Comments

પૂરતી તૈયારી પછી જ નવી શિક્ષણ નીતિનો અમલ કરવો સારો!

ગુજરાતમાં 15મી જૂનથી કોલેજોમાં પણ શૈક્ષણિક સત્ર શરૂ થઇ ચૂકયું છે. તમામ યુનિવર્સિટીઓએ નવી શૈક્ષણિક નીતિનો અમલ કરવાનું નક્કી કરી દીધું છે. સરકારના શિક્ષણ વિભાગે પણ આ મુજબની સૂચનાઓ આપી દીધી છે. પણ કોલેજમાં એડમિશન લેતાં વિદ્યાર્થીઓને પૂછો કે તમને નવું શું લાગે છે? કાંઇ ફેરફાર થયો હોય તેવું અનુભવ્યું? તો જવાબ મળશે ના.
સરકારે નવી શિક્ષણ નીતિના અમલ માટે છેક હવે સૂચનો મંગાવ્યાં છે. એ સૂચનો મળે, પછી સુધારા વધારા સાથે વ્યવહારુ ડ્રાફટ બહાર પડે ત્યાં સુધીમાં તો પ્રથમ સત્ર, એટલે કે પ્રથમ સેમેસ્ટર પૂરું! ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને જો ખરેખર નવી શિક્ષણનીતિનો અમલ કરવો જ હોય તો કેટલાક સાવ અને વ્યવહારુ નિયમો તત્કાળમાં કોલેજો, યુનિ.ને સૂચવે તથા છાપા-ચેનલો દ્વારા પ્રજાના વિશાળ વર્ગ સુધી તેની માહિતી પહોંચાડે.

સૌ પ્રથમ તો તમામ કોલેજો અને યુનિવર્સિટીને સરકાર સૂચિત કરે કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીને કોઇ લાઇન કે વિષય ફરજીયાત ભણાવવા આપવો નહીં. તેને જે વિષયમાં ભણવું હોય તે જ વિષયમાં એડમિશન આપવું!
કોલેજો પોતાના સ્ટાફને બચાવવા માટે પોતાની સગવડ મુજબના વિષયમાં વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. જે ખોટું છે! કોલેજો પાસે વિષયવૈવિધ્ય છે. જુદા જુદા વિષયના અધ્યાપકો પણ છે પરંતુ જો વિદ્યાર્થીને જે વિષય ભણવો હોય તેમાં સ્વતંત્ર રીતે એડમિશન આપવામાં આવે તો એક-બે વિષયમાં જ મોટા ભાગનાં વિદ્યાર્થીઓ એડમિશન લે!

બીજા વિષયોમાં એડમિશન સંખ્યા થાય નહીં! આવું ન થાય માટે દરેક કોલેજના પ્રિન્સીપાલ અમુક સંખ્યાના પ્રવેશ પછી વિદ્યાર્થીને જે તે વિષયમાં એડમિશન આપવાનું બંધ કરી દે છે! નવી શિક્ષણ નીતિનો આત્મા ‘સ્વતંત્રતા છે’ વિદ્યાર્થી જે ભણવા માગે તે,જયાં ભણવા માંગે ત્યાં ભણવા દેવો તે મુખ્ય મુદ્દો અહીં જળવાતો નથી! ગુજરાતભરની આર્ટસ-સાયન્સ-કોમર્સ કોલેજો આજની તારીખે જુનું વિષય સંયોજન જે ફિકસ કરેલું છે તે જ લેવા માટે વિદ્યાર્થીને ફરજ પાડે છે. ન સમાજમાં ન કોલેજમાં કયાંય કોઇ વિદ્યાર્થીને નવી શિક્ષણનીતિ મુજબ તેને વિષયપસંદગીની સ્વતંત્રતા છે તે સમજાવતું નથી!

જો વિષય પસંદગીની સ્વતંત્રતા સમજાવવામાં ન આવતી હોય તો સંસ્થા પસંદગીની સ્વતંત્રતાની તો કોઇ વાત જ કેવી રીતે કરે? જૂના સમયમાં જેમ એક વિદ્યાર્થી એક કોલેજમાં એડમિશન લે અને બધા જ વિષયનો અભ્યાસ ત્યાં જ પૂરો કરે તેવું હતું. હવે તેમાં થોડી મોકળાશ છે. કોલેજ કક્ષાનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીએ ત્રણથી ચાર વિષય ભણવાના હોય છે. જેમકે તે મુખ્ય વિષય ઇતિહાસ ભણે સાથે અર્થશાસ્ત્ર ભણે એક ભાષા તરીકે હિન્દી કે ગુજરાતી ભણે અંગ્રેજી તેને ફરજીયાત ભણાવાય અને પ્રારંભિક વર્ષોમાં એકાદ વર્ષ સંસ્કૃત પણ તે ભણે. હવે અત્યાર સુધી વિદ્યાર્થી એક કોલેજમાં એડમિશન લઇ આ વિષયો એક જ કોલેજમાં ભણતો. માટે જ આ કોલેજમાં જે વિષય ભણાવાતા હોય તે જ વિષય તે ભણી શકતો.

