Comments

સુપ્રીમ પોતાની લક્ષ્મણરેખા ઓળંગી ગઇ છે?

ચૂંટણી કમિશનરની નિમણૂક ભારતના રાષ્ટ્ર પ્રમુખે ભારતના વડા પ્રધાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અથવા સૌથી મોટા વિરોધ પક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસની બનેલી સમિતિની સલાહ પ્રમાણે કરવી એવો સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે હુકમ કર્યો. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન સી.બી.આઇ.ના ડાયરેકટરની પસંદગી આવી જ પ્રક્રિયાથી થાય છે. સુપ્રીમ કોર્ટે આઝાદી કાળથી ચાલી આવેલી એ રસમને બંધ કરી છે, જેના અન્વયે ચૂંટણી કમિશનરોની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની ભલામણ મુજબ થતી હતી. આમ છતાં આ ચુકાદા પરત્વે નિષ્ણાતોના જુદા જુદા મત છે. કેટલાકે આ હુકમને આવકાર્યો છે તો કેટલાક કહે છે કે સુપ્રીમ કોર્ટને ધારા ઘડવાનો અને કારોબારી અને ધારાગૃહોની હકૂમતમાં પ્રવેશવાનો આદેશ નથી અપાયો. હાલના ચૂંટણી કમિશનર તા. 14મી ફેબ્રુઆરીએ 65 વર્ષની ઉંમરના થશે ત્યારે હોદ્દો છોડશે અને જગ્યા ખાલી પડશે.

2024ની લોકસભાની નિયતકાલીન ચૂંટણીની જાહેરાતના થોડા જ દિવસો પહેલાં જ તેમની નિવૃત્તિ આવશે. ભૂતકાળમાં બે વાર એવું બન્યું હતું કે ચૂંટણી પંચે માર્ચ મહિનામાં સંસદીય ચૂંટણીની જાહેરાત કરી હતી. સરકારને ચૂંટણી પંચના નવા સભ્યની નિમણૂક કરવી હશે તો તેણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવું પડશે. સંસદ આ બાબતમાં નવો કાયદો પસાર કરે ત્યાં સુધી હાલનો ચુકાદો અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટ માને છે કે કાયદા ઘડવાની તેની પાસે અઢળક સત્તા છે. જો કે ધારા ઘડવાની જવાબદારી સરકારની છે. આમ છતાં એક મત એવો છે કે પોતાની સત્તા બહાર ગઇ છે તે પોતાની જ જાતને વળોટી ગઇ છે.

આની સાથે ઘણા બધા પ્રશ્નો પેદા થાય છે. 1. તટસ્થતા અને લોકશાહીની ભાવનાના નામે સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર, કારોબારી અને ધારાગૃહો વચ્ચે સત્તાની વહેંચણી કરતી બંધારણની મહત્ત્વની કલમનું ઉલ્લંઘન કરી શકે. 2. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની વાત આવે ત્યારે તેમને ચૂંટણી કમિશનરની પસંદગી કરવા સદરહુ સમિતિના એક ભાગ રૂપ કેમ બનવા દેવાય? રાષ્ટ્રીય ન્યાય પંચ ધારાનો ઇન્કાર કરી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ બને તેનો નિર્ણય અમે પોતે જ કરીશું. સરકારે અમારી ભલામણ જ સ્વીકારવાની છે. 3. ભારતના ચીફ જસ્ટિસની તટસ્થતાનો અંદાજ કઇ રીતે કાઢી શકાય?

સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં બીજું એક સમસ્યારૂપ નિરીક્ષણ એ આવ્યું કે જસ્ટિસ શ્રી જોસેફે આડકતરી રીતે ચૂંટણી પંચની સ્વાયત્તતા વિશે સવાલ ઉઠાવ્યો. પોતાની સત્તાને ઉપરવટ જવાની ક્રિયાને વાજબી ઠેરવવા ન્યાયતંત્ર એવી ધારણા બાંધે છે કે ચૂંટણી પંચના પક્ષે ભ્રષ્ટાચાર છે. એ સાચું જ હોય તો સત્તાધારી પક્ષે મોટા ભાગની ચૂંટણી હંમેશા જીતવી જ જોઇએ. સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચનો કોઇ નિર્ણય ખોટો લાગ્યો છે તે માટે આ ચુકાદો નથી આવ્યો, પણ કેન્દ્રના ભૂતપૂર્વ સચિવ પી.કે. મલ્હોત્રાને લાગ્યું છે કે સુપ્રીમ કોર્ટ ધારા ઘડે છે અને આ તેનું કામ નથી પણ સંસદનું છે.

સરકારને મતે ન્યાયાધીશોની વરણી માટેની કોલેજીયમ પધ્ધતિમાં પારદર્શિતા નથી એવું કહેવાની સાથે પી.કે. મલ્હોત્રાએ કહ્યું હતું કે મૂળભૂત રીતે તમારી જયાં સત્તા નથી ત્યાં તમે ધારા ઘડો છો. તમે કાયદાનું અર્થઘટન કરી શકો, તમે બંધારણનું અર્થઘટન કરી શકો છો, સરસ. સુપ્રીમ કોર્ટે વધુ પારદર્શિતા માટે આ વાત કરવી જોઇતી હતી. પણ એ જ વાત ન્યાયાધીશોની નિમણૂકના મામલે પારદર્શિતા માટે પણ કહી શકાય. કોઇક પ્રક્રિયા હોવી જોઇએ. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાસે આદેશ આપવાની સત્તા છે માટે બંધારણ અન્વયે કારોબારીની હકૂમતમાં આવતી બાબતોમાં આદેશ આપે છે. મને લાગે છે કે તે બંધારણે તેને આપેલી સત્તા ઉપરાંતનું શું?

વર્તમાન કોલેજીયમ સિસ્ટમને ઉલટાવવાની માંગણી કરી તેમણે કહ્યું છે કે સંસદે રાષ્ટ્રીય ન્યાયાધીશી નિમણૂક પંચનો કાયદો ઘડયો જ છે અને સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યો છે. આ કાયદામાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે સમિતિ નિમવાની વાત છે. અલબત્ત, જસ્ટિસ શ્રી જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે પોતાના ચુકાદાને વાજબી ઠેરવ્યો છે. સદરહુ બેંચના જણાવ્યાનુસાર અદાલતો કાયદા બનાવી ન શકે અથવા ન બનાવે એ સિધ્ધાંત ભ્રમણા છે. જેનો લાંબા સમય પહેલાં ઘટસ્ફોટ થઇ ચૂકયો છે. સત્તાના વિભાજનના મામલે સુપ્રીમ કોર્ટે 2007માં જે ચુકાદો આપ્યો હતો તેની આ સમયે સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે.

છતાં આ હુકમ મહત્ત્વનો છે. પરિસ્થિતિને યથાવત્‌ સ્થાને મૂકીને સુપ્રીમ કોર્ટે એવું સૂચવ્યું છે કે પસંદગીની હાલની પ્રક્રિયા ચાલી શકે નહીં એવી પરિસ્થિતિ નિર્માણ થાય. જેમાં ઉમેદવારે કારોબારીને આભારી બનવું પડે. તેણે નિષ્પક્ષના અને વાજબીપણાની દલીલ આગળ ધરી છે. એક વાર સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશનના વડાની પસંદગીની પ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શક સિદ્ધાંતો સ્થાપ્યા હોય પછી કાયદા માટે તેને વખોડવાનું મુશ્કેલ છે. આથી સરકાર કોઇ પણ નવો કાયદો લાવે તેને સુપ્રીમ કોર્ટની વિભાવના મુજબ આત્મનિર્ભરતાની ભાવનામાંથી પાર ઉતરવું રહેશે. સંસદ કે સરકાર બેમાંથી કોઇ આ બાબતમાં નવો કાયદો બનાવવાને મુકત નહીં જ હોય ને?        
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top