Gujarat

17 થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ તિર્થ ક્ષેત્રના સાનિધ્યે ઉજવાશે સૌરાષ્ટ્ર તામિલ સંગમ

ગાંધીનગર : એક ભારત-શ્રેષ્ઠ ભારતની (India) સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં (Gandhinagar) આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. સદીઓ પહેલાં પોતાના વતન-સૌરાષ્ટ્રથી હિજરત કરીને તામિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓના સમુદાયે પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રહિને સાંસ્કૃતિક ઐક્ય, રાષ્ટ્રિય એકાત્મતા અને ભાવાત્મક એકતાનું વિરલ દ્રષ્ટાંત પુરૂં પાડયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક અને રાષ્ટ્રિય એકતાને પ્રેરક ઘટનાનું મહાત્મ્ય પૂનઃ ઊજાગર કરવા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમના સમગ્ર આયોજનનો વિચાર આપેલો છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે સંકલનમાં રહિને સૌરાષ્ટ્ર તામિલ સંગમને એક ભારત-શ્રેષ્ઠ ભારતના મહાસંગમ તરીકે ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કર્યુ છે.

આ સમગ્ર આયોજનની ઝિણવટપૂર્વક ચર્ચા-વિચારણા અને વધુ સુદ્રઢ કાર્યઆયોજન માટે મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતીમાં આ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ સમગ્ર કાર્યઆયોજનમાં રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ નોડલ એજન્સી તરીકે તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને અન્ય વિભાગો સહઆયોજક તરીકે કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રવાસન સચિવ હારિત શુકલાએ પ્રેઝન્ટેશન દ્વારા આ સૌરાષ્ટ્ર તામિલ સંગમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તદઅનુસાર, તા.૧૭ થી ૩૦ એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થક્ષેત્રમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી તા.૧૪ એપ્રિલથી વિશેષ ટ્રેન રવાના થવાની શરૂઆત થવાની છે. આ વિશેષ ટ્રેન મારફત અંદાજે રપ૦ થી ૩૦૦ વ્યક્તિઓની એક-એક બેચ ગુજરાત આવશે.

સોમનાથ આવનારા આ સૌ યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન-પૂજન, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફાટ એક્સ્પો-શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના સમુદ્રકિનારે કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી મનોરંજક અને પારંપારિક રમતો પણ યોજાવાની છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ, ઉદ્યોગ, યુવાપ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા થીમ સેમિનાર યોજીને ગુજરાતની આ બધા જ ક્ષેત્રોની સર્વાંગી વિકાસ યાત્રાથી સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી પ્રવાસીઓને માહિતગાર કરવામાં આવશે. એટલું જ નહિ, યુવા ખેલાડીઓ, ઉદ્યોગ વેપાર જગત સાથે સંકળાયેલા વ્યવસાયિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વિષયો પર પરસ્પર ચર્ચાઓ અને વૈચારિક આદાન-પ્રદાન પણ કરાશે.

સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી થનારા લોકોને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધીશ મંદિર, નાગેશ્વર, શિવરાજપૂર બીચ તેમજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે પણ આ પ્રવાસીઓને લઇ જવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌરાષ્ટ્ર તામિલ સંગમ એક ભારત-શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારતનો મહાસંગમ બની રહે તેવા વ્યાપક ફલકના કાર્યઆયોજન માટે બેઠકમાં માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા.

Most Popular

To Top