National

BBCની ઓફિસમાં બીજા દિવસે પણ ITનું સર્ચ ઓપરેશન, UK સરકાર આ મામલે નજર રાખી રહી છે

નવી દિલ્હી: આવકવેરા વિભાગે મંગળવારે દિલ્હી અને મુંબઈમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આવકવેરાની ટીમ બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરોડા મંગળવારે બપોરે 12 વાગ્યે પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓને લઈને તપાસ માટે આઈટી ટીમ બીબીસી ઓફિસ પહોંચી છે. એટલું જ નહીં તપાસ માટે પહોંચેલી ઈન્કમટેક્ષની ટીમે ઓફિસમાં હાજર કર્મચારીઓના ફોન પણ જપ્ત કરી લીધા હતા અને કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવાનું કહેવામાં આવ્યું હતું.

બીબીસી ઓફિસ પર ઈન્કમ ટેક્સની આ કાર્યવાહીને ઈન્ટરનેશનલ ટેક્સ સંબંધિત મામલો કહેવામાં આવી રહ્યો છે. જેમાં ટેક્સની ગેરરીતિઓને લઈને બીબીસી ઓફિસમાં બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આવકવેરા ટીમ બુધવારે પણ તેની તપાસ ચાલુ રાખી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર IT અધિકારી 2012થી અત્યાર સુધીના એકાઉન્ટની ડિટેલ મેળવી રહ્યા છે. તેમજ ITનાં અધિકારીઓએ ફાઈનાન્સ વિભાગના સ્ટાફના મોબાઈલ, લેપટોપ-ડેસ્કટોપ જપ્ત કરી લીધા છે. આ સર્ચ દરમિયાન ITનાં અધિકારીઓએ અને BBC ઈન્ડિયાના સંપાદકોની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. સુત્રો મુજબ સંપાદકોએ ITનાં અધિકારીઓને કોઈપણ એડિટોરિયલ કન્ટેન્ટનો એક્સેસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ BBCએ પોતાના સ્ટાફને મેલ કરી સહકાર આપવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક સવાલનો પ્રમાણિકતાથી જવાબ આપવો.

બીબીસી દ્વારા જાહેર કરવામાં આવેલા આવા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા કર્મચારીઓ સાથે છીએ, અને આ તપાસમાં આઈટી ટીમને મદદ કરી રહ્યા છીએ. અમને આશા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. જાહેર કરાયેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમારું આઉટપુટ અને પત્રકારત્વ સાથે સંબંધિત કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે. અમે અમારા વાચકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે યુકે સરકાર કથિત રીતે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે, ત્યારે બીબીસીએ જણાવ્યું છે કે તેના કેટલાક કર્મચારીઓને ચાલી રહેલી આવકવેરાની પૂછપરછમાં સહકાર આપવા માટે તેમની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

BBC સંપાદકો અને IT અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા
અગાઉ બીબીસી કાર્યાલય સાથે સંકળાયેલા સૂત્રોએ માહિતી આપી હતી કે જ્યારે આવકવેરા અધિકારીઓએ અહીં દિલ્હીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા ત્યારે બીબીસી દિલ્હીના સંપાદકો અને તપાસ માટે પહોંચેલા આવકવેરા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરોડા અંગે આઈટી અધિકારીઓ સાથે ઉગ્ર દલીલ એ હકીકત પર થઈ હતી કે તેઓ બીબીસી દિલ્હી ઓફિસમાં તમામ સિસ્ટમ તપાસશે.

IT ટીમને સિસ્ટમ પર 4 કીવર્ડ મળ્યા
જે બાદ IT અધિકારીઓને ઓફિસ સ્ટાફના કોમ્પ્યુટરમાં ‘શેલ કંપની’, ‘ફંડ ટ્રાન્સફર’, ‘ફોરેન ટ્રાન્સફર’ સહિતની સિસ્ટમ પર ચાર કીવર્ડ મળી આવ્યા હતા. બીબીસીના સંપાદકોએ આઈટી અધિકારીઓને કહ્યું હતું કે તેઓ તેમની સિસ્ટમ પર કોઈપણ સંપાદકીય સામગ્રીની ઍક્સેસ આપશે નહીં. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે ભારતમાં બીબીસીની ઓફિસમાં IT દરોડા અંગે નિવેદન આપ્યું છે. નેડ પ્રાઈસે કહ્યું કે બીબીસીની દિલ્હીની ઓફિસમાં આટી સર્ચની અમને જાણ છે.

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ચિંતા વ્યક્ત કરી હતી
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકારની ટીકા કરનારાઓ નિશાના પર છે. જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસો પર સર્વે માટે પાડવામાં આવેલા દરોડાથી ચિંતિત છે. એડિટર્સ ગિલ્ડે સપ્ટેમ્બર 2021માં ન્યૂઝ ક્લિક અને ન્યૂઝ લોન્ડ્રીની ઓફિસમાં પણ આવી જ કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. એડિટર્સ ગિલ્ડે કહ્યું છે કે આવકવેરા વિભાગે દૈનિક ભાસ્કર અને ભારત સમાચાર સામે પણ સર્વેની કાર્યવાહી કરી હતી. ફેબ્રુઆરી 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ન્યૂઝ ક્લિકની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરેક કેસમાં, સરકાર વિરુદ્ધ સમાચાર સંસ્થાઓના વિવેચનાત્મક કવરેજના સંદર્ભમાં દરોડા અને સર્વે હાથ ધરવામાં આવ્યા હતા.

વિપક્ષ IT સર્ચને બીબીસી ડોક્યુમેન્ટરી સાથે જોડી રહી છે
બીજી તરફ વિપક્ષે આ કાર્યવાહીને ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે. અઘોષિત કટોકટી. બીજી તરફ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે અદાણી કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ, બીજી તરફ બીબીસી ઓફિસમાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ.

બીજી તરફ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ બીબીસી પર આ કાર્યવાહી પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે બીબીસીની દિલ્હી ઓફિસમાં આવકવેરાના દરોડાના સમાચાર છે. અનપેક્ષિત બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ નિરાશાજનક છે અને તે દર્શાવે છે કે મોદી સરકાર ટીકાથી ડરે છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અમે ડરાવવાની આ યુક્તિઓની સખત નિંદા કરીએ છીએ. આ અલોકતાંત્રિક અને સરમુખત્યારશાહી વલણ હવે વધુ ચાલશે નહીં.

બીજી તરફ બીજેપીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બીબીસીને “વિશ્વની સૌથી ભ્રષ્ટ સંસ્થા” ગણાવી હતી. બીજેપી પ્રવક્તાએ મંગળવારે જ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે જ્યાં દરેક સંસ્થાને તક આપવામાં આવે છે. તે ઝેર ઓકશે નહીં. ગૌરવ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ શોધ કાયદાના દાયરામાં છે અને તેના સમયને સરકાર સાથે કોઈ લેવાદેવા નથી.

બીબીસીની ડોક્યુમેન્ટરીમાં શું છે મામલો?
તાજેતરમાં બીબીસીની એક ડોક્યુમેન્ટરી આવી હતી. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રચાર ગણાવીને સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને ઘણી યુનિવર્સિટીઓમાં હોબાળો થયો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વિપક્ષ આવકવેરા વિભાગના દરોડાને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.

Most Popular

To Top