરી રહ્યા હતા. આ પહેલો પ્રસંગ હતો, જ્યાં હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીઓ સાથે કામ કર્યું. આ યુવકને ઘરમાં ભલે કોઈ જવાબદારી સોંપતું ના હોય, પણ અમદાવાદ પોલીસે તેમની ઉપર ભરોસો મૂકી ભગવાનની સલામતીની જવાબદારી તેમને સોંપી. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ. કદાચ હવે આગામી વર્ષ સુધી પોલીસને આ યુવાનોની અને આ યુવાનોને પોલીસના સંપર્કની જરૂર નહીં પડે, પણ 500 યુવક – યુવતીના જીવનમાં પોલીસનો આ પ્રયોગ એક વળાંક જરૂર લાવશે. હવે તેમને પોલીસ સ્ટેશન જતાં ડર નહીં લાગે. તેની સાથે દુનિયાની કોઈ મોટી ઘટનાનો તેઓ સામનો કરી શકશે તેની તેમને ખબર પડી. આ પોલીસ અને આ સરકાર માટે હું મહત્ત્વનો છું તેવું તેમને ભાન થયું છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top