National

મહારાષ્ટ્ર: ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાના કેસમાં કોર્ટે સ્પીકર પાસેથી જવાબ માંગ્યો

મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય મંત્રી (Chief Minister) એકનાથ શિંદે શિવસેનાના વિભાજન બાદ ઠાકરેની આગેવાની હેઠળના રાજકીય પક્ષ શિવસેના (ShivSena) પર આરોપો લગાવી રહ્યા છે. દરમિયાન ચૂંટણી પંચની સાથે હાઈકોર્ટે (High Court) પણ સ્વીકાર્યું છે કે શિંદેનું જૂથ જ અસલી શિવસેના છે. પરંતુ હાલના દિવસોમાં શિંદે જૂથ બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યું છે. કોર્ટે શિંદે જૂથની અરજી પર વિધાનસભા (Assembly) અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસેથી જવાબ માંગ્યો છે. શિંદે જૂથે સ્પીકરના નિર્ણયને પડકાર્યો છે. જેમાં તેમણે 14 શિવસેના (UBT) ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા નથી.

શિંદે જૂથના શિવસેનાના ચીફ વ્હીપ ભરત ગોગાવલેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમજ જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. તેમજ આ કેસની સુનાવણી 8 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

અગાઉ 10 જાન્યુઆરીએ વિધાનસભા અધ્યક્ષ નાર્વેકરે અયોગ્યતા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ મુજબ શિવસેનાના બંને જૂથના ધારાસભ્યોની સભ્યતા પર કોઈ ખતરો નથી. પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને ટેકો આપનારા 14 ધારાસભ્યોને ગેરલાયક ન ઠરાવવા માટે અસંતુષ્ટ શિંદે જૂથે કોર્ટનો સંપર્ક કર્યો છે. શિંદે જૂથે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ 10 જાન્યુઆરીએ જારી કરાયેલા સ્પીકરના નિર્ણયની “કાયદેસરતા અને યોગ્યતા” ને પડકારે છે.

ભરત ગોગાવલેએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ કહ્યું કે તેમણે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા 3 જુલાઈ 2022ના રોજ શિવસેનાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે 4 જુલાઈએ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન એકનાથ શિંદે સરકારની તરફેણમાં મતદાન કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ તેમણે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની તરફેણમાં દલીલ કરતા કહ્યું કે, 14 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું હતું. આ વ્હીપનું ઉલ્લંઘન છે. તેમજ આ 14 ધારાસભ્યોએ ‘શિવસેના પોલિટિકલ પાર્ટી’નું સભ્યપદ છોડવું જોઇયેે.

ગોગાવલેના જણાવ્યા મુજબ સ્પીકર નાર્વેકર, એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગયા કે સભ્યપદ છોડવા સિવાય ઠાકરે જૂથના 14 ધારાસભ્યોએ પણ શાસક સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોગાવલેનો આરોપ છે કે આ ધારાસભ્યોએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને મહારાષ્ટ્રની શિવસેના સરકાર શિંદે જૂથ વિરુદ્ધ મતદાન કર્યું હતું. પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં આ ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવા જોઈએ.

ગોગાવલેએ 12 જાન્યુઆરીએ હાઈકોર્ટનો આ મામલે સંપર્ક કર્યો હતો. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે સોમવારે 15 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ઠાકરે જૂથે જૂન 2022 માં પક્ષમાં વિભાજન પછી સીએમ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને ‘સાચા રાજકીય પક્ષ’ તરીકે જાહેર કરવાના સ્પીકરના આદેશને પડકાર્યો છે. જણાવી દઈએ કે સ્પીકરે શિંદે સહિત શાસક છાવણીના 16 ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાનો ઈન્કાર કરી દીધો હતો. સ્પીકર નાર્વેકરે ઠાકરે કેમ્પના ધારાસભ્યોની સદસ્યતા પણ જાળવી રાખી છે.

Most Popular

To Top