હવે આવું નથી. હવે તો ઇતિહાસ સાથે મનોવિજ્ઞાન ભણવા માંગે છે. જે આ કોલેજમાં ભણાવવામાં આવતું નથી. તો તે જે કોલેજમાં ભણાવાય છે ત્યાં એડમિશન લઇ શકે છે! મતલબ એક જ વિદ્યાર્થી એક જ વર્ષમાં બે કોલેજમાં એડમિશન લઇ અભ્યાસ કરી શકે છે! માટે જ અમારી કોલેજમાં જે વિષયના અધ્યાપક નથી, જે વિષય અમે ભણાવતા નથી તે વિષય ભણવાની છૂટ અમે વિદ્યાર્થીને કઇ રીતે આપીએ? એ પ્રશ્ન કરનાર આચાર્ય અને અધ્યાપકો આ નવી શિક્ષણ નીતિ કાં તો સમજયા નથી અથવા સ્વીકારતા નથી! માટે સરકારે, શિક્ષણ વિભાગે સૌ પ્રથમ કરવા જેવું કામ એ છે કે યુનિવર્સિટીઓને આદેશ કરે કે કોલેજો વિદ્યાર્થીઓને માહિતી આપે, એક જ તાલુકા કે જિલ્લા કે શહેરની કોલેજો પરસ્પર જૂથ બનાવે અને વિદ્યાર્થીઓને વધારે વિષય આપે. દા.ત. એક શહેરમાં બે સાયન્સ કોલેજ છે. એકમાં કેમેસ્ટ્રી ફિઝીકસ ભણાવાય છે, બીજીમાં કેમેસ્ટ્રી બાયોલોજી ભણાવાય છે. જો આ બે કોલેજો પરસ્પર જૂથ બનાવે તો વિદ્યાર્થીને ચારેય વિષયના વિકલ્પ મળી રહે. વિદ્યાર્થી કેમેસ્ટ્રી એકમાં અને બાયોલોજી બીજી કોલેજમાં ભણી શકે!

‘નવી બોટલમાં જૂનો દારૂ’ ભરવા થનગની રહેલા સૌ સત્તાવાળાને વિનંતી કે આ કહેવત પણ હવે ખૂબ જૂની થઇ ગઇ છે! નવી શિક્ષણ નીતિ યુનિવર્સિટી, કોલેજ કે આચાર્યો અધ્યાપકો માટે નથી વિદ્યાર્થીઓ માટે છે! જો દેશના બહુ બધાં રાજયોમાં અને ખાસ તો સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં આ નવા નિયમો અમલી થઇ શકતા હોય તો ગુજરાતમાં તે કેમ અમલી ના થાય? વળી અત્યંત મોટા જાગેલા શિક્ષણ વિભાગને કહેવાનું કે નવી શિક્ષણ નીતિ મુજબ ક્રેડિટ બેંક, માઇગ્રેશનના નિયમો, દર વર્ષે એકિઝટ અને દર વર્ષે એન્ટ્રી કરનાર વિદ્યાર્થીનો ડેટા અને નવા મુસદ્દા મુજબ ફીનાં ધોરણો આ બધું જ નક્કી કરવાનું હોય છે.

જે આપણે ત્યાં બાકી છે! પહેલાં આખું જ માળખું ગોઠવો, નિયમો બનાવો, વિદ્યાર્થીથી માંડીને કુલપતિ સુધીના તમામને તેનાથી માહિતગાર કરો. આપણે ત્યાં તો નવી શિક્ષણ નીતિના અંગ્રેજીમાં લખાયેલા ડ્રાફટને જાતે જ સમજી શકે તેવા કુલપતિશ્રીઓ કેટલા? એ પણ પ્રશ્ન છે ત્યારે મોડા ભેગું મોડું! એક વધુ વરસ લાગે તો ભલે! આવતા વર્ષે અમલ કરજો, પણ કાચું ન કાપતા. બાકી સમજયા વગર અમલ કરશો તો અંધાધૂંધી થશે! નબળો બ્રીજ તૂટી પડે તે દેખાય! જાનહાનિ માપી શકાય, પણ નબળી વ્યવસ્થા તૂટી પડે તેનું નુકસાન માપી ન શકાય! અને ખબર પણ મોડી પડે!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top